દસ દિવસમાં ઇંધણના ભાવમાં ચોથી વખતના વધારરો, બળદગાડાના યુગનો આભાસ
પેટ્રોલ, ડીઝલ, ગેસ જીએસટી દાયરામાં લાવો : લોક સંસદ વિચાર મંચની માંગણી
અગ્ર ગુજરાત, રાજકોટ
લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, જીગ્નેશભાઈ વાગડિયા, જેન્તીભાઈ હિરપરાની સંયુક્ત યાદી જણાવે છે કે પશ્ચિમ દેશોમાં યુદ્ધના બહાના તળે સરકારે ઇંધણના ભાવમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જે પગલે આમ આદમીને પોતાના ઘરનું બજેટ ખોરવાયું છે. આજે સવારે લોકો પેટ્રોલ પુરાવવા જતા ગુજરાતમાં પેટ્રોલનો ભાવ સદી વટાવી ગયો છે. અને આજે પેટ્રોલમાં પ્રતિ લીટર ₹2.61 અને ડીઝલમાં પ્રતિ લીટર ₹2.71 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. દસ દિવસમાં ચાર ચાર વખત પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરી સરકારે પોતાની અણ આવડત છતી કરી છે. દરરોજ સવારે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારાનો ડામ લોકોને દઝાડી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ઘટેલા હોવા છતાં સરકારે લોકોને રાહત આપવાને બદલે તત્કાલીન સમયે પણ ઉઘાડી લુંટ ચલાવી હતી અને સરકારની અને ઓઇલ કંપનીઓની તિજોરી ભરી હતી. હાલ પેટ્રોલ અનેક શહેરોમાં ₹100 થી 110 વટાવી ગયું છે. અને હજુ પણ ભાવ વધારો કરવા સરકાર મક્કમ છે. પેટ્રોલ, ડીઝલ પર સરકાર દરરોજ અંદાજે 1,000 કરોડ રૂપિયાનો નિયમિત કર વસૂલી રહી છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા રહેલા ભાવ વધારા ના પગલે મોંઘવારીનો ગ્રાફ ઊંચો આવ્યો છે અને કાળઝાળ મોંઘવારીના પગલે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બન્યું છે. કારમી મોંઘવારીના પગલે આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે જે સરકારના રેકોર્ડ પર પણ મૌજુદ છે.
સરકારના દેખાડવાના અને ચાવવાના જુદા છે કારણ કે વિશ્વના ઓસ્ટ્રેલિયા, ઇટાલી, જર્મની, બ્રિટન આયર્લેન્ડ અનેક દેશોએ પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે અને જે પગલે લોકોને પેટ્રોલ ડીઝલ પર 15 થી 17 રૂપિયાનો ઘટાડો કર્યો હોવાનું જાણમાં છે. જ્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારને પોતાના વેરા ઘટાડવા નથી. લોકોની માંગ એ પણ છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિતના જે ઇંધણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર આકરા અને કમ્મરતોડ કર વસૂલવામાં આવે છે તે નાબૂદ કરી પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધારાને કાબુમાં રાખવો હોય તો જીએસટી દાયરામાં લાવવામાં આવે કારણકે જીએસટી 28% થી વધુ વસૂલી ન શકાય ત્યારે હાલ પેટ્રોલ ડીઝલ પર આંકરા વેરા વસૂલવામાં આવે છે. જો ઇંધણ ને જીએસટી દાયરા માં લેવામાં આવે તો તો લોકોને પેટ્રોલ અને ડીઝલમાં ₹15 રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે. પરંતુ સરકારની નીતિ લોકો પર આર્થિક લૂંટ ચલાવી દમન કરવાની હોય તેવું જણાઈ રહ્યું છે.
હાલ તો જે રીતે ભાવ વધારો અમલીકરણ થઈ રહ્યો છે તેમા હવે લાગી રહ્યું છે કે ડીઝલની તંગી અને ભાવ વધારો જોતા ખેડૂતોને પણ બળદગાડા યુગમાં ફરી ધકેલવાની સરકારની રણનીતિ હોય એવો આભાસ થઈ રહ્યો છે.


