કાયદો અને વ્યવસ્થા જાળવવી સરકારની પ્રથમ પ્રાથમિકતા : નાયબ મુખ્યમંત્રી
સુરતમાં છેડતીની ઘટનાને રાજકીય અને ધાર્મિક રંગ નહી આપવા ટકોર
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મતદાન અને તાજેતરના મુદ્દાઓ અંગે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે કેટલાક રાજકીય પક્ષો ચૂંટણીને ધર્મ આધારિત બનાવવા પ્રયાસ કરી રહ્યા છે, જે લોકશાહી માટે યોગ્ય નથી.
હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે ચૂંટણી હંમેશા વિકાસ, જનહિત અને સ્થાનિક પ્રશ્નોના આધાર પર લડવી જોઈએ. મતદારોને પણ સમજદારીપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગરમી અને અન્ય પરિસ્થિતિઓ હોવા છતાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા બહાર આવશે. લોકશાહી મજબૂત બનાવવા મતદાન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
સુરતમાં બનેલી છેડતીની ઘટનાને લઈને પણ હર્ષ સંઘવીએ કડક વલણ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે કોઈ દીકરી સાથે થયેલી છેડતી જેવી ગંભીર ઘટનામાં રાજકારણ માટે કોઈ સ્થાન નથી.તેમણે ઉમેર્યું કે ઘટનાના વીડિયો અને ઉપલબ્ધ પુરાવાના આધારે તપાસ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ મામલે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી થશે.
વધુમાં જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવી સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. મહિલાઓની સુરક્ષા મામલે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ સાથે કાર્ય કરી રહી છે.આ નિવેદન દ્વારા તેમણે એક તરફ મતદારોને જાગૃત રહેવાની અપીલ કરી, તો બીજી તરફ સંવેદનશીલ મુદ્દાઓને રાજકીય રંગ ન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.


