એલસીબીના કુશળ ગુનાશોધક પીએસઆઇ આર.એચ. ઝાલાની વાવ-થરાદ રેન્જમાં બદલી
ચાર વર્ષમાં 150થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી છોડી આગવી છાપ, પોલીસ અધિકારીઓએ ભાવભીની વિદાય સાથે પાઠવી શુભેચ્છાઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર પોલીસમાં પોતાની કાર્યક્ષમતા, ગુનાશોધક કૌશલ્ય અને કર્તવ્યનિષ્ઠા માટે ઓળખ ઉભી કરનાર એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર.એચ. ઝાલાની વાવ-થરાદ રેન્જમાં બદલી થતા પોલીસ બેડામાં ભાવુક માહોલ સર્જાયો હતો. તેમની વિદાય નિમિત્તે આયોજિત સમારોહમાં ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મચારીઓએ ઉપસ્થિત રહી તેમની સેવાઓને બિરદાવી નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
પોલીસ કારકિર્દીની શરૂઆત વર્ષ 1999માં કોન્સ્ટેબલ તરીકે કરનાર આર.એચ. ઝાલાએ લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યા બાદ વર્ષ 2022માં યોજાયેલી વિભાગીય પરીક્ષામાં સફળતા મેળવી પીએસઆઇ તરીકે પ્રમોશન મેળવ્યું હતું. આ પરીક્ષામાં મર્યાદિત ઉમેદવારો જ સફળ રહ્યા હતા, જેમાં તેમનો પણ સમાવેશ થતો હતો. પીએસઆઇ તરીકે રાજકોટ શહેરમાં ફરજ સંભાળ્યા બાદ તેમણે ગુનાખોરી સામે અસરકારક કામગીરી કરીને પોતાની અલગ ઓળખ ઉભી કરી હતી. બાતમીદારોના મજબૂત નેટવર્ક અને તપાસની આગવી પદ્ધતિના આધારે તેમણે છેલ્લા ચાર વર્ષ દરમિયાન 150થી વધુ ગુનાઓનો સફળ ભેદ ઉકેલ્યો હતો. ઘરફોડ ચોરી, લૂંટ, વાહન ચોરી તેમજ ગુમ થયેલા લોકોની શોધખોળ જેવા અનેક સંવેદનશીલ અને પડકારજનક કેસોમાં તેમણે નોંધપાત્ર સફળતા મેળવી હતી.
વિદાય સમારોહ દરમિયાન ડીસીપી રાકેશ દેસાઈ સહિતના વરિષ્ઠ અધિકારીઓએ તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. સહકર્મચારીઓએ પણ તેમની સાથેના કાર્યકાળની યાદો તાજી કરી તેમને શુભકામનાઓ પાઠવી હતી. સમારોહના અંતે પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વાવ-થરાદ રેન્જમાં તેમની નવી જવાબદારી સફળતાપૂર્વક નિભાવે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
બોક્સ ગુનાશોધનમાં નોંધપાત્ર સિદ્ધિઓ
ચાર વર્ષમાં 150થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલ્યો
ઘરફોડ ચોરી અને લૂંટના અનેક કેસો ડિટેક્ટ કર્યા, વાહન ચોરીના ગુનાઓમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી, ગુમ થયેલા નાગરિકોને શોધી પરિવારજનો સાથે મિલન કરાવ્યું, બાતમીદારોના મજબૂત નેટવર્કથી ઝડપી તપાસમાં પારંગત બન્યા છે.


