ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો
“બહેનને સાસરિયાઓ ત્રાસ આપી મારકૂટ કરતા હતા, શરીરે ઈજાના નિશાન જોતા મારી નાખ્યાની ભાઇને શંકા” : ફોરેન્સિક PM કરાયું : પોલીસે માવતર પક્ષના નિવેદનો નોંધી તપાસ હાથ ધરી
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉપલેટાના ખારચીયા શહીદ ગામે પરિણિતાનો ગળાફાંસો ખાધેલ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના શરીરે ઇજાના નિશાન હોવાથી રાજકોટમાં ફોરેન્સિક પીએમ કરાયું હતું. મૃતકના ભાઈએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ઇલાબેન બગડાને સાસરિયા તરફથી ત્રાસ હતો. મારકૂટ પણ કરતા હતા. ઉપરાંત શરીરે ઇજાના નિશાન પણ છે એટલે મારી બહેનને મારી નાખ્યાની શંકા છે. ભાયાવદર પોલીસે માવતર પક્ષે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે સાંજે 4 વાગ્યાં આસપાસ ઈલાબેન હિતેન્દ્રભાઇ બગડા (ઉંમર વર્ષ 30, રહે. ખારચીયા શહીદ ગામ, તા.ઉપલેટા)નો મૃતદેહ તેમની વાડીએથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવના પગલે પોલીસ દોડી ગઈ હતી.
મૃતદેહ ભાયાવદરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં પહોંચેલ માવતર પક્ષે શંકાઓ દર્શાવતા અને ફોરેન્સિક પીએમની માંગ કરતા મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
મૃતકના ભાઈ રાજેશભાઈએ જણાવ્યું કે, મારાં પિતાનું નામ માવજીભાઈ હમીરભાઈ હેડમ્બા છે. મારો પરિવાર ધોરાજીના મોટી વાવડી ગામનો વતની છે. અમે બે ભાઈ અને એક બહેન છીએ. જેમાં ઈલાબેન મોટા હતા. ઇલાબેનના લગ્ન આશરે 12 વર્ષ પહેલા હિતેન્દ્ર લાખાભાઈ બગડા સાથે થયા હતા. લગ્ન જીવનથી ઇલાબેનને સંતાનમાં એક 10 વર્ષનો દીકરો છે અને 7 વર્ષની દીકરી છે.
મારાં બનેવી હિતેન્દ્ર ભાયાવદર પોલીસમાં હોમગાર્ડ છે અને પોતાની ખેતીની જમીનમાં ખેતી પણ કરે છે. ઘણા સમયથી પતિ સહિતના સાસરિયાના સભ્યો મારી બહેનને ત્રાસ આપતાં, ગત રક્ષાબંધને મારી બહેન મોટી વાવડી અમારા ઘરે આવી હતી ત્યારે પાછળ તેમના સાસુ સસરા આવ્યા હતા અને બધાની વચ્ચે મારી બહેનને અપશબ્દો કહીં, તું અમારે જોઈએ જ નહીં તેમ કહીં ગર્ભિત ધમકીઓ આપી હતી. આવા ઝઘડા અવાર નવાર થતા.
પણ સમાધાન પછી બાળકોના ભવિષ્યને ધ્યાને લઈ મારી બહેન સાસરે જતી રહેતી. દરમ્યાન મારાં બનેવીએ એક વાર પટ્ટા વડે મારી બહેને માર માર્યો હતો. જેની વાત મને ઇલાબેને કરેલી. ગઈકાલે સાંજે 4 વાગ્યાં આસપાસ મને અજાણ્યા વ્યક્તિનો ફોન આવેલ અને ઇલાબેને પગલું ભરી લીધાનું કહ્યું હતું. અમને પહેલા ઉપલેટા હોસ્પિટલ આવવા કહ્યું હતું પછી ભાયાવદર હોસ્પિટલ હોવાની જાણ થતા અમે ભાયાવદર હોસ્પિટલ પહોંચેલ.
જ્યાં મને મારાં બનેવી કે મારી બહેનના સસરા કોઈ ભેગા થયા નહોતા. અમને જાણ પણ નથી કરાઈ કે કઈ સ્થિતિમાં કેવી રીતે અને ક્યાં બનાવ બન્યો. અમને સગા સંબંધીઓ અને પોલીસમાંથી જાણ થઈ હતી કે, વાડીએ ગળાફાંસો ખાધો છે. જોકે મારાં બનેવી કે બહેનના સસરા અમારી સામે આવીને વાત કરી નથી. ભાયાવદર હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં જઈ મૃતદેહ જોતા કપાળે, પગે એમ શરીરે ઈજાના નિશાન હતા. જેથી અમે શંકા દર્શાવી હતી અને રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરવા માંગ કરી હતી. અમને શંકા છે કે, મારી બહેનને મારીને પછી આપઘાતમાં ખપાવવા પ્રયાસ થયો છે.
આ તરફ ભાયાવદર પોલીસની ટીમ પણ રાજકોટ દોડી આવી હતી. ફોરેન્સિક પીએમ માટેના કાગળો કરી પીએમ કરાવ્યુ હતું. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ બનાવ આત્મહત્યાનો છે કે અન્ય કોઈ કારણ? તે સ્પષ્ટ થશે. આ તરફ બે સંતાનો મા વિહોણા થતા પરિવારમાં શોક છવાયો હતો.


