ગુજરાતમાં ‘વન નેશન, વન ઇલેક્શન’ મુદ્દે ગરમાઈ ચર્ચા, સમિતિની ત્રણ દિવસીય બેઠક પૂર્ણ
એક દેશ, એક ચૂંટણી તરફ દેશની દોડ
2029માં કાયદો લાગૂ થાય તો 2034 સુધી લોકસભા-વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાવાની શક્યતા
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગાંધીનગર ખાતે વન નેશન, વન ઈલેકશન મુદ્દે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની ત્રણ દિવસીય ચર્ચા પૂર્ણ થઈ હતી. સમિતિએ ગુજરાતમાં વિવિધ રાજકીય પક્ષો, શિક્ષણજગત, ઉદ્યોગ ક્ષેત્ર, સહકારી સંસ્થાઓ અને મીડિયા પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન આ પ્રસ્તાવને લઈને સમર્થન અને વિરોધ બંને પ્રકારના મત સામે આવ્યા હતા.
સમિતિના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાશે અને તેની મુદત 2032 સુધી રહેશે. જો વન નેશન, વન ઈલેકશન સંબંધિત કાયદો વર્ષ 2029માં લાગૂ થશે તો ત્યારબાદ ચૂંટણીની પ્રક્રિયા તબક્કાવાર મર્જ થતી જશે અને વર્ષ 2034 સુધી દેશમાં લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાય તેવી શક્યતા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે 2029 પહેલાં યોજાનારી તમામ ચૂંટણીઓ પાંચ વર્ષની મુદત માટે જ રહેશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ પ્રસ્તાવનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ આ વ્યવસ્થાથી સત્તાનું કેન્દ્રિકરણ વધવાની ભીતિ વ્યક્ત કરી હતી. જ્યારે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે એકસાથે ચૂંટણી યોજાતા સત્તાધારી પક્ષને આર્થિક નિર્ણયો લેવામાં વધુ લાભ મળી શકે છે.
બીજી તરફ શિક્ષણ ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર અને ઉદ્યોગ સંસ્થાઓએ આ પ્રસ્તાવને મોટા ભાગે સમર્થન આપ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે વારંવારની ચૂંટણીના કારણે પરીક્ષાઓ અને શિક્ષણકાર્યમાં વિક્ષેપ સર્જાય છે. અમૂલ અને ક્રેડાઈ સહિતની સંસ્થાઓએ પણ વારંવારની આચારસંહિતાને કારણે વહીવટી અને ઔદ્યોગિક કામગીરી પર અસર થતી હોવાની રજૂઆત કરી હતી. જોકે મીડિયા પ્રતિનિધિઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે એકસાથે ચૂંટણી યોજાય તો સ્થાનિક મુદ્દાઓ પાછળ ધકેલાઈ શકે છે.
2034 સુધીમાં દેશભરમાં એકસાથે ચૂંટણી શક્ય
સમિતિના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે જો વન નેશન, વન ઈલેકશન કાયદો 2029માં લાગૂ થશે તો ત્યારબાદ દેશભરની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ ધીમે ધીમે મર્જ થતી જશે. ગુજરાતમાં 2027ની ચૂંટણી બાદ વિધાનસભાની ટર્મ 2032 સુધી રહેશે. ત્યારબાદ ચૂંટણીનું સમયપત્રક એ રીતે ગોઠવાશે કે વર્ષ 2034 સુધી દેશમાં એકસાથે ચૂંટણી યોજવાની સ્થિતિ સર્જાઈ શકે. કેન્દ્ર સરકાર આ વ્યવસ્થાને દેશના વહીવટી ખર્ચ અને સમય બચત સાથે જોડીને જોતી હોવાનું ચર્ચામાં સામે આવ્યું હતું.
કોંગ્રેસે કેન્દ્રિકરણનો ભય વ્યક્ત કર્યો
કોંગ્રેસે વન નેશન, વન ઈલેકશન પ્રસ્તાવનો કડક વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ રજૂઆતમાં જણાવ્યું કે આ પ્રસ્તાવથી રાજ્યોના અધિકારો સીમિત થઈ શકે છે અને સત્તાનું કેન્દ્રિકરણ વધવાની શક્યતા છે. કોંગ્રેસનું માનવું છે કે અલગ અલગ સમયે યોજાતી ચૂંટણી લોકશાહીને મજબૂત બનાવે છે અને પ્રાદેશિક મુદ્દાઓને અવાજ આપે છે. તેમણે કહ્યું કે એકસાથે ચૂંટણી યોજાશે તો પ્રાદેશિક પ્રશ્નો કરતાં રાષ્ટ્રીય રાજકારણ વધુ હાવી થઈ શકે છે.
શિક્ષણજગતે ચૂંટણીથી થતા વિક્ષેપની વાત કરી
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સહિત શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓએ રજૂઆત કરી હતી કે વારંવારની ચૂંટણીના કારણે પરીક્ષાઓ, શૈક્ષણિક કેલેન્ડર અને પ્રશાસકીય કામગીરી પર સીધી અસર પડે છે. આચારસંહિતાના સમયગાળા દરમિયાન ઘણા નિર્ણયો અટકી જતા હોવાનું પણ જણાવ્યું હતું. શિક્ષકોને ચૂંટણી ફરજમાં જોડાતા શિક્ષણકાર્યમાં વિક્ષેપ સર્જાય છે. નિરજા ગુપ્તાએ શિક્ષણ સેવાઓને ઇમરજન્સી સેવા જાહેર કરવાની માંગ પણ કરી હતી જેથી વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર ન થાય.
ઉદ્યોગ ક્ષેત્રે સમર્થન સાથે ચિંતા પણ વ્યક્ત કરી
ક્રેડાઈ સહિત ઉદ્યોગ સંસ્થાઓએ સમિતિ સમક્ષ રજૂઆત કરી હતી કે એકસાથે ચૂંટણી યોજાય તો મોટી સંખ્યામાં કામદારો મતદાન માટે જશે અને તેની અસર ઉત્પાદન પ્રક્રિયા પર પડી શકે છે. જોકે કેટલાક ઉદ્યોગકારોએ એવો મત પણ વ્યક્ત કર્યો કે વારંવારની ચૂંટણીને કારણે બજારમાં આર્થિક ગતિ જળવાઈ રહે છે અને વેપાર-ધંધાને પણ ફાયદો થાય છે. ઉદ્યોગજગતમાં આ મુદ્દે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
અમૂલે વહીવટી સરળતાનો મુદ્દો ઉઠાવ્યો
અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ બેઠક બાદ જણાવ્યું હતું કે વારંવારની ચૂંટણીને કારણે વહીવટી કામગીરી પર અસર પડે છે. સહકારી ક્ષેત્ર સાથે લાખો પશુપાલકો જોડાયેલા હોવાથી દૂધ એકત્રીકરણ અને વિતરણ જેવી સેવાઓ સતત ચાલુ રાખવી જરૂરી બને છે. તેમણે જણાવ્યું કે એકસાથે ચૂંટણી યોજાવાથી આચારસંહિતાનો સમયગાળો ઓછો થશે અને વહીવટી કામગીરીમાં સરળતા તથા કાર્યક્ષમતા વધશે. સહકારી ક્ષેત્રે આ પ્રસ્તાવને મોટા ભાગે હકારાત્મક રીતે જોયો હતો.


