રાજકોટને હચમચાવતી બિહારી ઠેકેદારની હેવાનિયત
૧૪ વર્ષના શુભમની હત્યા બાદ મૃતદેહના કટકા કરી પુરાવા ભૂંસ્યા
બે મજૂર સગીરોને ડરાવી સામે જ મૃતદેહના ટુકડા કર્યા; આજી નદીમાંથી મળેલું માથું શુભમ હસદાનું હોવાનું ડીએનએથી સાબિત
પહેલા ધડનો નિકાલ બેડી પાસે કર્યો, ત્યારે પણ એક સગીરને સાથે લઇ ગયો હતોઃ તેના બે દિવસ પછી માથાનો નિકાલ કર્યો હતોઃ રિમાન્ડ મેળવવા તજવીજ
અગ્ર ગુજરાત, રાજકોટ
આજી નદીમાંથી વર્ષ ૨૦૧૮માં મળેલા એક અજાણ્યા બાળકના કપાયેલા માથાના રહસ્ય પરથી આખરે પડદો ઊંચકાયો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે આઠ વર્ષ જૂના આ કેસનો ભેદ ઉકેલી કાઢતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પશ્ચિમ બંગાળના ૧૪ વર્ષીય શુભમ વિનોદભાઈ હસદાની હત્યા તેના જ ઠેકેદાર અજીતમૌલા અજમતમૌલાએ કરી હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આરોપીએ બાળકની હત્યા કર્યા બાદ ત્રણ દિવસ સુધી મૃતદેહ ઘરના બાથરૂમમાં સંતાડી રાખ્યો હતો અને ત્યારબાદ મૃતદેહના ટુકડા કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસ મુજબ શુભમને મજૂરી માટે પશ્ચિમ બંગાળથી રાજકોટ લાવવામાં આવ્યો હતો. આરોપી અજીતમૌલા પાસે અન્ય સગીર બાળકો પણ કામ કરતા હતા. શુભમ વારંવાર વતન જવાની જીદ કરતો અને કામમાં ધ્યાન આપતો ન હોવાથી આરોપીએ તેની સાથે મારપીટ કરી હતી. રામનાથપરાના મકાનમાં થયેલી આ મારકૂટ દરમિયાન શુભમનું મોત નીપજ્યું હતું.
ઘટનાના સમયે અન્ય બે સગીર બાળકો પણ ત્યાં હાજર હતા. શુભમના મોત બાદ અજીતમૌલાએ બંને બાળકોને ધમકી આપી હતી કે જો તેઓ કોઈને જાણ કરશે તો તેમની પણ આવી જ હાલત કરવામાં આવશે. મૃતદેહને છુપાવવા માટે આરોપીએ તેને બાથરૂમમાં મૂકી દીધો હતો અને ત્રણ દિવસ સુધી ત્યાં જ રાખ્યો હતો. પોલીસ તપાસમાં વધુ ભયાનક વિગતો પણ સામે આવી છે. મૃતદેહ કોથળામાં ન સમાતાં આરોપી ગુજરી બજારમાંથી મટન કાપવાના છરા ખરીદી લાવ્યો હતો. ત્યારબાદ તેણે બંને સગીર બાળકોને બોલાવી મૃતદેહના ટુકડા કરવામાં મદદ કરવા કહ્યું હતું. બાળકો ડરી ગયા હોવાથી તેમણે ઇનકાર કર્યો હતો. ત્યારે આરોપીએ તેમને મૃતદેહની બાજુમાં જ બેસાડી રાખ્યા અને પોતે શુભમના મૃતદેહના ટુકડા કર્યા હતા.
આરોપીએ પહેલા ધડને કોથળામાં ભરી બેડી વિસ્તાર નજીક ફેંકી દીધું હતું. આ સમયે પણ એક સગીર બાળકને સાથે લઈ ગયો હતો. ત્યારબાદ માથું વધુ એક દિવસ સુધી બાથરૂમમાં રાખ્યા પછી તેને આજી નદીમાં ફેંકી આવ્યો હતો. સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સામાન્ય રીતે પોતાના કામકાજમાં લાગી ગયો હતો.
ગયા વર્ષે બાળમજૂરી અને સગીરોને ગેરકાયદે રીતે રાખવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અજીતમૌલાની ધરપકડ કરી હતી. તે દરમિયાન એક બાળક લાંબા સમયથી ગુમ હોવાની માહિતી સામે આવી હતી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે જૂના રેકોર્ડ, ગુમ થયેલા બાળકોની વિગતો અને આજી નદીમાંથી મળેલા માથાના કેસને સાંકળીને તપાસ શરૂ કરી હતી. ડીએનએ પરીક્ષણ અને એફએસએલની મદદથી મૃતકની ઓળખ શુભમ હસદા તરીકે થઈ હતી.
આરોપીએ પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત પણ કરી હતી. ગઇકાલે તેની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે તેને હત્યાના સ્થળે તેમજ જ્યાંથી બાળકનું માથું મળ્યું હતું તે સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.બી. જાડેજા તથા તેમની ટીમ વધુ તપાસ ચલાવી રહી છે. આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


