લખતરના કલ્યાણપુર ગામના પરિવારનો વિરમગામ નજીક અકસ્માત : ત્રણના મોત
ઇજાગ્રસ્ત લોકોને સારવારમાં ખસેડાયા : બાઇકને બોલેરોએ હડફેટે લેતા બનેલો બનાવ : ચાલક ફરાર : પરિવારમાં શોકનો માહોલ
અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર
વિરમગામ તાલુકાના કમીજલા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર આશરે 5 વર્ષની બાળકી સહિત કુલ 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. ત્રણેય મૃતકો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કલ્યાણપુરા ગામના રહેવાસી છે.
કલ્યાણપરાનો મેણીયા પરિવાર બાઈક પર સવાર થઈને નભોઈ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન કમીજલા અને વનથળ ગામની વચ્ચે પહોંચતા જ કાળમુખી બોલેરો પીકઅપ ગાડીએ પાછળથી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈકનો કચરણઘાણ નીકળી ગયો હતો. બાઈક પર સવાર મેણીયા પરિવારના 3 સભ્યોએ સ્થળ પર જ દમ તોડ્યો હતો, જેમાં મૃતક મહિલાનો એક પગ કપાઈને અલગ થઈ ગયો હતો.
જ્યારે અકસ્માતમાં ઘવાયેલા અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ ઘટનાને પગલે કલ્યાણપરા ગામમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.
અકસ્માત સર્જ્યા બાદ પીકઅપ ચાલક પોતાની ગાડી લઈને સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે હાલ અજાણ્યા પીકઅપ ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી તેને શોધી કાઢવા માટે સીસીટીવી ફૂટેજ અને અન્ય કડીઓના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ફરાર વાહનચાલકને ઝડપી પાડવા માટે વિવિધ દિશાઓમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મૃતકોની વિગત
અલ્પેશભાઈ અશોકભાઈ મેણીયા – ઉંમર 22
સન્તોકબેન અશોકભાઈ મેણીયા ઉંમર 40
માનવી વસન્તભાઈ મેણીયા – ઉંમર 6 વર્ષ


