યાત્રાધામ વીરપુરના એસટી બસ સ્ટેન્ડમાં રાત્રીના સમયે અંધારપટ
લાઈટો બંધ હોવાથી અંધારાનો સામનો કરતા મુસાફરો; મહિલાઓ અને વૃદ્ધોની સુરક્ષા સામે સવાલ
ભારે બફારા વચ્ચે મુસાફરો અકળાયા ; તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ કરાવવા લોકમાંગ
અગ્ર ગુજરાત, વીરપુર (જલારામ)
સૌરાષ્ટ્રના જગવિખ્યાત પૂજ્ય જલારામ બાપાની પવિત્ર ભૂમિ અને વિશ્વવિખ્યાત યાત્રાધામ તરીકે ઓળખાતા વીરપુર ખાતે આવેલ એસટી બસ સ્ટેન્ડમાં મૂળભૂત સુવિધાઓના અભાવે યાત્રાળુઓ અને મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કરોડોના ખર્ચે નિર્માણ પામેલા બસ સ્ટેન્ડ પરિસરમાં રાત્રિના સમયે વારંવાર લાઈટો અને પંખાઓ બંધ થઈ જતા સમગ્ર એસટી બસ સ્ટેન્ડમાં અંધારપટ છવાઈ જાય છે.
દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે વીરપુર આવે છે. યાત્રાળુઓમાં મોટાભાગના લોકો એસટી બસ સેવાનો ઉપયોગ કરતા હોવાથી બસ સ્ટેન્ડ તેમની પ્રથમ જરૂરિયાતનું કેન્દ્ર બને છે. જોકે, યાત્રાળુઓના જણાવ્યા મુજબ રાત્રિના સમયે બસ સ્ટેન્ડમાં લાઈટો અને પંખાઓ બંધ હાલતમાં રહે છે.
હાલમાં પડતી આકરી ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે પંખાઓ બંધ રહેતાં મુસાફરો અને યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બીજી તરફ અંધારું અને બીજી તરફ મચ્છરોના અસહ્ય ત્રાસને કારણે બસની રાહ જોતા લોકો માટે પરિસ્થિતિ વધુ કપરી બની રહી છે.
બસ સ્ટેન્ડ પરિસરમાં અંધારપટ અને પ્રકાશના અભાવે રાત્રિના સમયે મુસાફરોને પાણીના પરબ સુધી પહોંચવા તેમજ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો ઉપયોગ કરવામાં પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે. ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો અને બાળકો માટે સુરક્ષાની ચિંતાઓ ઊભી થઈ છે.
ઘોર અંધકારના કારણે મુસાફરોના માલસામાનની ચોરી કે અન્ય અનિચ્છનીય બનાવો બનવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. યાત્રાધામ જેવા મહત્વના સ્થળે આવી સ્થિતિ એસટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરી રહી છે.
સ્થાનિક નાગરિકો, યાત્રાળુઓ અને મુસાફરોએ સંબંધિત એસટી વિભાગ અને તંત્રને બસ સ્ટેન્ડ ખાતે વારંવાર સર્જાતી લાઈટો બંધની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી લાઈટો, પંખાઓ તથા અન્ય જરૂરી સુવિધાઓ નિયમિત કાર્યરત રાખવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.


