આજી-ન્યારી છલોછલ હોવાના દાવા વચ્ચે છેવાડાના વિસ્તારોના લોકો ટેન્કર પર નિર્ભર
વિતરણ વ્યવસ્થાના અભાવે વોર્ડ નં.૧૧, ૧૨ અને ૧૮ની સોસાયટીઓમાં ટેન્કર મંગાવવા સ્થાનિકો મજબૂર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરના અનેક વિસ્તારો આજે પણ પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાત માટે વલખાં મારી રહ્યા છે. ખાસ કરીને પશ્ચિમ અને પૂર્વ રાજકોટના છેવાડાના વિસ્તારોમાં જળ સંકટ એટલું ઘેરું બન્યું છે કે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 11, 12 અને 18ના વિસ્તારોમાં સ્થિતિ સ્ફોટક છે, જ્યાં લોકોએ પાણી માટે સંપૂર્ણપણે ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે. રાજકોટમાં દૈનિક 400 MLD પાણીની જરૂરિયાત છે અને તંત્ર આજી, ન્યારી તથા સૌની યોજના મારફત નર્મદા નીર પર નિર્ભર હોવા છતાં, વિતરણ વ્યવસ્થાના અભાવે છેવાડાના અનેક વિસ્તારોમાં હજુપણ ટેન્કરો દોડાવવા પડી રહ્યા છે.
રાજકોટના વેસ્ટ ઝોનમાં આવતા વોર્ડ નંબર 11 અને 12ના વિસ્તારોમાં જળસ્તર ઐતિહાસિક રીતે નીચે ઉતરી ગયા છે. અહીંના હાઈરાઈઝ બિલ્ડિંગોમાં વર્ષો જૂના બોર હવે ડુકી ગયા છે અને જે બોર ચાલુ છે તેમાં ક્ષારયુક્ત પાણી આવતું હોવાથી તે પીવાલાયક રહ્યું નથી. આંકડાકીય વિગતો મુજબ, વેસ્ટ ઝોનના અંદાજે 16 જેટલા વિસ્તારોમાં 28,277 ફ્લેટ ધારકોને દરરોજ અંદાજે 3,60,000 લીટર પાણી ટેન્કર મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે. મનપા તંત્ર આ વિસ્તારોમાં પાઈપલાઈન નેટવર્ક પહોંચાડવામાં સદંતર નિષ્ફળ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
વોર્ડ નંબર 11 ના રંગોલી પાર્ક આવાસ યોજનામાં 1164 ફ્લેટ ધારકો છેલ્લા 10 વર્ષથી નળ કનેક્શનની રાહ જોઈ રહ્યા છે. અહીં દરરોજ 5000 લીટરની ક્ષમતા ધરાવતા 35 ટેન્કરો મોકલવામાં આવે છે. ગોકુલમ હાઉસિંગ સોસાયટીમાં 200 ફ્લેટ માટે દૈનિક 6 ટેન્કર ફાળવવામાં આવ્યા છે. સવન સ્ટેટ્સ ફ્લેટ્સમાં 176 પરિવારો માટે દરરોજ 6 ટેન્કરનો ફેરો કરવામાં આવે છે. શ્રી હાઉસિંગ સોસાયટીમાં 224 પરિવારો પાણી માટે 7 ટેન્કર પર નિર્ભર છે. તેમજ અન્ય ફ્લેટ્સમાં વોર્ડ નં. 11 ના અન્ય 6 ફ્લેટ્સમાં રહેતા 266 પરિવારો માટે 9 ટેન્કર, એક્વાબ્લ્યુ એન્ટરપ્રાઈઝના 88 ફ્લેટ માટે 3 ટેન્કર અને હિલટોન બીલેવ્યુના 56 ફ્લેટ માટે 2 ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે.
પૂર્વ રાજકોટ એટલે કે ઈસ્ટ ઝોનના વિસ્તારોમાં તો સ્થિતિ વેસ્ટ ઝોન કરતા પણ વધુ ખરાબ છે. વોર્ડ નંબર 18 અને વાવડીના છેવાડાના વિસ્તારોમાં હજુ સુધી પાણીની મુખ્ય પાઈપલાઈન જ પહોંચી નથી. મફતીયા પરા અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારો માટે પાણી મેળવવું એ રોજિંદો જંગ બની ગયો છે. વાવડી અને લક્ષ્મીના ધોળા જેવા વિસ્તારોમાં ડંકીઓ ડુકી જવાને કારણે મહિલાઓને માથે બેડા લઈને દૂર સુધી ભટકવું પડે છે. તંત્ર દ્વારા ટેન્કર માટે ટેન્ડરો તો બહાર પાડવામાં આવ્યા છે, પરંતુ એજન્સીઓ દ્વારા સમયસર પાણી પહોંચાડવામાં આવતું નથી તેવી ફરિયાદો મંછાનગર અને આસપાસના વિસ્તારોમાંથી સતત ઉઠી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઉનાળાની શરૂઆતમાં જ જો આટલા મોટા પાયે ટેન્કરો દોડાવવાની નોબત આવી હોય, તો આગામી મે અને જૂન મહિનાના આકરા તાપમાં સ્થિતિ વધુ વણસી શકે છે. શહેરીજનોની એક જ માંગ છે કે તંત્ર તેમને ટેન્કરના ભરોસે રાખવાને બદલે યુદ્ધના ધોરણે પાઈપલાઈનનું કામ પૂર્ણ કરે અને દરેક સોસાયટી તથા આવાસ યોજનામાં કાયમી નળ કનેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો લોકરોષ ફાટી નીકળે તેવી પૂરેપૂરી શક્યતા છે. જોકે તંત્ર દ્વારા ચાલુ વર્ષે 40,000 નવા નળ કનેક્શન અપાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પણ હજુ ઘણા વિસ્તારો ટેન્કર ભરોસે છે.


