ઉનાના ખાપટ ગામના તળાવમાંથી નીલગાયનો મૃતદેહ મળ્યો
ઊંડા પાણી અને બે મગર વચ્ચે કલાકોની જહેમત બાદ વન વિભાગે મૃતદેહ બહાર કઢાયો
અગ્ર ગુજરાત, ઉના
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામ નજીક આવેલા નિર્મળ નીર તળાવમાંથી એક નીલ ગાય નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. તળાવ માં બે કરતા વધુ મગરના વસવાટની પુષ્ટિ થઈ હોવા છતાં વન વિભાગની ટીમે જીવના જોખમે સફળ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડીને મૃતદેહને બહાર કાઢ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ખાપટગામનાસ્થાનિકોએતળાવ માં નીલગાયનો મૃતદેહ તરતો જોયો હતો. તાત્કાલિક જસાધાર વન વિભાગ ને જાણ કરવામાં આવતા ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બાંભણિયા સહિતની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
વન વિભાગની ટીમે તળાવનું નિરીક્ષણ કરતા જણાયું કે તળાવમાં પાણીની ઊંડાઈ વધુ છે. સૌથી મોટોપડકાર એ હતો કે ફોરેસ્ટર જીતેન્દ્રભાઈબાંભણિયાનાજણાવ્યા મુજબ, તળાવમાં બેથી વધુ મગરનો કાયમી વસવાટ છે. ઊંડા પાણી અને મગરની હાજરી વચ્ચે નીલગાયના મૃતદેહને બહાર કાઢવાનું કાર્ય અત્યંત જોખમી અને પડકારજનક બની ગયું હતું.
જોકે, વન વિભાગની પ્રશિક્ષિત રેસ્ક્યૂ ટીમે હિંમત ન હારતા જીવના જોખમે કલાકો સુધી જહેમત ઉઠાવી. આખરે ભારે મહેનત બાદ નીલગાયના મૃતદેહને સફળ તાપૂર્વક તળાવની બહાર કાઢવામાં આવ્યો હતો. વન વિભાગની આ કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી. રેસ્ક્યૂ કરાયેલા નીલગાયના મૃતદેહને વધુ તપાસ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. ત્યાં પશુ ચિકિત્સક દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.
પ્રાથમિક અનુમાન મુજબ, નીલગાયનો શિકાર મગર દ્વારા કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગેની સત્તાવાર પુષ્ટિ થશે. તળાવમાં મગરના કાયમી વસવાટને કારણે ખાપટ અને આસપાસના ગ્રામજનોમાં ભારે ચિંતા અને દહેશત વ્યાપી ગઈ છે. સ્થાનિક ખેડૂતોના માલઢોર રોજિંદા પાણી પીવા તળાવે જતા હોવાથી મગર દ્વારા હુમલાનો ભય તેમને સતત સતાવી રહ્યો છે.
ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ તળાવમાંથી મગરનું તાત્કાલિક રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી છે. સાથે જ ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો કે, જો મગર દ્વારા ભવિષ્યમાં કોઈ નાના પશુઓ, જેમ કે ઘેટાં, બકરાં કે વાછરડાં પર હુમલો કરી શિકાર કરવામાં આવશે, તો શું વન વિભાગ નિયમોનુસાર મારણ કેસ ગણીને પશુપાલકોને નુકસાનીની સહાય ચૂકવશે ખરી?
વન વિભાગે હાલ ગ્રામજનોને તળાવ નજીક ન જવાની અને પશુઓને પણ દૂર રાખવાની સૂચના આપી છે.સાથે જ મગરની હિલચાલ પર નજર રાખવા માટે પેટ્રોલિંગ વધારવાની ખાતરી આપી છે.


