નકલી પ્રોડકટ અટકાવવા સરકાર એકશનમાં
બિયારણ, ખાતર, દવાઓ વેંચતા 3૫૨૬ વેપારીને ત્યાં દરોડા, ૭૫૨ને ફટકારી નોટીસ
છેલ્લા ત્રણ મહિનામાં નિયમોનો ભંગ કરનાર ૫૪ વેપારીના લાયસન્સ રદ, બે સામે નામ જોગ ફરિયાદ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતના ધરતીપુત્રોના આર્થિક હિતો સાથે ચેડાં કરનારા નફાખોરો અને નકલી કૃષિ સામગ્રી વેચનારાઓ સામે રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ખેડૂતોને આપવામાં આવતા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની અનિયમિતતા કે બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. સરકાર આ મામલે ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરી રહી છે અને ખેડૂતોના પાક તેમજ મહેનતને નુકસાન પહોંચાડતા તત્વોને જેલભેગા કરવામાં આવશે.
કૃષિ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં એક સાથે મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ખાસ ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં કુલ 3,526 કૃષિ ઉત્પાદકો અને વિક્રેતાઓના ગોડાઉન તેમજ દુકાનો પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ વ્યાપક તપાસ દરમિયાન સ્ટોક રજિસ્ટર અને કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન કરનારા 752 વિક્રેતાઓને તાત્કાલિક અસરથી કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તદુપરાંત, માત્ર છેલ્લા 3 મહિનાના ટૂંકા ગાળામાં જ નિયમો નો ભંગ કરનારા 54 વેપારીઓના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયા છે, જ્યારે ગંભીર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા 2 તત્વો સામે નામજોગ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
કૃષિ મંત્રીએ કાળાબજારી (Black Marketing) અને કૃત્રિમ સંગ્રહખોરી કરનારા તત્વોને આખરી ચેતવણી આપતા જણાવ્યું છે કે, હવે માત્ર લાયસન્સ રદ કરીને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે નહીં. જો કોઈ વેપારી સંગ્રહખોરી કરતા અથવા નકલી દવા-બિયારણ વેચતા પકડાશે, તો તેની સામે કાયદાની વિવિધ કડક કલમો હેઠળ સીધી પ્રથમ માહિતી અહેવાલ એટલે કે એફઆઈઆર નોંધીને ધરપકડ કરવામાં આવશે. સરકારના આ સખત વલણને કારણે નકલી કૃષિ પ્રોડક્ટ્સ વેચતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
246 લાયસન્સ રદ અને 26 જેલમાં
રાજ્ય સરકાર ખેડૂત હિત માટે કેટલી ગંભીર છે તેનો અંદાજ ગત વર્ષની કામગીરીના આંકડા પરથી લગાવી શકાય છે. ગત વર્ષે પણ કૃષિ વિભાગે મોટી કાર્યવાહી કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારા 246 વિક્રેતાઓના લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દીધા હતા. આ ઉપરાંત આર્થિક ગેરરીતિ અને નકલી ખાતર-દવાના નેટવર્ક ચલાવતા 26 અસામાજિક તત્વો સામે કડક એફઆઈઆર (FIR) નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. સરકારે ખેડૂતોને પણ અપીલ કરી છે કે જો કોઈ વેપારી તેમની પાસે વધુ કિંમત વસૂલે અથવા નકલી માલ આપે, તો તેની તાત્કાલિક જિલ્લા કૃષિ અધિકારીને સત્તાવાર ફરિયાદ કરવી.


