ગિરનારમાં ફેકટરીઓના કેમિકલથી વન્યપ્રાણી-લોકોના આરોગ્ય જોખમમાં
ભેંસાણ ચોકડી નજીક ધમધમતી કંપનીઓમાંથી નીકળતું લાલ પાણી ઝેર બન્યું : ગિરનાર હિતરક્ષક સમિતિ દ્વારા ફરી આંદોલનના મંડાણ : ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપતી સમિતિ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢ અને પવિત્ર ગિરનારની તળેટીમાં છેલ્લા કેટલાક સમયથી પર્યાવરણ અને જનજીવન પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. જૂનાગઢના જાગૃત નાગરિક અને ગિરનાર હિત રક્ષક સમિતિના ભાવેશભાઈ વેકરીયાએ એક સોશિયલ મીડિયા વીડિયો દ્વારા ગંભીર આક્ષેપો સાથે જૂનાગઢમાં ચાલતા કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ભેસાણ ચોકડી પાસે આવેલી જેતપુરના ઉદ્યોગપતિઓની કેમિકલ ફેક્ટરીઓ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણને કારણે જૂનાગઢની પાંચ લાખની જનતાનું આરોગ્ય અત્યારે જોખમમાં મુકાયું છે.
ભાવેશભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, આ ફેક્ટરીઓમાંથી નીકળતા અત્યંત ઝેરી ધુમાડાને કારણે હવાનું સ્તર એટલું કથળ્યું છે કે આસપાસના રહેણાંક વિસ્તારોમાં લોકોના એસી પણ કામ કરતાં બંધ થઈ ગયા છે. હવામાં રહેલા કેમિકલના અંશો મશીનરીને તો નુકસાન પહોંચાડે જ છે પરંતુ, તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે સ્થાનિક લોકો શ્વાસના રોગોનો શિકાર બની રહ્યા છે. ભવનાથ તળેટી જેવા પવિત્ર અને પ્રકૃતિથી ભરપૂર વિસ્તારમાં પણ હવે અવારનવાર ઝેરી ગેસની દુર્ગંધ અનુભવાય છે, જે પ્રવાસન અને શ્રદ્ધાળુઓ માટે પણ ખતરો છે.
ભૂગર્ભ જળની સ્થિતિ તો તેનાથી પણ વધુ ભયાનક જોવા મળી રહી છે. આરોપ છે કે આ ફેક્ટરીઓ પોતાનો ઝેરી કેમિકલયુક્ત કચરો અને પ્રવાહી સીધું જમીનમાં ઉતારી રહી છે. આના પરિણામે જૂનાગઢની આસપાસના સરગવાડા, સાબલપુર, દોલતપરા અને સુખપુર જેવા ગામોની સ્થિતિ દયનીય બની છે. ખેડૂતો જ્યારે સિંચાઈ માટે બોર કે દાર કરે છે ત્યારે તેમાંથી સફેદને બદલે લાલ રંગનું ઝેરી પાણી નીકળી રહ્યું છે. આ લાલ પાણીને કારણે હજારો એકર ફળદ્રુપ જમીન હવે બંજર બની રહી છે અને ખેતીના પાક નાશ પામી રહ્યા છે.
ગિરનાર હિત રક્ષક ભાવેશભાઈએ આ લડતને આરપારની ગણાવી છે. તેઓએ જાહેરાત કરી છે કે, તેમનું જીવન ગિરનારની પવિત્રતા અને જૂનાગઢના પર્યાવરણને સમર્પિત છે. તેઓ કોઈ પણ સંજોગોમાં આ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓને ચાલવા દેશે નહીં. તેઓએ ઉદ્યોગપતિઓને 15 દિવસથી એક મહિનાની મહેતલ આપી છે કે, તેઓ સ્વેચ્છાએ આ પ્રદૂષણ ફેલાવતા યુનિટો બંધ કરી દે અથવા અન્યત્ર ખસેડી લે, અન્યથા આંદોલન વધુ ઉગ્ર બનશે.
GPCBનું મૌન સામે સવાલો
આજે પણ કોના આશીર્વાદથી આ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે? પર્યાવરણના આ વિનાશ પાછળ રાજકીય ઓથ અને તંત્રની મિલીભગત હોવાનું પણ ભાવેશભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું છે. તેઓએ સવાલ ઉઠાવ્યો છે કે, જે ફેક્ટરી માલિકો સામે ભૂતકાળમાં માનવ વધ જેવા ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે, તેઓ આજે પણ કોના આશીર્વાદથી આ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે? પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના અધિકારીઓ બધું જાણતા હોવા છતાં કેમ મૌન સેવી રહ્યા છે? શું જૂનાગઢના લોકોના જીવ કરતા ઉદ્યોગપતિઓના નફાની કિંમત વધારે છે?
ગાંધીનગર સુધી ફરિયાદ
આ મામલે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પણ રજૂઆત પહોંચાડવામાં આવી છે. જૂનાગઢના સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓ માગે છે કે, તાત્કાલિક ધોરણે ભેસાણ ચોકડી અને ગિરનારની પેરીફેરીમાં આવતા તમામ કેમિકલ યુનિટોની તપાસ થાય અને જે ફેક્ટરીઓ નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે, તેમને કાયમી તાળાં મારવામાં આવે. જો વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો જૂનાગઢની આવનારી પેઢીને શુદ્ધ હવા અને પીવાનું પાણી નસીબ નહીં થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.


