શાળાઓની સાથે વસ્તી ગણતરીનો પણ પ્રારંભ, શિક્ષકોના ઓર્ડર નીકળતા રોષ
બાળકોનું શૈક્ષણિક કાર્ય પ્રભાવિત થશે, ૧.૧૦ લાખ કર્મચારીઓને સરકાર જોતરશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યમાં આવતા મહિનાથી શરૂ થઈ રહેલી વસતી ગણતરીની તૈયારીઓને વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બે તબક્કામાં થનારી વસતી ગણતરી માટે પ્રથમ તબક્કામાં 1 જૂનથી 30 જૂન દરમિયાન તમામ ઘરની ગણતરી કરાશે. ઘરના મુખ્ય વ્યકિતને વસતી ગણતરી કરવા આવનાર કર્મચારી દ્વારા 33 સવાલ પૂછવામાં આવશે. લોકો જાતે પણ 17 મેથી 31 મે સુધી સેલ્ફ એન્યુમેરેશન(જાતે માહિતી અપલોડ કરવી) કાર્ય હાથ ધરી શકશે.
ગુજરાતમાં કૂલ 1.10 લાખ કર્મચારીઓ વસતી ગણતરીની કામગીરીમાં જોડાશે. શિક્ષકો અને પ્રોફેસરો દ્વારા વસતી ગણતરીની કામગીરીમાંથી મુક્ત રાખવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારે વસતી ગણતરી નિયામકે કહ્યું હતું કે, આ બાબતે સરકાર અંતિમ નિર્ણય કરશે.
રાજ્યમાં 15 વર્ષ બાદ યોજાઈ રહેલી વસતી ગણતરીના પ્રથમ તબક્કાનો 1 જૂનથી પ્રારંભ થશે. 1 જૂનથી 30 જૂન દરમિયાન તમામ ઘરોની ગણતરી કરાશે. કર્મચારીઓ દ્વારા 33 સવાલોના જવાબ મેળવાશે. લોકો જાતે પણ 17 મેથી 31 મે દરિયાન ઓનલાઈન પોતાની માહિતી અપલોડ કરી શકશે.
રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs), 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે.નિયામકે જણાવ્યું હતું કે, કર્મચારીઓ પર વધારાનું ભારણ ન ઊભું થાય તે બાબતે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
વસતી ગણતરી કામગીરીને લઈ લોકોને કોઈ બાબતે મૂંઝવણ હોય તો તેઓ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ-ફ્રી નંબર 1855 અથવા વેબસાઇટ www.censusindia.gov.in પર સંપર્ક કરી શકશે.
રાજ્યમાં આગામી જૂન માસથી શરૂ થનારી વસતી ગણતરીની પ્રક્રિયાને લઈને શિક્ષક અને પ્રાધ્યાપક સંગઠનોમાં ચિંતા વ્યાપી છે. શાળાઓ અને કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત દરમિયાન જ મોટા પ્રમાણમાં શિક્ષકો અને અધ્યાપકોને વસતી ગણતરીની કામગીરીમાં જોડવામાં આવશે તો તેની સીધી અસર શિક્ષણકાર્ય પર પડશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે વિવિધ શૈક્ષિક સંગઠનોએ સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆતો શરૂ કરી છે. વસતી ગણતરી નિયામક સુજલ માયાત્રાએ આ મુદ્દે જણાવ્યું હતું કે શિક્ષકોને કામગીરીમાં જોડવાનો વિષય રાજ્ય સરકારના અધિકારક્ષેત્રનો છે અને અંતિમ નિર્ણય રાજ્ય સરકાર કરશે.


