સાયબર ફ્રોડ કૌભાંડમાં સંડોવણી ખુલતા 3 બેન્ક અધિકારીઓની ધરપકડ
ઓપરેશન મ્યુલ હંટ હેઠળ 2500 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ; કમિશનની લાલચે બેન્કિંગ પ્રોસેસમાં મદદ કર્યાનો થયો ખુલાસો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સાયબર ગુનાઓ સામે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત એક વિશાળ કૌભાંડમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 17 લોકો ઝડપાઈ ચૂક્યા હતા, જ્યારે હવે બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા વધુ ત્રણ લોકોની ધરપકડ થતાં કૌભાંડની વ્યાપકતા વધુ સ્પષ્ટ થઈ છે. પોલીસ તપાસ મુજબ, આ સમગ્ર રેકેટમાં અત્યાર સુધી 2500 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે.
ઝડપાયેલા આરોપીઓમાં યસ બેન્કના પર્સનલ બેન્કર મૌલિક કમાણી, એક્સિસ બેન્કના મેનેજર કલ્પેશ ડાંગરીયા અને યસ બેન્કના પૂર્વ પર્સનલ બેન્કર તેમજ હાલ HDFC બેન્કમાં ફરજ બજાવતા અનુરાગ બાલધાનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ રાજકોટ અને જામનગર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ પોતાના બેંકિંગ ક્ષેત્રના અનુભવ અને પદનો દુરુપયોગ કરીને સાયબર ફ્રોડ કરનાર ગેંગને મદદ કરી હતી. કમિશન અને આર્થિક લાભની લાલચમાં તેઓએ ફ્રોડમાં સંકળાયેલા લોકોને બેન્ક ખાતા ખોલાવવાથી લઈને રોકડ રકમ ઉપાડવા અને ટ્રાન્ઝેક્શન સુગમ બનાવવા સુધીના કાર્યોમાં સહયોગ આપ્યો હતો.
જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આરોપી મૌલિક કમાણી અગાઉથી જ આ કેસમાં ઝડપાયેલા કેટલાક આરોપીઓ સાથે સંપર્કમાં હતો અને તેમના સહયોગથી વિવિધ વ્યક્તિઓના નામે પેઢીઓના ખાતા ખોલાવતો હતો. આ ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય લેવડદેવડ માટે કરવામાં આવતો હતો.
બીજા આરોપી કલ્પેશ ડાંગરીયાએ પોતાના મેનેજર પદનો લાભ લઈને ફ્રોડ ગેંગને બેન્કિંગ પ્રક્રિયામાં માર્ગદર્શન આપ્યું હતું. તેણે માર્કેટિંગ યાર્ડ (APMC)ના દસ્તાવેજો રજૂ કરવાથી મોટા ટ્રાન્ઝેક્શન સરળતાથી થઈ શકે તેવી સલાહ આપી હતી. ઉપરાંત, પોતાની બ્રાન્ચમાં પૂરતી રકમ ન હોય ત્યારે અન્ય બેંકો મારફતે રોકડ ઉપાડવામાં પણ મદદ કરતો હતો.
ત્રીજા આરોપી અનુરાગ બાલધાએ ખોટા દસ્તાવેજો આધારિત ખાતા ખોલાવવામાં સહયોગ આપ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, એક વ્યક્તિના નામે ખાતું ખોલવામાં આવ્યું હતું, પરંતુ તેની જગ્યાએ અન્ય વ્યક્તિએ તમામ દસ્તાવેજોમાં સહી કરી હતી, છતાં પણ અનુરાગે તે પ્રક્રિયાને માન્યતા આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં કુલ 85 જેટલા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો. અત્યાર સુધી 1930 જેટલી એનસીસીઆરપી (NCCRP) અરજીઓ નોંધાઈ છે અને લગભગ 74 કરોડથી વધુની સીધી ફ્રોડ રકમ નોંધાઈ છે. જ્યારે આ તમામ ખાતાઓમાં થયેલા કુલ ટ્રાન્ઝેક્શનનો આંક 2500 કરોડને પાર ગયો છે, જે ખૂબ જ ચોંકાવનારો છે. તપાસ દરમિયાન આ પણ બહાર આવ્યું છે કે આરોપીઓ મુખ્યત્વે યસ બેન્ક, એક્સિસ બેન્ક અને ICICI બેંકમાં ખાતાઓ ખોલાવતા હતા. ખાસ કરીને APMC સાથે જોડાયેલી પેઢીઓના નામે ખાતા ખોલાવી, કૃષિ ક્ષેત્રને મળતી ટેક્સ છૂટનો લાભ લઈ મોટા પાયે નાણાંની અવરજવર કરવામાં આવતી હતી, જેથી સરકારી તંત્રની નજરથી બચી શકાય.
આ કેસમાં સાયબર ફ્રોડ ઉપરાંત ગેમિંગ અને GST સંબંધિત નાણાકીય ગેરરીતિઓ પણ થયાની શંકા છે. પોલીસ દ્વારા આ તમામ દિશામાં તપાસ વિસ્તારી રહી છે અને વધુ પુરાવા એકત્ર કરવા માટે બેંકો પાસેથી મૂળ દસ્તાવેજો મંગાવવામાં આવી રહ્યા છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસનું કહેવું છે કે, આ માત્ર શરૂઆત છે અને આવનારા દિવસોમાં વધુ આરોપીઓ ઝડપાઈ શકે છે. સમગ્ર કેસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની મદદથી નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રકરણએ બેન્કિંગ સિસ્ટમની વિશ્વસનીયતા અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સાથે જ સાયબર ગુનાઓ સામે વધુ સખત પગલાં લેવાની જરૂરિયાતને પણ ઉજાગર કરી છે.


