પોપટપરામાંથી 3.56 લાખના ગાંજા સાથે મહિલા પેડલરને દબોચી લેતી પ્ર.નગર પોલીસ
SAY NO TO DRUGS મિશન અંતર્ગત સતત ત્રીજો દરોડો, પેડલર મહિલા સુરતથી ગાંજો લાવી શહેરમાં છૂટક વેચાણ કરતી હતી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં માદક પદાર્થોના વધતા જતા પ્રસાર સામે પોલીસ તંત્ર હવે સખત એક્શનમાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં સતત દરોડાઓ પાડી નશાના વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી જ એક વધુ સફળ કામગીરીમાં પ્ર.નગર પોલીસે પોપટપરા વિસ્તારમાંથી એક મહિલા પેડલરને ઝડપી પાડી તેની પાસેથી રૂ. 3.56 લાખનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, શહેર પોલીસ દ્વારા SAY NO TO DRUGS અભિયાન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોના વેચાણ અને સેવન સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ઇન્ચાર્જ એડીશનલ પોલીસ કમિશનર હરપાલસિંહ જાડેજા અને ડીસીપી રાકેશ દેશાઈના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ પોલીસ મથકોને કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
આ સૂચનાના આધારે પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ એમ.ડી. મકવાણાની રાહબરી હેઠળ પીએસઆઈ જે.બી. રાણીંગા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ટીમના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે પોપટપરા રેલનગર મેઈન રોડ પર આવેલી કૃષ્ણા પાર્ક સામે ગુરુકૃપા ગેરેજવાળી ગલીમાં રહેતી એક મહિલા પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે તરત જ સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મહિલાને કાબૂમાં લઈને પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં મહિલાએ પોતાનું નામ વર્ષાબેન બાબુ ઉકેડીયા હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા મકાનની તલાશી લેવામાં આવતાં અંદરથી મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો. પોલીસે કુલ 7.132 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 3.56 લાખ થાય છે. આ સાથે પોલીસે મહિલાની ધરપકડ કરી ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી વર્ષાબેન ઉકેડીયા સુરતથી ગાંજાનો જથ્થો લાવી રાજકોટમાં છૂટકમાં વેચાણ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તે લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલી હોઈ શકે છે. હાલ પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ ચાલી રહી છે, જેથી આ ગાંજાનો સપ્લાય ચેન અને તેમાં સંકળાયેલા અન્ય લોકો અંગે માહિતી મેળવી શકાય.
મહત્વનું છે કે, છેલ્લા ત્રણ દિવસમાં રાજકોટ પોલીસ દ્વારા આ ત્રીજો મોટો દરોડો પાડવામાં આવ્યો છે, જેમાં અગાઉ પણ બે અલગ અલગ સ્થળોએથી નશીલા પદાર્થો સાથે શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આ સતત કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે પોલીસ હવે નશાના વેપાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વનરાજભાઈ બોરીચા અને રિયાઝભાઈ ભીપોત્રાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની સચોટ બાતમી અને ઝડપી કાર્યવાહીથી આ સફળતા મળી છે. પોલીસ દ્વારા હાલ આ કેસની તપાસ પીએસઆઈ કે.કે. ચાવડા અને તેમની ટીમને સોંપવામાં આવી છે. તેઓ હવે આરોપી મહિલા પાસેથી વધુ માહિતી મેળવી ગાંજાનો પુરવઠો ક્યાંથી આવે છે, કોણ કોણ લોકો તેમાં સંકળાયેલા છે અને આ નેટવર્ક કેટલું વ્યાપક છે તે જાણવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
રાજકોટમાં યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે પોલીસ સતત જાગૃત બની કામગીરી કરી રહી છે. શહેરમાં વધતા જતા નશાના પ્રસારને અટકાવવા માટે પોલીસ દ્વારા આવા દરોડાઓ આગળ પણ ચાલુ રહેશે તેવું જણાવાયું છે.


