શાળામાં ૧૬.35 લાખ વિદ્યાર્થીનું નામાંકન, પણ પુસ્તક ક્યા?
નવા શૈક્ષણિક સત્રની ૧૫ દિવસથી શરૂઆત થવા છતાં પુસ્તકો નહીં પહોંચતા અભ્યાસક્રમ કેમ ચલાવવો તેવા અનેક સવાલો
શાળા પ્રવેશોત્સવ અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા કવાયત વચ્ચે શાળાઓમાં વાસ્તવિકતા ચિત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યમાં સરકાર દ્વારા ત્રણ દિવસના શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવ હતી અને લાખો છાત્રોને પ્રવેશ આપવામાં આવ્યો છે. પરંતુ નવુ શૈક્ષણિક સત્ર શરૂ થવા છતાં પણ હજુ સુધી શાળામાં પુસ્તકો આવ્યા નથી તો અભ્યાસ કેમ કરવો તેવા સવાલો ઉઠી રહ્યા છે.
શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને 15 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ વિદ્યાર્થીઓને પૂરતા પાઠ્યપુસ્તકો મળ્યા નથી. ખાસ કરીને ધોરણ 11 અને 12 ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ અનેક વિષયોના પુસ્તકો વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વિતરણ કેન્દ્રો પર હજુ સુધી કેટલાક જરૂરી પુસ્તકો પહોંચાડવામાં ન આવતા શાળાઓ અને વાલીઓની ચિંતામાં વધારો થયો છે.
પુસ્તકોની આ ગંભીર અછતના કારણે વિદ્યાર્થીઓના રોજિંદા શિક્ષણ અને અભ્યાસક્રમ પર અત્યંત માઠી અસર પડી રહી છે, જેથી તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવીને પુસ્તકોનું વિતરણ ઝડપી બનાવવામાં આવે તે અત્યંત જરૂરી છે.
રાજ્યમાં શિક્ષણના ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 સંપન્ન થયો છે.જેમાં રાજ્યભરમાંથી ત્રણ દિવસ દરમિયાન કુલ 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળામાં નામાંકન કરાવીને શિક્ષણના અભિયાનમાં સહભાગી થયા છે.પ્રવેશોત્સવના છેલ્લા દિવસે એટલે કે 25 જૂનના રોજ રાજ્યભરમાં કુલ 8287 ગામો અને 12495 શાળાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત કુલ 27959 મહાનુભાવો વિવિધ શાળાઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓનો પ્રવેશ માટે ઉત્સાહ વધાર્યો હતો.તા.23 થી 25 જૂન 2026 દરમિયાન ત્રણ દિવસમાં રાજ્યભરમાં કુલ 25625 ગામો અને 37211 શાળાઓને આવરી લેવામાં આવી છે.
આજે પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી અને બાલમંદિરમાં 62 હજારથી વધુ બાળકોએ અક્ષરજ્ઞાનનો શ્રીગણેશ કર્યો હતો. બાલવાટિકામાં કુલ 1.46 લાખ કરતાં વધુ નવા નામાંકન નોંધાયા છે.આ ઉપરાંત ધોરણ 1માં 34 હજારથી વધુ,ધોરણ 9માં 1.79 લાખથી વધુ,ધોરણ 11માં 91613 જેટલા વિદ્યાર્થીઓ તેમજ Back to School Survey’ મુજબ 25070 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રવેશ મેળવી શાળા પ્રવેશોત્સવને ખરા અર્થમાં સફળ બનાવ્યો છે.આજે રાજ્ય સરકાર દ્વારા 999 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.કન્યા કેળવણીને વધુ વેગ આપવા માટે પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યની 3935 જેટલી પ્રતિભાશાળી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અર્પણ કરીને તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
રાજ્યની ઉદાર જનતાએ આ શિક્ષણ યજ્ઞને લોકોત્સવનું સ્વરૂપ આપીને ખુલ્લા હાથે સહયોગ આપ્યો છે.આ અભિયાન દરમિયાન લોકભાગીદારી સ્વરૂપે કુલ રૂ. 10.71 કરોડ કરતાં વધુની માતબર સહાય પ્રાપ્ત થઈ હતી.તેમાં 1.52 કરોડ કરતાં વધુ રોકડ સ્વરૂપે તેમજ રૂ.9.18 કરોડ કરતાં વધુના મૂલ્યના વિવિધ શૈક્ષણિક સાધનો શાળાઓને ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા.ત્રણ દિવસ દરમિયાન દાતાઓ દ્વારા રાજ્યભરમાંથી રોકડ અને વસ્તુ સ્વરૂપે કુલ 28.97 કરોડથી વધુનું દાન આપીને શિક્ષણના આ યજ્ઞને વધુ વેગ આપ્યો છે.
વિદ્યાર્થીઓને હવે AI ભણાવશે
ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી માટે તૈયાર કરવા શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 9થી 12ના કોમ્પ્યુટર વિષયના અભ્યાસક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને એક અલગ વિષય તરીકે સામેલ કરવામાં આવ્યો છે. આ નવા અભ્યાસક્રમ હેઠળ વિદ્યાર્થીઓને AIનો પરિચય, AIના વિવિધ ડોમેન અને AIના નૈતિક પાસાઓ (Ethics of AI) અંગે વિગતવાર શિક્ષણ આપવામાં આવશે. શિક્ષણમાં આધુનિક ટેક્નોલોજીનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી અને ડિજિટલ કૌશલ્ય વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલના ભાગરૂપે નવા શૈક્ષણિક સત્ર માટે કુલ 29 જેટલા નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓને સમયની માંગ મુજબનું જ્ઞાન અને વ્યવહારુ સમજણ મળી શકે.
શાળાઓમાં ‘શાળા વ્યવસ્થાપન સમિતિ’ની રચના કરાશે
કેન્દ્ર સરકારની સૂચના અને નવી શિક્ષણનીતિના ભાગરૂપે શાળા વહીવટમાં વાલીઓને મજબૂત બનાવવા શિક્ષણ વિભાગ દ્વારા શાળા વ્યવસ્થાપન સમિતી (SMC)ની નવી ગાઈડલાઈન પ્રસિદ્ધ કરી છે. નવી માર્ગદર્શિકા અન્વયે તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યાના આધારે SMCના સભ્યો નિમવામાં આવશે. સમિતીમાં ૫૦ ટકા મહિલાઓનો સમાવેશ કરવો ફરજિયાત છે.
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા મે-2026માં જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકાના આધારે રાજ્ય સરકારે જૂના ઠરાવો રદ કરી, તમામ સરકારી, સ્થાનિક સત્તામંડળ સંચાલિત અને ગ્રાન્ટેડ શાળાઓમાં ‘શાળા વ્યવસ્થાપન સમિતિ’ (SMC)ની રચના અથવા પુનઃરચના કરવાનો આદેશ આપ્યો છે. આ અંતર્ગત શૈક્ષણિક વર્ષ શરૂ થયાના એક માસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
શાળા વ્યવસ્થાપન સમિતિની નવી માર્ગદર્શિકા અનુસાર કમિટીમાં 75 ટકા વાલી સભ્યો હશે અને અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષ પદ માત્ર વાલીઓને જ મળશે. સમિતિમાં 50 ટકા મહિલાઓ અને વંચિત જૂથોને સપ્રમાણ સ્થાન આપવું અનિવાર્ય છે. વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે સમિતિનું કદ 12થી 25 સભ્યો સુધીનું રહેશે અને તેમનો કાર્યકાળ બે વર્ષનો નક્કી કરાયો છે. ચૂંટણી પ્રક્રિયા લોકશાહી ઢબે, હાથ ઊંચા કરીને કે ગુપ્ત મતદાનથી કરવાની રહેશે. આ સમિતિ પાસે માત્ર વહીવટી જ નહીં પણ વ્યાપક સત્તાઓ રહેશે, જેમાં શાળા વિકાસ માટે ત્રણ વર્ષનો માસ્ટર પ્લાન તૈયાર કરવો મુખ્ય છે.
૯૦૨૧૨ છાત્રોને ફરી અભ્યાસ તરફ વાળ્યા
મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત સરકાર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના સ્તરે સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો લગભગ શૂન્ય ટકા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અદ્યતન ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓમાં સ્કૂલ ડ્રોપઆઉટને અટકાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (EWS) લાગૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ શાળા છોડીને જઇ શકે તેવા સંભવિત બાળકોની અગાઉથી જ ઓળખ કરી લે છે. EWS દ્વારા ગત વર્ષે 1,67,446 શાળા છોડવાનું જોખમ ધરાવતા બાળકોને શાળા છોડી દેવાથી અટકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શિક્ષણ વિભાગની ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની મદદથી લગભગ 90,212 શાળા છોડી ગયેલા બાળકોને શિક્ષણમાં પાછા લાવવામાં આવ્યા છે. ગુજરાત સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે, બાળકો પોતાનું સંપૂર્ણ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરે અને સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ઝીરો થઈ જાય.


