સોમનાથ મહાદેવના સ્થાપના દિન નિમિત્તે પાલખી યાત્રા નિકળતા ઠેર ઠેર સ્વાગત
સોમપુરા બ્રહ્મ સમાજના આયોજન હેઠળ વૈદિક મંત્રોચ્ચાર સાથે યાત્રા નિકળતા નગરમાં ભક્તિમય માહોલ છવાયો
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
પ્રભાસતીર્થની ભુમીમાં આજે આસ્થાનો અનોખી જ્યોત પ્રગટ્યો જ્યારે દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવના સ્થાપના દિવસ નિમિત્તે તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય પાલખી યાત્રાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. વૈશાખ સુદ પાંચમ તા.21 એપ્રિલ 2026 ના પાવન દિવસે યોજાયેલી આ યાત્રાએ સમગ્ર નગરને શિવની ભક્તિમય રંગે રંગી દીધુ હતુ.
ભારતના બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવના સ્થાપના દિવસની આ યાત્રા છેલ્લા પાંચ વર્ષથી સતત ભવ્યતા સાથે યોજાઈ રહી છે. આ વર્ષે પણ પ્રાચીન જુના સોમનાથ મહાદેવ મંદિર ખાતે વિધિવત પાલખી પૂજન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ, ઉપપ્રમુખ જયવર્ધન જાની, જીલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, વેરાવળ-પાટણ સનાતન હિન્દૂ સમાજના કિશોરભાઈ કુહાડા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ યાત્રામાં ખાસ આકર્ષણ તરીકે આંતરરાષ્ટ્રીય કિન્નર અખાડાના મહામંડલેશ્વર મહાસતી નંદગીરી અને મહાકાલી નંદગીરી ઉજ્જૈનથી પધાર્યા હતા. તેમણે ભક્તોને આશીર્વચન આપતા સમગ્ર કાર્યક્રમમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કર્યો હતો. પાલખી યાત્રા પ્રાચીન જુના સોમનાથ મંદિરેથી પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગ જેવા મેઈન બજાર, દુધપીઠ, રામરાખ ચોક, પાટચકલા, લાંબી શેરી અને કુંભારવાડા સહિતના વિસ્તારોમાં ફરીને મંદિર પરત પહોંચી પુર્ણ થઈ હતી. પાલખીયાત્રા દરમ્યાન ઢોલ- શરણાઈના નાદ સાથે ભજનોના ગાન અને વૈદિક મંત્રોચ્ચારે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
યાત્રાના માર્ગો પર ભક્તોએ શણગાર કરી પાલખીયાત્રાનું ભાવપૂર્વક સ્વાગત કરવાની સાથે ઠેર ઠેર ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જુદા જુદા મંડળો દ્વારા ઠંડા પીણા, શરબત અને ચા-પાણીની વ્યવસ્થા દ્વારા સેવાભાવનો ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યો હતો. સમગ્ર પ્રભાસ પાટણ શહેરે આ યાત્રામાં સહભાગી બની ભક્તિ અને એકતાનું અનોખું દર્શન કરાવ્યું, જ્યાં સર્વ સમાજના લોકો ભેગા થઈ ભગવાન સોમનાથની ભક્તિમાં લીન બન્યા હતા.


