રાજકોટ મહાનગરપાલિકામાં નવનિયુકત પદાધિકારીઓનો મહત્વપૂર્ણ નિર્ણય
સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હવે મહિનામાં ચાર વાર મળશે
મોટી સંખ્યામાં દરખાસ્તની અરજીઓ આવતી હોવાથી અભ્યાસમાં મુશ્કેલી પડતી હોવાના કારણે દર અઠવાડીયે સ્ટેન્ડિંગ બોલાવવાનો નિર્ણય લેવાયો : ચેરમેન પીપળીયા
મ્યુનિસિપલ કમિશનર પાસેથી મહત્વપૂર્ણ કામોની દરખાસ્તો મંગાવાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં તાજેતરમાં જ પદાધિકારીઓની નિયુકિત કરવામાં આવી છે. આ પદાધિકારીઓ દ્વારા પ્રજામુખે ચર્ચાઇ રહ્યું છે કે વર્તમાન સમયમાં લોકોને ઉપયોગી હોય તેવા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે ત્યારે મનપાના નવા હોદેદારો દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે મહિનામાં ચાર વાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવાની જાહેરાત ચેરમેન પરેશ પીપળીયા દ્વારા કરવામાં આવી છે.
આ અંગે ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં દરખાસ્તો આવી રહી છે જેનો અભ્યાસ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. જેથી મહત્વપૂર્ણ કામોને પ્રાધાન્ય આપી શકાતુ નથી અને તેના કારણે લોકોને પણ ઘણી હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સ્ટેન્ડિંગમાં આવતી દરખાસ્તોનો વ્યવસ્થિત રીતે અભ્યાસ થઇ શકે તે માટે થઇને અઠવાડીયામાં એકવાર એટલે કે મહિનામાં ચાર વાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવશે. જેથી કરીને પ્રજાલક્ષી કામોને ઝડપથી આગળ વધારી શકાય. આ કામો આગળ વધતાં જ લોકોની હાડમારીનો પણ અંત આવશે અને જરૂરી કામોમાં નાણાનો સદઉપયોગ થશે.
વધુમાં પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં પણ આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવશે. દર અઠવાડીયે મળનારી સ્ટે.કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ દરખાસ્તોને પ્રાધાન્ય આપી તેનો અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ આ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવશે. આ તમામ કામગીરી મેયર સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓને સંકલનમાં રાખીને કરવામાં આવશે. જેથી કરીને કોઇપણ કામગીરીમાં ચૂક ન રહી જાય અને તે ગુણવત્તાસભર બની શકે.
શહેરમાં ચાલતા વિવિધ પ્રોજેકટો તેમજ કામોની દરખાસ્તો મનપાના કમિશનર પાસેથી મંગાવવામાં આવશે. ગઇકાલે જ મ્યુનિસિપલ કમિશનર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવતી દરખાસ્તોનો સ્ટે.કમિટી દ્વારા દર અઠવાડીયે અભ્યાસ કરવામાં આવશે. જેથી કરીને દરખાસ્તોનો ભરાવો ન થાય અને ઝડપથી કામગીરી કરી શકાય.
3૦ દિવસમાં વર્ક ઓર્ડર આપી દેવાશે
ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે અગાઉ દરખાસ્તો મંજૂર થયા બાદ તેના વર્ક ઓર્ડર પાંચ-પાંચ મહિને પણ આપવામાં આવતા ન હતાં. જેના કારણે ઘણા મહત્વપૂર્ણ પ્રોજેકટો અટકી ગયા છે. આગામી દિવસોમાં આવી બેદરકારી ચલાવી લેવામાં નહી આવે અને સ્ટેન્ડિંગમાં મંજૂર થયેલ દરખાસ્તોના વર્ક ઓર્ડર 3૦ દિવસમાં જ એજન્સીઓને સોંપી દેવામાં આવશે.
જરૂર પડયે શહેર ભાજપ પ્રમુખનું માર્ગદર્શન માંગીશું
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મનપાની કામગીરી અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં પદાધિકારીઓને સ્વતંત્રતા આપવામાં આવી છે. શહેર ભાજપ દ્વારા કોઇપણ જાતની દખલગીરી કરવામાં આવશે નહી. જો કે આજે પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં કેટલાક મુદ્દાઓમાં તેમજ નિર્ણયોમાં જરૂર પડશે ત્યાં શહેર ભાજપનું માર્ગદર્શન લેવામાં આવશે.


