માળિયા મિયાણામાં દોઢ વર્ષ જૂની અદાવતનો લોહિયાળ અંજામ : આધેડની ઘર આંગણે જ ગોળી મારી કરપીણ હત્યા
હુમલાખોરોએ ગોળીબાર કરતા આધેડ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા: હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો, પંથકમાં ભારે ચકચાર
અગ્ર ગુજરાત, મોરબી
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. માળિયા મીયાણા શહેરમાં જૂના બસ સ્ટેશન પાસે સોમવારે મોડી સાંજે એક આધેડની ગોળી મારીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ લોહિયાળ ખેલ જૂની અદાવતનો ખાર રાખીને ખેલાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
માળિયા શહેરમાં જૂના બસ સ્ટેશન પાસે રહેતા 51 વર્ષીય હૈદરભાઈ સુમારભાઈ મોવર સોમવારે મોડી સાંજના 8:30 વાગ્યે પોતાના ઘરના ફળિયામાં બેઠા હતા. આ દરમિયાન અચાનક ત્યાં ધસી આવેલા એક શખ્સ દ્વારા તેમના પર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ દરમિયાન છરા વાગવાને કારણે હૈદરભાઈ ગંભીર રીતે ઘવાઈને લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.
ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર માટે માળિયાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મોરબી ખસેડાઈ રહ્યા હતા. જોકે, મોરબી પહોંચે તે પહેલા રસ્તામાં જ તેમણે દમ તોડી દીધો હતો, જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણામા જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા સાઇનાબેન હૈદરભાઈ મોવર (ઉ.વ.૨૬) એ આરોપી ઈલિયાસ મુસાભાઈ મોવર, તથા શફિર મુસાભાઈ મોવર તથા ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતિ હૈદરભાઈ સુમારભાઈ મોવરને છેલ્લા બે વર્ષથી આરોપીઓ સાથે ધંધા બાબતે મનદુખ ચાલતુ હોય જેનો ખાર રાખી શીફ્ટ જેવી કાળા કલરની ગાડીમાં આવી આરોપી શફિર એ બંદુક જેવુ પ્રાણધાતક હથીયાર ધારણ કરી મારી નાખવાના ઇરાદે આવી આરોપીએ ફાયરીંગ કરી ફરીયાદીના પતિ હૈદરભાઇ ને માથા તથા ગળા તથા છાતી તથા પેટના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ. પટેલે જણાવ્યું હતું કે હત્યાના આ બનાવમાં પ્રાથમિક તપાસ દરમિયાન જ આરોપીની ઓળખ થઈ ગઈ છે. સફીરભાઈ મુસાભાઈ મોવાર નામના શખ્સ દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અંદાજે દોઢ વર્ષ પહેલાં મૃતક હૈદરભાઈ દ્વારા સફીરભાઈ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે જૂની અદાવત અને વેરનો ખાર રાખીને સફીરભાઈએ આ હુમલો કરી હત્યા નીપજાવી છે. આ ચકચારી બનાવની જાણ થતાં જ માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો તુરંત હરકતમાં આવ્યો હતો. પોલીસે કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તાત્કાલિક ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.


