જંગલેશ્વર કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સત્તાધીશો પર પ્રહાર: ‘કમિશનર મૌન કેમ? જનપ્રતિનિધિઓ ચૂપ શા માટે?’
ખાણીપીણી અને બિલોમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો વચ્ચે વિજિલન્સ તપાસની માંગ : દોષિતોને બરતરફ કરી જેલમાં મોકલવાની કોંગ્રેસની ઉગ્ર રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા, શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ ઉપપ્રમુખ પટેલ નાગજીભાઈ વિરાણી, કોંગ્રેસ આગેવાનો લખાભાઈ ઉંધાડ, જયંતીભાઈ હિરપરાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાએ બોડી બામણીનું ખેતર અને બાવો રખોલીયા જેવી સ્થિતિ છે. મહાનગરપાલિકા ભ્રષ્ટાચારની ગંગોત્રી છે તેમાં વખતો વખત લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ એસીબીની ટ્રેપમાં રંગે હાથ ઝડપાયા છે અને અનેક અધિકારીઓ પાસેથી બેનામી સંપત્તિઓ અંગે પણ ગુનાઓ દાખલ થયા છે. એક પણ શાખા દૂધે ધોયેલી હોય એવું લાગતું નથી. સમયાંતરે મહાનગરપાલિકામાં અને કૌભાંડો ભ્રષ્ટાચારો ફલિત થઈ રહ્યા છે.
તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન કરી વાહ વાહી મેળવી પત્રકાર પરિષદ બોલાવનારા અધિકારીઓની હવે બોલતી બંધ થઈ ગઈ છે કારણ કે ખાણીપીણી, કાજુકતરી, પાણી, ડ્રોન, વિડીયોગ્રાફી અન્ય જે લાખોના બિલો પાસ થઈ ગયા છે અને અમુક બીલો કોન્ટ્રાક્ટરને ચુકવણું પણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં આવેલ કેટલાક બિલો અંગે ફેર વિચારણા કરી અટકાવવામાં આવ્યા છે.
ગુજરાત સરકારે નાણાનો યોગ્ય ઉપયોગ થાય તે માટે ગુજરાત નાણાકીય નિગમો 1971 તૈયાર કરેલ છે તેમાં નાણાકીય ખર્ચ કરાતો હોય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમકે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિતની સંસ્થાઓએ પણ આ નિયમનું પાલન કરવાનું હોય છે. અને તેમ છતાં આ નિયમોનો ઉલાળીયો કરી મન ફાવે તે રીતે મન પડે તે પ્રકારે બીલો બનાવવામાં આવ્યા છે જેમાં ખાસ તો ત્રણ થી ચાર રૂપિયાની પાણીની બોટલના આઠ રૂપિયા આપવામાં આવ્યા અને પાણી અંગે ₹12 લાખ ચૂકવી દેવામાં આવ્યા પ્રથમ દ્રષ્ટિએ જ આ બિલમાં ભ્રષ્ટાચાર બદબુ આવે છે. જંગલેશ્વર ડિમોલિશનમાં કરવામાં આવેલ અંદાજે ત્રણેક કરોડનો ખર્ચ શંકાસ્પદ છે ત્યારે રાજકોટના પ્રજાજનોએ પરસેવાના કમાણીમાંથી ભરાયેલા વેરાના નાણા નો વેડફાટ અને દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ નાણાંના વેડફાટ અંગે રાજકોટ શહેર પોલીસ અને ભાજપના શાસક પક્ષના પૂર્વ નેતા એ પણ બિલોને શંકાસ્પદ ગણાવ્યા છે અને ભાજપના નેતા એ તો ત્યાં સુધી કહ્યું કે મહાનગરપાલિકામાં બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે અને અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ. જમવાનું અને પાણીની વ્યવસ્થા રાજકોટ શહેરની અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી અને તેમ છતાં જે પાણીના બીલો અને ખાણીપીણીના બીલો કયા ખાઉધરા અધિકારીઓ ખાઈ ગયા તેની તપાસ થવી ઘટે. જો દાનત હોય તો તત્કાલીન સમયે સ્થળ ઉપર ડ્રોનની મદદથી અને વિડીયોગ્રાફીથી સમગ્ર ડીમોલિશનનું કવરેજ થતું હતું ત્યારે કોણ શું કરે છે ? કોણ ક્યાં જમે છે ? એ બધું કેમેરામાં કેદ છે તેની તપાસ કરી સમગ્ર પ્રકરણની વિજિલન્સ તપાસ થવી જોઈએ. હાલ સોશિયલ મીડિયામાં અને રાજકોટના દૈનિક વર્તમાન પત્રોમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ આ અંગે ભારે ઉહાપોહ થયો છે અને રાજકોટ મહાનગરપાલિકાની છાપ સમગ્ર ગુજરાતમાં ખરડાઈ છે ત્યારે લાખોના બિલો અંગે વિજીલેન્સ તપાસ થવી જોઈએ. એવી અમારી માંગ છે. રાજકોટની જનતાએ ભાજપને ખોબલે ખોબલે મતો આપી મહાનગરપાલિકામાં 65 નગર સેવકો, 4 ધારાસભ્યો અને સંસદ ને જંગી બહુમતીથી ચૂંટવામાં આવ્યા છે ત્યારે આ તમામની જંગલેશ્વર ડિમોલિશનમાં બોલતી બંધ થઈ ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આ અંગે પોતાનું મૌન તોડે અને જવાબદારો સામે પગલા ભરી દાખલા રૂપ સજા કરે તેવી રાજકોટની જનતાની માંગ છે. રાજકોટના જાબાજ મ્યુનિસિપલ કમિશનરો જેમ કે એસ. જગદીશન, મુકેશકુમાર, વિજય નેહરા ને લોકો આજે વર્ષો પછી પણ યાદ કરે છે ત્યારે વર્તમાન મ્યુનિસિપલ કમિશનરને પણ લોકો યાદ કરે એ માટે કૌભાંડીઓને જેલ ભેગા કરવાની તક મળી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકામાં તા.28/5/2017ના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વોર્ડ નંબર ત્રણના જામનગર રોડ પર સફાઈ કામદાર આવાસ લાભાર્થીઓને સબસીડી ચેક વિતરણના કાર્યક્રમમાં એક ગ્લાસ છાસના ₹153 છાસ કૌભાંડ પ્રકાશમાં આવેલ હતું આ બીલ તત્કાલીન સમયની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર પણ થયું હતું જે તે સમયે ઉપરોક્ત આગેવાનોએ રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન સમયના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિપાની ને તારીખ 2/4/18 ના લેખિત ફરિયાદ કરી વિરોધ નોંધાવ્યા બાદ કાર્યક્રમો અપાયા હતા. હાલ જાણવા મળતી વિગતો મુજબ આજની તારીખે તે સમયના કમિશનરે બિલ સ્ટોપ પેમેન્ટ કરી દીધું હતું. જે હજુ ચુકવણું કરવામાં આવ્યું નથી રેટ કોન્ટ્રાક્ટ મળવાથી લૂંટવાનો પીળો પરવાનો મળી નથી જતો. વર્તમાન મ્યુનિસિપલ કમિશનર જંગલેશ્વર ડિમોલિશન બાબતના તમામ બિલોની ઝીણવટ ભરી તપાસ કરી ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો હોય તો અધિકારીઓને કે કોન્ટ્રાક્ટરોને દાખલારૂપ સજા કરે તેવી આસવાણી, ઝાલા, વિરાણી એ માંગ ઉઠાવી છે.


