વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ યોજાતા લોબિંગ કરનારને મળ્યો સમય
મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંકમાં ભારે ખેંચતાણ
રાજકોટ, સૌરાષ્ટ્ર અને વડોદરાના સત્તાધીશો માટે ગાંધીનગરમાં ફરી મનોમંથન શરૂ : ૨૦મી બાદ નામ જાહેર થવાની અટકળો : ‘મારા’ને ગોઠવવા છેલ્લી ઘડી સુધી લડી લેતા દિગ્ગજ નેતાઓ
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપે હવે તમામ જિલ્લાઓમાં તેના હોદ્દેદારોની વરણી કરવાની દિશામાં ક્વાયત હાથ ધરી છે જે અંતર્ગત આજથી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો બીજો તબક્કો શરુ થયો છે. આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને વડોદરાની મહાનગરપાલિકાઓ, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદેદારોના નામ પર મંથન ચાલી રહ્યુ છે.
આગામી દિવસોમાં એકસાથે તમામ નામ જાહેર કરાય તેવી સંભાવના છે. પ્રદેશ ભાજપના ઉપક્રમે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો બીજો તબક્કો આજથી શરુ થયો છે. 13 અને 14 મે એમ બે દિવસ માટે મળનારી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક અગાઉ મોકુફ રાખવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ અને વડોદરાના પ્રવાસે આવનાર હોવાથી આ બંને વિસ્તારોમાં સ્થાનિક આગેવાનો પીએમના પ્રવાસની તૈયારીઓ કરી શકે તે માટે આ સૌરાષ્ટ્ર અને વડોદરાના હોદ્દેદારોની પસંદગી મુલત્વી રાખવામા આવી હતી. અગાઉ 6,7 અને 8 મે ના રોજ મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં રાજ્યના અન્ય જિલ્લાઓ પરની સુનાવણી પૂર્ણ કરી દેવાઈ હતી પીએમનો પ્રવાસ પૂર્ણ થતા હવે આજથી બે દિવસ માટે મળનારી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં સૌરાષ્ટ્ર અને વડોદરા જિલ્લાની મહાનગરપાલિકાઓ, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદેદારો પર આખરી વિચારણા કરી નામ નક્કી કરવામાં આવશે.
નોંધનીય છે કે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક 6મે થી શરુ થઈ તે પહેલા મે માસના પ્રારંભે 1,2 અને 3 મેના રોજ ભાજપના નિરીક્ષકો રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા હતા. પ્રત્યેક હોદ્દા માટે 3-3 નામોની પેનલ નિરીક્ષકો તરફથી તૈયાર કરાઈ છે અને પાર્લામેન્ટ્રી બોર્ડમાં આ નામોની પેનલ પર જ આખરી વિચારણાઓ કરવામાં આવી રહી છે. આ પ્રકારે રાજ્યભરના હોદ્દેદારોના નામ પર વિચારણા કરી આખરી નામોની યાદી જાહેર કરાશે. તમામ નામ એકસાથે જાહેર કરાય અને તેના આધારે રાજ્યભરમાં નવા વરાયેલા હોદ્દેદારો 21 મે સુધીમાં તેમનો હોદ્દો સંભાળવાની પ્રક્રિયા પૂર્ણ કરી દે તેવી સંભાવના છે.
રાજકોટ સહિત રાજ્યની 15 મહાનગરપાલિકાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હોવા છતાં પદાધિકારીઓની નિમણૂકમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે ચૂંટણી પરિણામના 15 દિવસમાં મેયર અને અન્ય હોદ્દેદારોની જાહેરાત થઈ જતી હોય છે, પરંતુ 28 એપ્રિલના પરિણામ બાદ 16 દિવસ વીતવા છતાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નામો નક્કી કરી શક્યું નથી. નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં પણ પ્રમુખોની નિમણૂક કરવામાં ભાજપના નેતાઓમાં કોકડું ગુંચવાયું હોવાની ચર્ચા છે.
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મેયર સહિતના પદાધિકારીઓ અંગે કોઈ નિર્ણય જાહેર ન કરતા મ્યુનિસિપલ કમિશનરો સામાન્ય સભા બોલાવી શક્યા નથી. સામાન્ય સભા બોલાવવા માટે ત્રણ દિવસ અગાઉ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કમિશનર દ્વારા જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ ચૂંટણીએ પ્રક્રિયા કરવાની હોય છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ફોર્મ ભરવામાં આવે છે. જે બાદ સામાન્ય સભા બોલાવવામાં આવતી હોય છે. આજે 14 મેના રોજ હજી સુધી મહાનગરપાલિકાઓમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી.
રાજ્યની નવી બનેલી 7 મહાનગરપાલિકાઓમાંથી 5માં તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનરોની બદલી કરવામાં આવી છે. નવા કમિશનરો ચાર્જ સંભાળે અને વ્યવસ્થા સમજે ત્યારબાદ જ સામાન્ય સભાની પ્રક્રિયા શરૂ થશે. અત્યારની સ્થિતિ જોતા 19 મે (સોમવાર) સુધી અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવી મોટી મહાનગરપાલિકાઓને નવા મેયર મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.
રાજકોટમાં ઉત્તેજના વધારે તેજ બની
રાજકોટ મનપામાં હોદેદારો માટે ઉત્તેજનામાં વધારો થયો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ મેયર માટે નરેન્દ્રસિંહ જાડેજા અને ડો.નેહલ શુકલ રેસમાં આગળ છે. જયારે સ્ટે.ચેરમેન માટે પરેશ પીપળીયા, સંજયસિંહ રાણા, ડે.મેયર માટે રઘુવંશી સમાજના કોર્પોરેટર ઉપરાંત હિરેન ખીમાણીયા, અશ્વિન ભોરણીયા, માલતીબેન લાઠીયા, અંજનાબેન મોરઝરીયા, ડો.રિંકલ મેઘાણીના નામની પણ ચર્ચા થઇ રહી છે.


