મોરબી જિલ્લાના માળિયામાં મિંયાણા સમાજનો છાત્ર સન્માન સમારોહ યોજાયો
પ્રથમ વખત થયેલા આયોજનમાં ૨૬ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું : હઝરત મુલતાનશાહ ટ્રસ્ટ દ્વારા યોજાયો કાર્યક્રમ
અગ્ર ગુજરાત, રાજકોટ
માળિયા મિયાણા ખાતે હઝરત મુલતાનશાહ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી “મિયાણા સમાજ શૈક્ષણિક સન્માન સમારોહ – ૨૦૨૬” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મિયાણા સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા તથા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવાના હેતુથી યોજાયેલ આ કાર્યક્રમને સમાજના વિવિધ વર્ગોમાંથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે તાલુકા પંચાયત માળિયા મિયાણાના ડેપ્યુટી એકાઉન્ટન્ટ ડી.એ. ઝાલા, ATDO વિવેકભાઈ હુમ્બલ, TPEOના પ્રતિનિધિ નરેન્દ્રભાઈ, માળિયા મિયાણા નગરપાલિકાના પ્રમુખ હારુનભાઈ સંધવાણી, ઉપપ્રમુખ વિરમ નૂરઅલી મોવાર, મિયાણા સમાજ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ ઇકબાલભાઈ ઉમરભાઈ જેડા, GPCC ચેરમેન જુસબભાઈ સંધવાણી, સમાજના અગ્રણી ભાનુસાહેબ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સમાજસેવી અબ્બાસભાઈ જામ, જુસબભાઈ મહમદભાઈ જેડા, હુસેનભાઇ ભચુભાઇ ભટ્ટી, જમાતના મુખી અવેશભાઈ જેડા, ટ્રસ્ટી દાઉદભાઈ વલીમામદભાઈ કટીયા તથા અન્ય ટ્રસ્ટીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વયંસેવક તરીકે સબીરભાઈ જેડા અને ઇકબાલભાઈ ભટ્ટી સહિત અનેક યુવાનો દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ધોરણ 10, ધોરણ 12 તથા અન્ય ઉચ્ચતર શૈક્ષણિક પ્રવાહોમાં સફળતા પ્રાપ્ત કરનાર કુલ 26 વિદ્યાર્થીઓને મેડલ, સન્માનપત્ર અને અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓમાં ધોરણ 10 માં 94.33 ટકા સાથે ઉત્તમ સફળતા મેળવનાર સલમાન મહમદ રફીક મોવર તથા 93.66 ટકા સાથે સફળતા મેળવનાર સલમા સલેમાન મોવરને વિશેષ અભિનંદન આપવામાં આવ્યા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 92.60 ટકા સાથે નોંધપાત્ર સફળતા મેળવનાર શમીર અલિયાસ મોવરને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શમીર અલિયાસ મોવારને રોયલ સ્ટેટ માળિયા મિયાણા પરિવાર તથા ડૉ. પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા રૂ. 1,500 નું પ્રોત્સાહન પુરસ્કાર પણ અર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ દાતા સુભાનભાઈ બાવાભાઈ સંધવાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે ભોળીપાટ વાંટ વિસ્તારમાં પ્રાથમિક શાળા માટે જમીન દાન આપી શિક્ષણના પવિત્ર કાર્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું હોવાથી સમાજ દ્વારા તેમનો જાહેર સન્માન કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મહેમાનઓએ પોતાના ઉદ્દબોધનમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સરકારી સેવાઓ, વ્યાવસાયિક કારકિર્દી તથા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. મહેમાનો દ્વારા આ પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમો સમાજના વિકાસ માટે અત્યંત જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે તમામ મહેમાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ, દાતાઓ, ટ્રસ્ટીઓ, સ્વયંસેવકો તથા સમાજજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


