જંગલેશ્વર ડિમોલીશન ખર્ચ મુદ્દે ‘ગેરરીતિ સાબિત થશે તો કોઈને છોડવામાં નહીં આવે’ : મેયર ડૉ.નેહલ શુકલ
મેયરે કમિશનરને તપાસ સમિતિ રચવાની ભલામણ કરી; સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલા બિલો શંકાના દાયરામાં આવતા તલસ્પર્શી તપાસના આદેશ, દોષિત સામે BPMC એક્ટ મુજબ કાર્યવાહીનો વિશ્વાસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જંગલેશ્વર ડિમોલીશન ખર્ચને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે મેયર ડૉ. નેહલ શુક્લ અને શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં મેયરે સ્પષ્ટ કર્યું કે સમગ્ર મામલે પારદર્શિતા જળવાઈ રહે અને પ્રજાના નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં તેની ખાતરી કરવા માટે તેમણે મ્યુનિસિપલ કમિશનરને તપાસ સમિતિ રચવાની લેખિત ભલામણ કરી છે.
ડૉ. નેહલ શુક્લે જણાવ્યું કે જંગલેશ્વર ડિમોલીશન સંબંધિત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયેલા કેટલાક બિલો શંકાના દાયરામાં આવતા સમગ્ર પ્રક્રિયાની સચોટ અને તલસ્પર્શી તપાસ જરૂરી બની છે. આથી નિષ્પક્ષ તપાસ માટે વિશેષ કમિટીની રચના કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તપાસ દરમિયાન જો કોઈપણ અધિકારી, કર્મચારી કે અન્ય વ્યક્તિની ગેરરીતિ અથવા ભ્રષ્ટાચારમાં સંડોવણી સામે આવશે તો તેને કોઈપણ સંજોગોમાં બચાવવામાં નહીં આવે. દોષિત સામે BPMC એક્ટ તેમજ અન્ય લાગુ કાયદાકીય જોગવાઈઓ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
મેયરે જણાવ્યું કે, “મારી ભલામણ છે કે તપાસ સમિતિ સંપૂર્ણ નિષ્પક્ષતા અને તલસ્પર્શી રીતે દરેક દસ્તાવેજ, બિલ અને કામગીરીની ચકાસણી કરે. પ્રજાના પૈસા સાથે કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં.”
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શહેર પ્રમુખ ડૉ. માધવ દવેએ પણ જણાવ્યું કે પારદર્શિતા અને જવાબદારી ભાજપની પ્રાથમિકતા છે અને જો તપાસમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જંગલેશ્વર ડિમોલીશન ખર્ચને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મેયરના આ નિવેદનને મહત્વપૂર્ણ રાજકીય અને વહીવટી પગલું માનવામાં આવી રહ્યું છે. હવે તપાસ સમિતિની રચના અને તેના અહેવાલ પર સૌની નજર રહેશે.


