સૂકાયેલા ખેતરોમાં ફરી હરિયાળીના સંકેત
18 જુલાઈ પછી મેઘરાજા કરશે ધમાકેદાર વાપસી
પેસિફિક મહાસાગરમાં સક્રિય વરસાદી સિસ્ટમો અને બંગાળની ખાડીમાં સંભવિત લો-પ્રેશરથી ગુજરાત સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં સારા વરસાદની શક્યતા ; સેટેલાઈટ તસવીરોથી વરસાદની નવી આશા, ખેડૂતો માટે રાહતના સંકેત
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ અચાનક વિરામ લેતાં ખેડૂતો સહિત સામાન્ય જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. પૂર્વ ભારતના કેટલાક વિસ્તારો સિવાય પશ્ચિમ, ઉત્તર અને મધ્ય ભારતના મોટા ભાગમાં વરસાદનો અભાવ હોવાથી દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે હવે સેટેલાઈટ તસવીરો અને આંતરરાષ્ટ્રીય હવામાન મોડેલોએ આશાજનક સંકેતો આપ્યા છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, 18થી 25 જુલાઈ વચ્ચે દેશમાં ફરી એકવાર ચોમાસું જોર પકડી શકે તેવી શક્યતા મજબૂત બની રહી છે.
હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં અનેક વરસાદી સિસ્ટમો અને ઓછા દબાણના વિસ્તારો સક્રિય થયા છે. જો આ સિસ્ટમો પશ્ચિમ તરફ આગળ વધીને બંગાળની ખાડી સુધી પહોંચશે તો ભારતના ચોમાસાને નવી તાકાત મળી શકે છે. યુરોપિયન મોડેલ ECMWF, અમેરિકન GFS અને ભારતીય હવામાન વિભાગ (IMD) સહિત અનેક મોડેલોમાં આ પ્રકારના સંકેતો જોવા મળી રહ્યા છે.
આ વર્ષે ચોમાસાની શરૂઆત સામાન્ય રહી હતી, પરંતુ જુલાઈના મધ્યભાગમાં તેની ગતિ ધીમી પડી ગઈ છે. પરિણામે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. વરસાદના અભાવે ચોખા, મકાઈ, કઠોળ સહિતના પાક પર અસર થવા લાગી છે, જ્યારે જળાશયોમાં પાણીની આવક પણ ઘટી રહી છે. બીજી તરફ ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનતાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં આગામી બે-ત્રણ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદથી તાપમાનમાં થોડો ઘટાડો થશે તેમજ ખેડૂતોને આંશિક રાહત મળશે.
હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે 18થી 25 જુલાઈનો સમયગાળો ચોમાસાની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ રહેશે. જો બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ વિકસશે તો નીચલા સ્તરના ભેજવાળા પવનો વધુ મજબૂત બનશે અને ચોમાસું ફરી સક્રિય થઈ શકે છે. તેના કારણે ગુજરાત, રાજસ્થાન, મધ્ય ભારત અને ઉત્તર ભારતના વરસાદથી વંચિત વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા ઊભી થશે.
નિષ્ણાતોનું માનવું છે કે પેસિફિક મહાસાગરમાં વિકસતી લા નીના જેવી સ્થિતિઓ પણ ભારતીય ચોમાસાને અનુકૂળ સાબિત થઈ શકે છે. જોકે સિસ્ટમોની દિશા અને તીવ્રતા બદલાય તો આગાહી બદલાઈ શકે છે. આથી ભારતીય હવામાન વિભાગ સહિતની એજન્સીઓ દરરોજ સેટેલાઈટ અને હવામાન મોડેલના ડેટાનું વિશ્લેષણ કરી રહી છે.
હાલની સ્થિતિમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આગામી દિવસો નિર્ણાયક સાબિત થશે. જો અનુમાન મુજબ સિસ્ટમો સક્રિય રહેશે તો જુલાઈના અંત સુધીમાં દેશના મોટા ભાગમાં ફરી સારો વરસાદ નોંધાઈ શકે છે અને ચોમાસું ફરી પાટા પર આવવાની આશા છે.
18થી 25 જુલાઈ કેમ મહત્વપૂર્ણ?
હવામાન નિષ્ણાતોના મતે 18થી 25 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ચોમાસું ફરી સક્રિય બને તો દેશના મોટાભાગના વરસાદથી વંચિત વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે.
ખેડૂતો માટે રાહતના સંકેત
ચોખા, મકાઈ, કઠોળ અને અન્ય ખરીફ પાક વરસાદના અભાવે અસરગ્રસ્ત બન્યા છે. આગામી સપ્તાહમાં સારો વરસાદ થાય તો પાકને નવી જીવંતતા મળશે અને સિંચાઈની ચિંતા પણ ઘટશે.
પશ્ચિમી વિક્ષેપ આપશે ઉત્તર ભારતમાં રાહત
પંજાબ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં આગામી બે-ત્રણ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આથી ગરમીમાં ઘટાડો અને કૃષિને આંશિક લાભ મળશે.
ગુજરાત માટે પણ સારા સમાચાર
જો બંગાળની ખાડીમાં સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાતમાં પણ ફરી વ્યાપક વરસાદની શક્યતા રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની રાહ જોતા ખેડૂતોને મોટી રાહત મળી શકે છે.
આબોહવા પરિવર્તનથી ચોમાસું બન્યું અનિયમિત
નિષ્ણાતોના મતે વધતા વૈશ્વિક તાપમાન અને બદલાતી પવન પ્રણાલીઓના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાની ગતિ અનિયમિત બની રહી છે. ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક લાંબા વિરામ જેવી સ્થિતિ સર્જાતા આગાહી કરવી વધુ પડકારજનક બની રહી છે.


