ધોરાજીની શફુરા નદીમાં કેમિકલના ફીણનો કહેર : જેતપુરના કેમિકલ માફિયાઓ સામે પૂર્વ ધારાસભ્યના પ્રહારો
નદીમાં ઉડતા ફિણ વિકાસ નહી પરંતુ તંત્રની નિષ્ક્રિયતાનું પ્રતિક : લલીત વસોયા
અગ્ર ગુજરાત, ધોરાજી
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલ પંચનાથ મહાદેવ મંદિર નજીકથી પસાર થતી શફુરા નદીમાં ભારે પ્રદૂષણના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. સતત વરસાદ વચ્ચે નદીમાં પાણીની આવક વધી હોવા છતાં પાણી ઉપર સફેદ બરફ જેવી જાડી ફીણની ચાદર છવાઈ જતાં સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે.
છેલ્લા બે દિવસથી ધોરાજી પંથકમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો છે, જેના કારણે નદી-નાળા, ચેકડેમ અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. પરંતુ કુદરતી પાણીની સાથે નદીમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ભળ્યું હોવાની આશંકા વચ્ચે શફુરા નદીનું રૂપ બદલાઈ ગયું છે.
નદીના અનેક વિસ્તારોમાં સફેદ ફીણના ગોટેગોટા ઊડતા જોવા મળ્યા હતા. હવાના ઝોકા સાથે ફીણ દૂર સુધી ફેલાતાં લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. સ્થાનિકોનું માનવું છે કે, આ સ્થિતિ કુદરતી નહીં પરંતુ ઔદ્યોગિક પ્રદૂષણનું પરિણામ હોઈ શકે છે.
આ મુદ્દે ધોરાજી-ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, “ભાદર નદી બાદ હવે જેતપુરના કેમિકલ માફિયાઓએ શફુરા નદીને પણ પોતાની ઝેરી પ્રવૃત્તિઓનું નિશાન બનાવી છે. વરસાદની આડમાં પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી નદીઓમાં છોડવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “છ વર્ષ બાદ ફરી એકવાર શફુરા નદીમાં કાશ્મીરના બરફ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આ સૌંદર્ય નહીં, વિનાશની ચેતવણી છે. નદીમાં ઉડતા ફીણ વિકાસ નહીં પરંતુ પ્રદૂષણ અને તંત્રની નિષ્ક્રિયતાનું પ્રતિક છે.”
લલિત વસોયાએ પર્યાવરણને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે, જો ઉદ્યોગોના ગંદા અને ઝેરી પાણી પર નિયંત્રણ હોવાનો દાવો કરવામાં આવે છે તો પછી નદીઓમાં આ પ્રકારનું પ્રદૂષણ વારંવાર કેમ જોવા મળે છે?
તેમણે જવાબદાર વિભાગો, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સ્થાનિક તંત્ર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, જો સમયસર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારી પેઢીઓને સ્વચ્છ નદીઓ નહીં પરંતુ ઝેરી પ્રવાહો વારસામાં મળશે.
સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમીઓએ શફુરા નદીના પાણીના નમૂનાઓની તાત્કાલિક તપાસ કરીને હકીકત બહાર લાવવાની માંગ કરી છે. સાથે જ દોષિત તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરીને નદીઓને પ્રદૂષણમુક્ત બનાવવાની પણ માંગ ઉઠી રહી છે.


