ચોમાસા દરમ્યાન હવે રાજકોટ ડિવિઝનમાં રેલવે વ્યવહારને અસર નહી થાય
અલિયાવાડા યાર્ડમાં જૂના જર્જરિત પાઇપ પુલના સ્થાને આધુનિક RCC બોક્સ બ્રિજનું નિર્માણ
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલ માળખાને વધુ સુરક્ષિત, મજબૂત અને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝનના અલિયાવાડા યાર્ડ સ્થિત બ્રિજ નંબર 310 ને જૂના 400 મીમી વ્યાસ ધરાવતા પાઇપ પ્રકારના પુલથી પરિવર્તિત કરી આધુનિક 2×2.54 મીટર સ્પાન ધરાવતા RCC બોક્સ બ્રિજમાં બદલવામાં આવ્યો છે.
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ કાર્ય ખાસ કરીને પાણીના નિકાલની ક્ષમતામાં વધારો કરવા, ટ્રેકની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા તથા લાંબા સમયથી જર્જરિત અને અવરોધાયેલા જૂના પાઇપ પુલને હટાવવાના હેતુથી કરવામાં આવ્યું છે. જૂના પુલમાં પાણીનો નિકાલ અવરોધાવાને કારણે ચોમાસા દરમિયાન સંચાલન સંબંધિત પડકારો ઉભા થવાની શક્યતા રહેતી હતી. નવા RCC બોક્સ બ્રિજના નિર્માણથી હવે પાણીનો નિકાલ વધુ સુચારૂ અને અસરકારક રીતે થઈ શકશે, જેનાથી રેલવે ટ્રેકની સ્થિરતા અને સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થશે.
નોંધનીય છે કે આ મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ કાર્ય રાજકોટ ડિવિઝનના અલિયાવાડા સ્ટેશન પર નિર્માણ વિભાગ દ્વારા અત્યંત સુનિયોજિત અને સંકલિત રીતે માત્ર 3 દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. કાર્ય દરમિયાન 3 રેલવે લાઈનો હેઠળ ટેકનિકલ કાર્યક્ષમતા અને સુરક્ષા માપદંડોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું, જેના કારણે રેલ વ્યવહાર પર ન્યૂનતમ અસર પડી હતી.
રાજકોટ ડિવિઝનના ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝન દ્વારા રેલ મુસાફરોની સુરક્ષા, શ્રેષ્ઠ માળખાકીય વિકાસ તથા આધુનિક ટેકનોલોજી આધારિત રેલવે અસ્કયામતોના નિર્માણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલિયાવાડા યાર્ડમાં આધુનિક RCC બોક્સ બ્રિજનું નિર્માણ એ ડિવિઝનની ઉચ્ચ ગુણવત્તા, ઝડપી અમલીકરણ ક્ષમતા અને સુરક્ષિત રેલ સંચાલન પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.


