હજારો વાહન ચાલકો અને સ્થાનિકો માટે રાહતરૂપ વાવડ
રાજકોટ-જેતપુર હાઇવેની ૭૦ ટકા કામગીરી પૂર્ણ : કલેકટર
ચોમાસા પહેલા વધુ ત્રણ ઓવરબ્રીજ ખુલ્લા મૂકવાની તંત્રની તૈયારી : છેલ્લા આઠ મહિનામાં કામગીરીમાં ઝડપ આવી : 3૨ ટકા કામગીરી થઇ : સમય મર્યાદામાં પ્રોજેકટ પૂર્ણ કરવાની તંત્રની મથામણ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ-જેતપુર સિકસલેન હાઇ-વેની કામગીરી ૭૦ ટકા જેટલી પૂર્ણ થઇ ગઇ છે અને હવે માત્ર 3૦ ટકા જેટલી બાકી છે. છેલ્લા આઠ મહિનામાં આ કામગીરીમાં પ્રગતિ જોવા મળી રહી છે. આઠ મહિનામાં 3૨ ટકા જેટલી ઝડપી કામગીરી કરવામાં આવી છે.
આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે રાજકોટ-જેતપુર સિકસલેનની કામગીરી ૭૦ ટકા જેટલી પૂર્ણ થઇ ગઇ છે. તેમજ લોકોની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી ચોમાસા પહેલા વધુ ત્રણ ઓવરબ્રીજ શરૂ કરી દેવાની તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. હાઇ-વેની ત્રણેય એજન્સીઓને સાથે રાખી બાકીની 3૦ ટકા કામગીરી પણ સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે અને ગુણવત્તા જાળવી કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિની મળતી વિગતો અનુસાર, પીઠડીયા પાસે એક બ્રિજ શરૂ કરી દેવાયો છે અને બીજો 1 જૂનથી કાર્યરત થશે. વીરપુરમાં ત્રણેય બ્રિજ અને કાગવડ ખોડલધામ પાસે એક બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ચરખડી અને ગોમટામાં પણ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે ચોરડી પાસેના બ્રિજનું કામ ચોમાસા બાદ હાથ ધરવામાં આવશે. આશાપુરા ચોકડી પાસે ચાલી રહેલું બ્રિજનું કામ સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હાલમાં ભોજપરા, બીલીયાળા અને ભૂણાવા જેવા વિસ્તારોમાં બ્રિજની કામગીરી ચાલી રહી છે.
જો કે સૂત્રોએ જણાવ્યું હતું કે બીજી તરફ, ટેકનિકલ અને વહીવટી મંજૂરીઓના કારણે કેટલાક કામો અટવાયા છે. જામવાડી અને ગોંડલ વચ્ચેના ચાર બ્રિજ પર કોન્ક્રીટ રોડ બનાવવાનો છે, પરંતુ ત્યાંથી પસાર થતી ‘જેટકો’ની હાઈટેન્શન લાઈન માટે હજુ મંજૂરી મેળવવાની બાકી છે. આમ રાજકોટથી જૂનાગઢ, સોમનાથ અને પોરબંદર તરફ જતાં મુસાફરોને હાઈવેના સંપૂર્ણ લોકાર્પણ માટે વાહનચાલકોએ હજુ એક વર્ષથી વધુ સમયની રાહ જોવી પડશે.
સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન થવાના કારણો
અહેવાલ મુજબ, રાજકોટના કોરાટ ચોક પાસે નવા એલિવેટેડ ઓવરપાસની મંજૂરી મળવાના કારણે ડિઝાઇનમાં ફેરફાર કરવો પડ્યો છે. આ ઉપરાંત, આજી અને ખોખળદડ નદી વચ્ચેથી પસાર થતી મહાનગરપાલિકાની પાણીની પાઈપલાઈન નડતરરૂપ બનતા બ્રિજની કામગીરી અટકી પડી છે. નવી જાહેર કરાયેલી સમયમર્યાદા અનુસાર, હાઈવે પરના 28 ઓવરપાસ જાન્યુઆરી-2027 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, જ્યારે બાકીના મુખ્ય બ્રિજ અને એલિવેટેડ ઓવરપાસ જૂન-2027 સુધીમાં તૈયાર થવાની સંભાવના છે.
1200 કરોડના પ્રોજેક્ટનો ખર્ચ 1500 કરોડે પહોંચ્યો
રાજકોટ-જેતપુર સીક્સ લેન બ્રિજ કે જે જૂન 2024 માં પૂર્ણ થવાનું હતું તેમાં તારીખ પે તારીખ જોવા મળી છે . હાલ છે વિગતો મળી રહી છે તે મુજબ સરકારે વધુ એક નવો ઓવર પાસ બનાવવાનો નિર્ણય લીધો છે જે આગામી 2027 જૂન માસમાં પૂર્ણ થાય તેવું હાલ જણાવ્યું છે. જ્યારે ઓગસ્ટ 2022 માં બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો તે સમયે 1204 કરોડ રૂૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ બજેટમાં પણ વધારો થયો ને હાલ રાજકોટ જેતપુર સિક્સ લેન્ડ હાઇવે નું બજેટ 1500 કરોડે પહોંચી ગયું છે. ત્યારે સરકારે અંડર પાસ મંજૂર કરતા રાજકોટ-જેતપુર સિક્સ લેનના કામમાં ફરી વિલંબ આવશે કારણ કે કોરાટ ચોક પાસેનો એલિવેટેડ ઓવરપાસ નવો મંજૂર થયો છે.


