રાજકોટ ડિવિઝનના ટ્રેક્શન વિભાગે સિદ્ધિઓનો નવો કીર્તિમાન સ્થાપ્યો : ગાડીઓની ગતિઓમાં સુધારો
બે નવા ટ્રેક્શન સબ-સ્ટેશન, ડબલ લાઇન વિદ્યુતીકરણ અને આધુનિક તકનીકી સુધારાઓથી રેલ કામગીરી વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બની
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના ટ્રેક્શન ડિસ્ટ્રિબ્યુશન (TrD) વિભાગે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વિકાસ, સુરક્ષા અને તકનીકી નવીનતાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ નોંધાવી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન ડિવિઝન દ્વારા વાંકાનેર અને ગોરિંજામાં બે નવા ટ્રેક્શન સબ-સ્ટેશન (TSS) સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે. આનાથી વિવિધ રેલવે વિભાગોમાં વોલ્ટેજ વધ-ઘટની સમસ્યા દૂર થઈ છે અને ટ્રેનો માટે અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત થયો છે.
માલસામાનના પરિવહનની સુવિધાઓને મજબૂત કરવા માટે વિન્ડમિલ–બેડી પોર્ટ, રફાળેશ્વર પાસે સ્થિત ગતિ શક્તિ મલ્ટી-મોડલ કાર્ગો ટર્મિનલ (GCT) અને લુણસરિયા–નવલખી જેવી મહત્વની ખાનગી સાઇડિંગ્સનું વિદ્યુતીકરણ પૂર્ણ કરી તેને કાર્યરત કરવામાં આવી છે. આનાથી માલગાડીઓની સરેરાશ ગતિમાં સુધારો થયો છે અને ડીઝલ એન્જિનો પરની નિર્ભરતામાં ઘટાડો થયો છે. આ ઉપરાંત, રાજકોટ-કનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત નવા ડબલ લાઇન સેક્શનના વિદ્યુતીકરણથી મુસાફર અને માલવાહક સેવાઓનું સંચાલન વધુ સરળ બન્યું છે.
OHE સિસ્ટમની વિશ્વસનીયતા વધારવા માટે વિભાગ દ્વારા વ્યાપક સ્તરે સુધારણા કામગીરી કરવામાં આવી છે. આ અંતર્ગત કાટ લાગેલા કેન્ટીલીવર, જૂના ઓટો ટેન્શનિંગ ડિવાઇસ (ATD) અને એન્ડિંગ કોન બદલવાની સાથે નમેલા માસ્ટ (થાંભલા) સીધા કરવામાં આવ્યા છે, જેના કારણે OHE બ્રેકડાઉનની ઘટનાઓમાં મોટો ઘટાડો થયો છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતો (CB ટ્રીપિંગ) અટકાવવા માટે એન્ટી-બર્ડ ડિસ્ક, નાયલોન મેશ, પેકિંગ સેડલ, હાઈ ક્રીપેજ ડિસ્ટન્સ ઇન્સ્યુલેટર અને RRA ક્લેમ્પ જેવા આધુનિક સુરક્ષા ઉપાયો અમલમાં મૂકવામાં આવ્યા છે. ટેકનિકલ નવીનતા હેઠળ, ટાવર વેગન માટે બેલ-આધારિત સંચાર પ્રણાલી અને ‘ઈ-કર્ષણ’ ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી ટેકનિકલ સૂચનાઓની રીઅલ-ટાઇમ ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ છે.
કર્મચારીઓની સુરક્ષા માટે ફૂટ પેટ્રોલિંગ સ્ટાફને GPS ટ્રેકર અને ટાવર વેગનમાં LED હેડલાઇટ્સ આપવામાં આવી છે. આ સાથે નિયમિત કાઉન્સેલિંગ અને ‘ટૂલ બોક્સ ટૉક’ દ્વારા કાર્યસ્થળ પર સુરક્ષાના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
આ અવસરે રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન ડિસ્ટ્રિબ્યુશન) જિતેન્દ્ર કુમાર મંગલ અને તેમની ટીમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ પ્રયાસોથી રેલ સંચાલનની સુરક્ષા અને કાર્યક્ષમતાને નવી ઊંચાઈ મળશે, જેનો સીધો લાભ મુસાફરો અને માલસામાનના ગ્રાહકોને મળશે.


