વિરોધ વચ્ચે મનપા માર્કેટ ખાલી કરાવવા મક્કમ
જયુબેલી શાક માર્કેટ સાત દિવસમાં ખાલી કરો, વેપારીઓને નોટીસ
કેટલાક વેપારીઓ હાજર નહી હોવાથી થડા પર જ નોટીસ ચિપકાવી દેવાઇ : વૈકલ્પિક વ્યવસ્થા નહી કરતા વેપારીઓની આજીવિકા પર સવાલ, ધંધાર્થીઓમાં રોષ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મનપા દ્વારા 48 વર્ષ જૂની જ્યુબિલી શાકમાર્કેટ તોડીને તેના સ્થાને રૂ. 29 કરોડના ખર્ચે બે માળની નવી આધુનિક માર્કેટ બનાવવા માટે માર્કેટ ખાલી કરાવવા બે દિવસથી મૌખિક સૂચનાઓ અપાતી હતી. ત્યારે એસ્ટેટ શાખાએ માર્કેટ ખાલી કરાવવાની લેખિત નોટિસો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. કુલ 215 વેપારીઓને આગામી 7 દિવસમાં માર્કેટ સંપૂર્ણપણે ખાલી કરી દેવા કડક આદેશ કરાતાં વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે, જેમાં કેટલાક વેપારીઓ હાજર ન હોવાથી તેમના બંધ થડા પર નોટિસો ચોંટાડી દેવામાં આવી છે. જેને લઈને પોતાની આજીવિકા ગુમાવવાના ડરથી વેપારીઓ દ્વારા તંત્ર સમક્ષ ધંધા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરવામાં આવી છે. અને માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે તંત્ર માર્કેટ ખાલી કરાવવા મક્કમ છે.
પ્રાપ્ત વિગત મુજબ, જ્યુબિલી શાક માર્કેટનું નિર્માણ અંદાજે 48 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. લાંબા સમયગાળા અને યોગ્ય જાળવણીના અભાવે માર્કેટનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત અને ભયજનક અવસ્થામાં આવી ગયું છે. ચોમાસા દરમિયાન કે સામાન્ય દિવસોમાં પણ અહીં ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સતત તોળાતો રહેતો હતો. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને મનપાની બાંધકામ શાખા દ્વારા આખી માર્કેટનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બિલ્ડિંગ ગમે ત્યારે તૂટી પડે તેવી ભયજનક સ્થિતિમાં હોવાનો સ્પષ્ટ અભિપ્રાય આપવામાં આવ્યો હતો.
નાગરિકો અને વેપારીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને મનપા દ્વારા ચાલુ વર્ષના બજેટમાં આ જ્યુબિલી શાક માર્કેટને તોડીને તે જ જગ્યાએ રૂ. 29 કરોડના વિશાળ ખર્ચે અત્યાધુનિક બે માળની નવી શાક માર્કેટ બનાવાની મહત્વકાંક્ષી યોજના મંજૂર કરવામાં આવી હતી. આ યોજનાના અનુસંધાને મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે સ્થળ પર પ્રત્યક્ષ બાંધકામની કામગીરી શરૂ કરવા માટે માર્કેટ ખાલી કરાવવાની કાયદાકીય પ્રક્રિયા તંત્ર દ્વારા તેજ ગતિએ આગળ ધપાવવામાં આવી રહી છે.
બીજી તરફ, તંત્રની આ ઓચિંતી કાર્યવાહીને કારણે વર્ષોથી અહીં વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા નાના વેપારીઓ અને થડા ધારકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જ્યુબિલી શાક માર્કેટમાં હાલમાં કુલ 279 થડા આવેલા છે, જેમાંથી નિયમિત ધોરણે 166 વેપારીઓ બેસે છે. આ ઉપરાંત, થોડા સમય પહેલાં મનપા દ્વારા લાખાજીરાજ શાક માર્કેટ પણ ખાલી કરાવવામાં આવી હતી અને તેના 49 થડા ધારકોને પણ હંગામી ધોરણે આ જ્યુબિલી માર્કેટમાં સમાવવામાં આવ્યા હતા. આમ, લાખાજીરાજ માર્કેટના વેપારીઓ સહિત કુલ 215 વેપારીઓને આજે(18મે) એસ્ટેટ શાખા દ્વારા સામૂહિક રીતે નોટિસો આપી દેવામાં આવી છે.
વેપારીઓનું કહેવું છે કે, તેઓ તંત્રના વિકાસ કાર્યોની સામે નથી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા વગર જો તેમને અચાનક જ સાત દિવસમાં હાંકી કાઢવામાં આવશે તો તેમની રોજીરોટી સંપૂર્ણપણે છીનવાઈ જશે. માર્કેટના થડા ધારકોની મુખ્ય માંગણી એ છે કે જ્યાં સુધી રૂ. 29 કરોડના ખર્ચે નવી માર્કેટનું નિર્માણ કાર્ય પૂર્ણ ન થાય, ત્યાં સુધી મનપા દ્વારા તેમને ધંધો કરવા માટે યોગ્ય વૈકલ્પિક જગ્યા કે હંગામી માર્કેટ બનાવી આપવામાં આવે. જો વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વેપારીઓ દ્વારા મનપા કચેરી સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વેપારીઓ દ્વારા રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.


