સગીરા પર ગેંગરેપ કેસમાં ટ્રાફિક વોર્ડન સહિત પાંચ આરોપી ઝડપાયા
ચાલતી કારમાં ગેંગરેપ આચર્યાનો આરોપ, ત્રણ ફરાર ; દુષ્કર્મમાં વપરાયેલી સ્વિફ્ટ કાર પણ કબજે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં ભક્તિનગર પોલીસે સગીર વયની સહેલી અને એક સગીર આરોપી સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી જીજે.03.પીજે.4330 નંબરની સફેદ સ્વિફ્ટ કાર પણ કબ્જે કરી તપાસનો દોર વધુ તીવ્ર બનાવ્યો છે.
એસીપી વી.બી. જાડેજાના જણાવ્યા મુજબ, ઝડપાયેલા આરોપીઓમાં મિહિર કુગશીયા, ધવલ રાઠોડ અને સાહિલ ઉર્ફે ઝેરીનો સમાવેશ થાય છે. જેમાં ધવલ રાઠોડ ટ્રાફિક શાખામાં વોર્ડન તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે મિહિર કુગશીયા અગાઉ નકલી પોલીસ બની લોકો સાથે તોડબાજી કરવાના છ ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસ તપાસ મુજબ, સગીરાની સગીર વયની સહેલીએ તેને મોબાઈલ ફોન આપ્યો હતો, જેના માધ્યમથી તેનો સંપર્ક ડેવિલ ઉર્ફે સાહિલ સાથે થયો હતો. સોશિયલ મીડિયા મારફતે મિત્રતા વધાર્યા બાદ આરોપીઓએ સગીરાને વિશ્વાસમાં લઈ અલગ અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, 29 માર્ચ 2026ના રોજ આરોપી ડેવિલ અને સાહિલ સગીરાને લઈ જંગલેશ્વરમાં આવેલા મકાનમાં પહોંચ્યા હતા, જ્યાં ડેવિલે સગીરાને ડરાવી-ધમકાવી તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અન્ય આરોપીઓએ પણ સોશિયલ મીડિયા મારફતે પરિચય કેળવી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હોટલોમાં લઈ જઈ અત્યાચાર ગુજાર્યો હતો.
તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, 6 મેના રોજ મિહિર કુગશીયા સગીરાને બસપોર્ટ નજીકની હોટલમાં લઈ ગયો હતો અને પોતે પોલીસ હોવાનું કહી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ 16 મેના રોજ આરોપી રજાક ઠેબાએ પણ સગીરાને હોટલમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી ચોંકાવનારી ઘટના 17 મેના રોજ બની હતી. પોલીસ મુજબ, આરોપી રજાક ઠેબા, ધવલ અને આશીફ શાહમદારે સગીરાને સફેદ સ્વિફ્ટ કારમાં બેસાડી લઈ ગયા હતા. કારમાં જ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણેયે વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.
પોલીસે જણાવ્યું હતું કે, સગીરાને બે અલગ અલગ હોટલોમાં લઈ જવામાં આવી હતી. તેથી હોટલ સંચાલકોએ ઓળખ પુરાવા ચકાસ્યા હતા કે નહીં અને કોઈ બેદરકારી રાખવામાં આવી હતી કે કેમ તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જો કોઈ ક્ષતિ સામે આવશે તો હોટલ સંચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ કેસમાં વધુ એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી છે કે, ભોગ બનનાર સગીરા સાથે મે-2025 દરમિયાન પણ એક સગીર દ્વારા દુષ્કર્મ આચરાયું હતું, જે મામલે અગાઉથી જ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે અને હાલ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.
આ ઉપરાંત એપ્રિલ-2026 દરમિયાન સગીરા ઘરેથી નીકળી ગઈ હતી અને બીજા દિવસે પરત ફર્યા બાદ પરિવારના ભયને કારણે ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ ભક્તિનગર પોલીસે BNSની વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા અને સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે.


