નો-રીપીટની વચ્ચે સિલેક્ટિવ રીપીટ
રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી
પૂર્વ મેયરથી લઈ દંડક સુધીના દિગ્ગજો બહાર, 22 કોર્પોરેટરને ફરી તક ; નવા ચહેરા અને યુવાનો પર ભાર
આજે જાહેર થયેલા ઉમેદવારો મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવવા શક્તિ પ્રદર્શન સાથે ઉમટી પડ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ આખરે લાંબી રાહ બાદ ભાજપે 18 વોર્ડની 72 બેઠકો માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. યાદી જાહેર થવામાં થયેલા વિલંબને કારણે પાર્ટીના કાર્યકરો અને દાવેદારોમાં આખો દિવસ ઉત્સુકતા જોવા મળી હતી. અંતે ફોર્મ ભરવાના માત્ર 15 કલાક પહેલા યાદી બહાર આવતા ઉમેદવારોમાં એકાએક ચહલપહલ વધી ગઈ હતી.
યાદી જાહેર થતાં જ કેટલાક વોર્ડમાં અસંતોષના સ્વર પણ ઉઠ્યા, છતાં મોટા ભાગના ઉમેદવારોએ પાર્ટી લાઇનને અનુસરતાં સભાઓ યોજી અને ધામધૂમથી ઉમેદવારી નોંધાવી.
ભાજપે અગાઉ નો-રીપીટ થિયરીનો સંકેત આપ્યો હતો, પરંતુ અંતિમ યાદી સામે આવતા સ્પષ્ટ થયું કે આ સિદ્ધાંત સંપૂર્ણ રીતે અમલમાં મૂકાયો નથી. કુલ 72માંથી 22 વર્તમાન કોર્પોરેટરને ફરી તક આપવામાં આવી છે, જ્યારે બાકીના સ્થાનો પર નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે પાર્ટીએ પરફોર્મન્સ અને સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને પસંદગીયુક્ત રીતે રીપીટ કર્યું છે. કેટલાક વિસ્તારોમાં મજબૂત પકડ ધરાવતા નેતાઓને જાળવી રાખવામાં આવ્યા છે, જ્યારે અન્યત્ર બદલાવ લાવવામાં આવ્યો છે.
આ યાદીનું સૌથી મોટું આકર્ષણ એ રહ્યું કે પાર્ટીએ અનેક દિગ્ગજોને બહારનો રસ્તો બતાવ્યો છે. પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષ રાડીયા જેવા નેતાઓને ટિકિટ આપવામાં આવી નથી.
ખાસ કરીને મનીષ રાડીયાને 60 વર્ષના માપદંડને આધારે બહાર રાખવામાં આવ્યા હોવાની ચર્ચા છે. આ પગલાંથી પાર્ટી અંદર પેઢી પરિવર્તન અને નવી લીડરશિપ ઉભી કરવાની દિશામાં આગળ વધી રહી છે તેવો સંદેશ આપવામાં આવ્યો છે. જ્યારે અનેક દિગ્ગજો બહાર થયા છે ત્યારે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા)ને ફરી તક આપવામાં આવી છે. તેમને વોર્ડ નં. 3માંથી ટિકિટ આપવામાં આવી છે, જેને ગોલ્ડન ચાન્સ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે પાર્ટી કેટલાક અનુભવી નેતાઓ પર હજી પણ વિશ્વાસ રાખે છે, ખાસ કરીને જ્યાં ચૂંટણીમાં જીતની સંભાવના મજબૂત માનવામાં આવે છે.
વોર્ડ બદલાવથી રાજકીય ગણિતમાં ફેરફાર
આ વખતે અનેક પૂર્વ કોર્પોરેટરોના વોર્ડ બદલી નાખવામાં આવ્યા છે. આ પગલું સ્થાનિક અસંતોષ ઘટાડવા અને નવા સમીકરણો ઉભા કરવા માટે લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. વોર્ડ બદલાવને કારણે કેટલાક ઉમેદવારો માટે નવા વિસ્તારોમાં પોતાનું પ્રભુત્વ સાબિત કરવાનો પડકાર રહેશે, જ્યારે કેટલાક માટે આ તક બની શકે છે.
ભાજપે આ વખતે નવા ચહેરાઓમાં ખાસ કરીને શિક્ષિત યુવાઓને તક આપી છે. પાર્ટીનો પ્રયાસ સ્પષ્ટ દેખાય છે કે શહેરના વિકાસ માટે નવી વિચારસરણી ધરાવતા પ્રતિનિધિઓ આગળ લાવવામાં આવે. આ સાથે જ કેટલીક જૂની ટર્મના પૂર્વ સભ્યોને ફરીથી તક આપવામાં આવી છે, જેથી અનુભવ અને નવી ઊર્જા વચ્ચે સંતુલન જળવાઈ રહે.
આ ચૂંટણીમાં એક ખાસ બાબત એ રહી કે મોટા નેતાઓના સંતાનોને ટિકિટ આપવામાં આવી નથી. અનેક દાવેદારો હોવા છતાં પાર્ટીએ વારસાગત રાજકારણને પ્રોત્સાહન ન આપવાનો સંદેશ આપ્યો છે. આ નિર્ણયથી પાર્ટી અંદર સામાન્ય કાર્યકરોમાં સકારાત્મક સંદેશ ગયો છે અને મહેનત આધારિત રાજકારણ ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
ઉમેદવારોની યાદીમાં વિવિધ વોર્ડ માટે અનેક નવા અને જુના નામો સામે આવ્યા છે. વોર્ડ નં. 1માં અંજના મોરજરીયા, સેજલ ચૌધરી, જયરાજસિંહ જાડેજા અને પરેશ ઠાકરને તક આપવામાં આવી છે. વોર્ડ નં. 2માં દક્ષાબેન વાઘેલા, મીનાબા જાડેજા, શૈલેષ વસાણી અને ધૈર્ય પારેખને સ્થાન મળ્યું છે. વોર્ડ નં. 3માં અલ્પા દવે, હીના બેલાણી, અજય મજેઠીયા અને નરેન્દ્રસિંહ જાડેજાને ઉમેદવારી આપવામાં આવી છે. વોર્ડ નં. 4માં કંકુબેન ઉધરેજા, રાજેશ્વરી માલવિયા, ભરતભાઈ લિંબાસિયા અને કાળુભાઈ કુંગસિયાને ટિકિટ મળી છે.
વોર્ડ નં. 5માં રસીલાબેન સાકરીયા, સ્મીતાબેન ગોહિલ, સંજય ચાવડા અને દિલીપ લુણાગરીયા ઉમેદવાર છે. વોર્ડ નં. 6માં ધર્મિષ્ઠાબેન પરમાર, પૂનમબેન મોરવડિયા, અનિલ ચૌહાણ અને પરેશ પીપળીયાને તક આપવામાં આવી છે.
આ ઉપરાંત અન્ય વોર્ડમાં પણ પાર્ટીએ નવા અને જુના ચહેરાઓનું સંયોજન રાખ્યું છે.
ઓબીસી અનામતથી રાજકીય સમીકરણોમાં ઉથલપાથલ આ વખતે ઓબીસી અનામતના કારણે અનેક વોર્ડમાં રાજકીય સમીકરણો બદલાયા છે. જેના કારણે કેટલાક મજબૂત દાવેદારોને વોર્ડ બદલવા પડ્યા છે અથવા ટિકિટ ગુમાવવી પડી છે.
આ અનામતની અસરથી પાર્ટી માટે ઉમેદવારી નક્કી કરવી વધુ પડકારજનક બની હતી, જેનું પરિણામ યાદીમાં દેખાય છે. યાદી જાહેર થયા બાદ કેટલાક વોર્ડમાં અસંતોષ જોવા મળ્યો હતો, પરંતુ પાર્ટી નેતૃત્વે તાત્કાલિક સ્થિતિ સંભાળી લીધી હતી. કાર્યકરોને સમજાવી અને સંગઠનને મજબૂત રાખવા માટે સ્થાનિક સ્તરે બેઠક યોજાઈ હતી. પરિણામે મોટાભાગના દાવેદારો પાર્ટી સાથે જ રહ્યા અને સત્તાવાર ઉમેદવારોને સમર્થન આપ્યું.
ચૂંટણી પહેલાં જ રાજકીય તાપમાન ઊંચું
ભાજપની આ યાદી બહાર આવતા જ રાજકોટમાં રાજકીય ગરમી વધી ગઈ છે. વિરોધ પક્ષો પણ હવે પોતાની વ્યૂહરચના વધુ તેજ કરી રહ્યા છે.ભાજપે જ્યાં નવા ચહેરાઓ પર દાવ લગાવ્યો છે, ત્યાં વિરોધ પક્ષો માટે આ એક તક બની શકે છે કે તેઓ અસંતોષને પોતાની તરફ ખેંચે.
આ વખતે ભાજપે વિકાસના મુદ્દા સાથે યુવા નેતૃત્વને આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, પાણી, રસ્તા અને સ્વચ્છતા જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડવાની તૈયારી કરવામાં આવી રહી છે. યુવા ઉમેદવારોને તક આપીને પાર્ટી લાંબા ગાળાની રાજકીય વ્યૂહરચના ઘડી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાની આ ચૂંટણી માટે ભાજપની યાદી જોતા સ્પષ્ટ થાય છે કે પાર્ટીએ એક સાથે બે દિશામાં પગલું ભર્યું છે, એક તરફ મોટા પાયે બદલાવ, અને બીજી તરફ અનુભવી નેતાઓને જાળવી રાખવાનો પ્રયાસ. નો-રીપીટના નારા વચ્ચે સિલેક્ટિવ રીપીટનો ફોર્મ્યુલા અપનાવી પાર્ટીએ ચૂંટણી માટે સંતુલિત ટીમ ઉભી કરવાની કોશિશ કરી છે. હવે જોવાનું રહેશે કે આ વ્યૂહરચના મતદારોને કેટલા અંશે રિઝવે છે અને ચૂંટણીના પરિણામોમાં તેનો શું પ્રભાવ પડે છે.
છેલ્લી ઘડીએ વોર્ડ-7માં ઉમેદવાર બદલાતા રાજકીય ગરમાવો: વિજય વિશ્વાસ સંમેલન બાદ ભાજપના 72 ઉમેદવારોએ ભર્યા ફોર્મ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ શહેરમાં રાજકીય ચહલપહલ ચરમસીમાએ પહોંચી છે. 11 એપ્રિલના રોજ ભાજપના તમામ 72 ઉમેદવારો દ્વારા એક સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ, તે પહેલા રેસકોર્સ રિંગ રોડ પર બહુમાળી ભવન ચોક ખાતે ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જોકે બીજી તરફ કેટલાક નારાજ કાર્યકર્તાઓ અને દાવેદારોની ગેરહાજરીએ આંતરિક અસંતોષની ઝાંખી પણ આપી હતી.
આ સમગ્ર રાજકીય ગતિવિધિ વચ્ચે સૌથી મોટો અને ચોંકાવનારો વિકાસ વોર્ડ નંબર 7માં જોવા મળ્યો, જ્યાં છેલ્લી ઘડીએ ઉમેદવારમાં ફેરફાર કરવામાં આવ્યો. અગાઉ શૈલેષ જાનીને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ અંતિમ સમયે પક્ષે નિર્ણય બદલી પૂર્વ કોર્પોરેટર નેહલ શુક્લાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો. શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેના જણાવ્યા મુજબ, બ્રહ્મ સમાજના નેહલ શુક્લાને પક્ષે મેન્ડેટ આપ્યું છે અને તેઓ જ વોર્ડ-7માંથી ચૂંટણી લડશે. નોંધનીય છે કે શૈલેષ જાની વિજય વિશ્વાસ સંમેલનમાં સ્ટેજ પર ઉમેદવાર તરીકે હાજર રહ્યા હતા, પરંતુ બાદમાં તેઓ સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા હતા, જે ઘટનાએ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓને જન્મ આપ્યો છે.
ડો. માધવ દવેએ માહિતી આપી કે ભાજપે ગત રાત્રે જ 72 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી અને ત્યારબાદ આખી રાત ભાજપ લીગલ સેલની મદદથી ઉમેદવારોના ફોર્મ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. આજે સંમેલન પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને એક સાથે ઉમેદવારી નોંધાવવા માટે આગળ વધ્યા હતા. આ સાથે જ સાંજથી જ પ્રચાર અભિયાનને તેજ બનાવવા માટે કાર્યકર્તાઓને બૂથ સ્તર સુધી સક્રિય થવા સૂચના આપવામાં આવી છે.
ચૂંટણી માટે ભાજપે આ વખતે મોટા પાયે ફેરફારો કર્યા છે. કુલ 72 ઉમેદવારોમાંથી માત્ર 22 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 50 નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે પાર્ટીએ નવી પેઢીને આગળ લાવવા અને તાજગીભર્યું નેતૃત્વ ઉભું કરવા માટે જોર આપ્યું છે. ખાસ કરીને ગત પાંચ વર્ષની ટર્મમાં રહેલા મુખ્ય 10 પદાધિકારીઓમાંથી માત્ર બેને જ ફરી તક આપવામાં આવી છે, જેમાં પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ અને પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.
બીજી તરફ અનેક દિગ્ગજ નેતાઓને આ વખતે ટિકિટમાંથી વંચિત રાખવામાં આવ્યા છે. પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ દંડક મનીષ રાડિયા અને સુરેન્દ્રસિંહ વાળા, તેમજ પૂર્વ શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને વિનુભાઈ ઘવા સહિતના નેતાઓના નામ કપાતા પાર્ટી અંદર પેઢી પરિવર્તનનો સંકેત સ્પષ્ટ જોવા મળે છે. ઉપરાંત પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરાની પણ બાદબાકી કરવામાં આવી છે, જે પાર્ટી માટે એક મોટો રાજકીય સંદેશ માનવામાં આવે છે.
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા દરમિયાન છેલ્લી ક્ષણ સુધી ભારે ખેંચતાણ જોવા મળી હતી. ગાંધીનગરના કમલમ સુધી આ ચર્ચાઓ ગુંજતી રહી હતી કે મોટા નેતાઓ વચ્ચે પોતાના સમર્થકોને ટિકિટ અપાવવા માટે તીવ્ર મતભેદ સર્જાયા હતા. રાજકોટ શહેર ભાજપ કાર્યાલયમાં પણ મોડી રાત સુધી ચાલેલી ચર્ચાઓમાં તું-તું મેં-મેં જેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચા કાર્યકરોમાં ચાલી રહી હતી. શહેરના ચાર ધારાસભ્યોમાંથી બે ધારાસભ્યો વચ્ચે ઉમેદવારોની પસંદગી મુદ્દે ખાસ તણાવ રહ્યો હતો, જેના કારણે આખી પ્રક્રિયા વધુ જટિલ બની હતી.
અંતે ઉમેદવારોની યાદી જાહેર થતાં એક ખાસ ચર્ચા એ પણ સામે આવી કે ટિકિટ ફાળવણીમાં મહિલા ધારાસભ્યનું પલડું ભારે રહ્યું હતું. અનેક ઉમેદવારોની પસંદગીમાં તેમની ભલામણો પ્રબળ રહી હોવાનો ગણગણાટ રાજકીય વર્તુળોમાં સંભળાયો હતો. આથી પક્ષની અંદરની શક્તિ સંતુલન અને ગોઠવણો અંગે પણ ચર્ચા તેજ બની છે.
ડો. માધવ દવેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે ભાજપ તમામ 72 બેઠકો પર જીત મેળવી કમળ ખીલાવશે. તેમણે જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોને આધારે મતદારો ભાજપને સમર્થન આપશે. રાજકોટ શહેરમાં પણ વિકાસના મુદ્દાને કેન્દ્રમાં રાખીને ચૂંટણી લડવામાં આવશે. સાથે જ તેમણે એ પણ સ્વીકાર્યું કે કેટલાક કાર્યકર્તાઓમાં નારાજગી હતી, પરંતુ તેઓએ વ્યક્તિગત રીતે તમામને સાંભળી યોગ્ય આશ્વાસન આપ્યું છે અને હવે બધા એક થઈને પ્રચારમાં જોડાશે. પાર્ટી માટે આંતરિક એકતા જાળવવી આ ચૂંટણીમાં સૌથી મોટો પડકાર રહેશે.
આ રીતે રાજકોટ મનપાની ચૂંટણી પહેલા જ ભાજપની અંદરની ગતિવિધિઓ, ઉમેદવારોની છેલ્લી ક્ષણની બદલીઓ અને દિગ્ગજોની બાદબાકીથી રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને વોર્ડ-7માં થયેલા બદલાવથી સ્પષ્ટ થાય છે કે પક્ષ જીત માટે કોઈ પણ ક્ષણે વ્યૂહરચના બદલવા તૈયાર છે. હવે જોવાનું રહ્યું કે આ રાજકીય દાવપેચ મતદારોને કેટલા અંશે પ્રભાવિત કરે છે અને ચૂંટણી પરિણામોમાં તેનું શું પ્રતિબિંબ જોવા મળે છે.
ટિકિટ વહેંચણી બાદ રાજકોટ ભાજપમાં ભડકો: અનેક વોર્ડમાં ઉગ્ર વિરોધ, કમલમ કાર્યાલયે પોલીસ બંદોબસ્ત રાખવો પડ્યો
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે 72 ઉમેદવારોની યાદી જાહેર કરતાં જ શહેરના રાજકીય માહોલમાં ભારે ઉથલપાથલ સર્જાઈ હતી. યાદી જાહેર થતાં જ ખાસ કરીને વોર્ડ નં. 3, 13, 14, 16 અને 18માં અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો અને કાર્યકરોમાં નારાજગીની લાગણી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી હતી. મોડી રાત સુધી શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે દાવેદારો અને તેમના સમર્થકોના ટોળાં ઉમટતા રહ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ કે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. જોકે આ સમગ્ર ધમાલ અને વિરોધ બાદ બીજા દિવસે સવારે પક્ષના નેતાઓએ દાવો કર્યો હતો કે તમામ કાર્યકરોને સમજાવી દેવામાં આવ્યા છે અને હવે દરેક પાર્ટી લાઇનમાં આવી ગયો છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી વધુ ચર્ચામાં વોર્ડ નંબર 13 રહ્યો હતો, જ્યાં પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીનું નામ ટિકિટમાંથી કાપી દેતાં તેમના સમર્થકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આશરે દોઢસો જેટલા કાર્યકરો નીતિન રામાણીના સમર્થનમાં કમલમ કાર્યાલયે પહોંચી ગયા હતા અને નીતિનભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ, જેવા સૂત્રોચ્ચાર સાથે કાર્યાલય ગૂંજી ઉઠ્યું હતું. પરિસ્થિતિ એટલી ગરમાઈ ગઈ હતી કે કાર્યાલયમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમર્થકોની સ્પષ્ટ માંગ હતી કે વર્ષોથી પક્ષ માટે મહેનત કરનાર અને સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા નીતિન રામાણીને ફરી તક અપાવવી જોઈએ.
વિરોધ વધતા ભાજપના આગેવાનોને તાત્કાલિક દખલગીરી કરવી પડી હતી. પૂર્વ શહેર પ્રમુખ કમલેશ મીરાણી, પુષ્કર પટેલ અને અન્ય નેતાઓએ કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ નીતિન રામાણીને શહેર પ્રમુખ ડો. માધવ દવે સમક્ષ લઈ જઈ બંધ બારણે બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આશરે પંદર મિનિટ ચાલેલી આ બેઠકમાં રામાણીની નારાજગી દૂર કરવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. અંતે નીતિન રામાણીએ હાઇકમાન્ડને પત્ર લખી પાર્ટી માટે કામ કરવાની તૈયારી દર્શાવતા મામલો શાંત થયો હોવાનું જણાવાયું હતું.
વોર્ડ નંબર 14માં પણ ટિકિટ ફાળવણીને લઈને ભારે અસંતોષ જોવા મળ્યો હતો. મહિલા દાવેદાર શીતલબેન સોની પોતાના સમર્થકો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો સાથે કમલમ કાર્યાલયે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે પક્ષ પર આરોપ મૂક્યો હતો કે સ્થાનિક અને વર્ષોથી મહેનત કરતા કાર્યકરોને અવગણીને બહારના વોર્ડના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જે અન્યાય સમાન છે. મહિલા કાર્યકરો દ્વારા કાર્યાલયની બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આંદોલનનું સ્વરૂપ ધારણ થતું જોઈ પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે પોલીસ બોલાવવી પડી હતી. વોર્ડ નંબર 3માં પણ દાવેદારી મુદ્દે અસંતોષ વ્યક્ત થયો હતો. હેમુભાઈ ભરવાડના સમર્થનમાં મહિલાઓએ ખાસ કરીને નારાજગી દર્શાવી હતી અને સૂત્રોચ્ચાર કરીને પક્ષના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ અન્ય વોર્ડોમાં પણ છૂટોછવાયો અસંતોષ જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે ટિકિટ ફાળવણી પ્રક્રિયા દરમિયાન પક્ષમાં અંદરથી ભારે ખેંચતાણ ચાલી હતી. આ વખતે ભાજપે ઘણા દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપી નાખતા પણ અસંતોષ વધ્યો છે. પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, પૂર્વ દંડક સુરેન્દ્રસિંહ વાળા અને પૂર્વ શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા જેવા નેતાઓને ટિકિટમાંથી વંચિત રાખવામાં આવ્યા છે. જોકે તેમના સમર્થકો દ્વારા ખુલ્લો વિરોધ નોંધાયો નથી, છતાં અંદરખાને નારાજગી હોવાની ચર્ચા ચાલી રહી છે.
વોર્ડ નંબર 13માં તો એક તરફ નવા ઉમેદવારોના સમર્થકોમાં ખુશીનો માહોલ હતો, જ્યારે બીજી તરફ નીતિન રામાણીના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, જે ભાજપની આંતરિક સ્થિતિનું વિસંગત ચિત્ર રજૂ કરતું હતું. પાર્ટીએ આ વોર્ડ માટે પંકજ લુણાગરિયા, મોહિતસિંહ જાડેજા, સોનલબેન સેલારા અને માધવીબેન બદ્રકીયાના નામ જાહેર કર્યા છે, પરંતુ આ યાદી સામે આવતા જ વિખવાદ ખુલ્લેઆમ સામે આવ્યો હતો.
કમલમ કાર્યાલય ખાતે મોડી રાત સુધી ચાલી રહેલી આ ગતિવિધિઓએ સ્પષ્ટ કર્યું કે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સરળ નહોતી. દાવેદારો અને તેમના સમર્થકો સતત પોતાની રજૂઆતો કરવા માટે કાર્યાલયે ઉમટતા રહ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે પોલીસ બંદોબસ્ત જરૂરી બન્યો હતો.
જોકે આ તમામ ઉથલપાથલ બાદ બીજા દિવસે સવારે ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે તમામ નારાજગીઓ દૂર કરી દેવામાં આવી છે. દરેક કાર્યકરને સાંભળવામાં આવ્યો છે અને હવે બધા એક થઈને ચૂંટણી પ્રચારમાં જોડાશે. પાર્ટી દ્વારા સંગઠન એકતા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કારણ કે ચૂંટણી નજીક આવતાં આંતરિક વિખવાદ પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
આ રીતે રાજકોટ ભાજપમાં ટિકિટ વહેંચણી બાદ ઉભી થયેલી પરિસ્થિતિએ સ્પષ્ટ કર્યું છે કે એક તરફ પક્ષ પરિવર્તન અને નવા ચહેરાઓને તક આપવાનો પ્રયાસ કરી રહ્યો છે, તો બીજી તરફ આ નિર્ણયોથી આંતરિક અસંતોષ પણ ઉગ્ર સ્વરૂપ લઈ રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે પક્ષ આ અસંતોષને કેટલો લાંબા સમય સુધી નિયંત્રણમાં રાખી શકે છે અને ચૂંટણીમાં તેનો શું પ્રભાવ પડે છે.


