ગોંડલના વોરા કોટડા નજીક યાત્રાળુઓથી ભરેલી ટ્રાવેલ્સ બસ પલટી સાસુ-વહુના મોત
બગદાણા દર્શનાર્થે જતા બનેલો કરૂણ બનાવ : ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલથી બગદાણા દર્શનાર્થે ગયેલી એક ખાનગી બસને પરત ફરતી વખતે ગમખ્વાર અકસ્માત નડ્યો છે. ગોંડલના વોરા કોટડા ગામ નજીક વહેલી સવારે બસ પલટી ખાતા 2 મહિલાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ બસમાં મહિલાઓ અને બાળકો સહિત 62 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્ર બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા. જોઈએ આ અહેવાલ.
પુરષોત્તમ માસ નિમિત્તે ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે 4.30 વાગ્યે એક ખાનગી બસ જાત્રા માટે બગદાણા, રાજપરા, ઉંચા કોટડા અને ભગુડા સહિતના ધાર્મિક સ્થળો પર જવા રવાના થઈ હતી. દર્શન કરી પરત ફરી રહેલી આ બસ (જેનો નંબર GJ18U 9985 છે) આજે વહેલી સવારે 4.30 વાગ્યાની આસપાસ ગોંડલના વોરા કોટડાથી બાંદરા જવાના રોડ પર પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, અહીંનો રોડ સિંગલ પટ્ટી હોવાથી સામેથી એક ટ્રક આવી રહ્યો હતો. ટ્રકને સાઇડ આપવા માટે ખાનગી બસના ચાલકે બસ રિવર્સ લીધી હતી, તે જ સમયે બસ પરનો કાબૂ ગુમાવતા બસ રોડ થી નીચે ખાડામાં પલટી મારી ગઈ હતી. વહેલી સવારે બનેલી આ ગોઝારી ઘટનાને પગલે મુસાફરોની ચિચિયારીઓથી આખો રોડ ગુંજી ઉઠ્યો હતો. બસમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત કુલ 62 લોકો સવાર હતા.
આ અકસ્માતમાં 2 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ગોંડલ નગરપાલિકાની 3 એમ્બ્યુલન્સ, 108ની 4 જેટલી એમ્બ્યુલન્સ, શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
એમ્બ્યુલન્સ ઉપરાંત ખાનગી વાહનો દ્વારા પણ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સેવાકાર્યમાં વોરા કોટડા અને દેવચડી ગામના સ્થાનિક યુવાનો, સામાજિક કાર્યકરો, ધારાસભ્ય ના PA નિલેશભાઈ જેઠવા, અશોકભાઈ પીપળીયા, નગરપાલિકા ઉપ પ્રમુખ મનીષભાઈ રૈયાણી, સદસ્ય નિલેશ કાપડિયા
શિવમ સાર્વજનિક ટ્રસ્ટના જય માધડ, ગીરીશભાઈ ગોહેલ, જગાભાઈ બાંભવા, રાજુભાઇ દાફડા, નરેશભાઇ ભાષા, સહિતના દોડી આવ્યા હતા. અને કાચ તોડી સામાજિક કાર્યકરોએ ઇજાગ્રસ્તો ને બહાર કાઢ્યા હતા.
તમામ ઈજાગ્રસ્તોને ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 5 લોકોની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટ અને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ઘટનાની ગંભીરતાને જોતા 112 પોલીસ સ્ટાફ અને વિવિધ રાજકીય આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બીજી તરફ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ના PA નિલેશભાઈ જેઠવા નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ દીપકભાઈ ગોવાણી, જગદીશભાઈ રામાણી, શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ માધડ, જય માધડ, સહિતના પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની સારવારમાં મદદરૂપ થયા હતા. હાલ ગોંડલ તાલુકાના IPS પ્રખરકુમાર સહિતનો પોલીસ સ્ટાફ આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે. તંત્ર દ્વારા ઈજાગ્રસ્તોને તમામ પ્રકારની મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.


