રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા વધારાઇ
૧૨ મીટર લાંબો V કોલમનું સફળતાપૂર્વક સ્થાપન : ઓવરબ્રિજના નિર્માણથી અકસ્માત અટકશે
અગ્ર ગુજરાત, રાજકોટ
મુસાફરોને સુરક્ષિત, સરળ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની દિશામાં પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના વિકાસ કાર્યોને સતત ગતિ આપી રહ્યું છે. આ જ ક્રમમાં સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર નિર્માણાધીન નવા ફૂટ ઓવર બ્રિજ (FOB) ના નિર્માણ કાર્ય અંતર્ગત 12 મીટર લાંબા ‘V’ કોલમની સ્થાપનાનું મહત્વપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ કાર્ય 11 અને 12 જુલાઈ, 2026 ના રોજ પૂર્વ નિર્ધારિત યોજના મુજબ પ્લેટફોર્મ નંબર 2 અને 3 ની વચ્ચે કરવામાં આવ્યું હતું. આ માટે લાઇન નંબર 3, 4, 5, 6, 7 અને 8 પર દરરોજ સવારે 06:25 વાગ્યાથી બપોરે 01:25 વાગ્યા સુધી ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવ્યો હતો.
નિર્ધારિત બ્લોક સમયગાળા દરમિયાન આધુનિક મશીનો અને નિષ્ણાત ટેકનિકલ ટીમની મદદથી 12 મીટર લાંબા ‘V’ કોલમની સ્થાપના સુરક્ષિત અને સફળતાપૂર્વક કરવામાં આવી હતી. કાર્ય દરમિયાન તમામ જરૂરી સુરક્ષા માપદંડોનું સંપૂર્ણ પાલન કરીને રેલ પરિવહન પણ સુવ્યવસ્થિત રાખવામાં આવ્યું હતું.
રાજકોટ ડિવિઝનના એન્જિનિયરિંગ વિભાગ અને અન્ય સંબંધિત શાખાઓના અધિકારીઓ તથા કર્મચારીઓના સંકલિત પ્રયાસોથી આ પડકારજનક કાર્ય સમયબદ્ધ અને સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ પૂર્ણ થયા બાદ મુસાફરોને પ્લેટફોર્મ વચ્ચે સુરક્ષિત, સુવિધાજનક અને અવિરત અવરજવરની આધુનિક સુવિધા મળશે. આનાથી સ્ટેશન પર મુસાફરોની અવરજવર વધુ સુરક્ષિત તેમજ સરળ બનશે અને મુસાફરોની સુરક્ષાની સાથે-સાથે ભીડના વ્યવસ્થાપનમાં પણ નોંધપાત્ર સુધારો આવશે.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, “મુસાફરોની સુરક્ષા અને સુવિધા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સુરેન્દ્રનગર સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ નિર્માણ કાર્યમાં થયેલી આ પ્રગતિ રાજકોટ ડિવિઝન દ્વારા આધુનિક અને સુરક્ષિત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.”


