ઉનાના ભડિયાદર ગામમાં દીપડાનો કહેર, યુવક પર હુમલો
બે દિવસમાં બીજી વખતનો હુમલો ગ્રામજનોમાં ભયનો માહોલ, વન વિભાગ સક્રિય હુમલાખોર દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની માંગ બુલંદ
અગ્ર ગુજરાત, ઉના
ઉના તાલુકાના ભડિયાદર ગામમાં દીપડાના આતંકે હાહાકાર મચાવી દીધો છે.રાત્રિના સમયે ઘરના ફળિયા માં બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે 28 વર્ષીય અલ્પેશભાઈ ભરતભાઈ ડાંગોદરા પર દીપડાએ જીવલેણ હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભયનું મોજું ફરી વળ્યું છે. ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રિ દરમિયાન અલ્પેશભાઈ પોતાના ઘરના ફળિયામાં બાથરૂમમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે ઝાડીમાં છુપાયેલા દીપડાએ અચાનક હુમલો કરી દીધો. દીપડાએ સીધો ગળાના ભાગે વાર કરતાં અલ્પેશભાઈ લોહીલુહાણ થઈ ગયા. જોકે, અલ્પેશભાઈએ અસીમ હિંમત દાખવીને દીપડાનો બહાદુરીપૂર્વક વિરોધ કર્યો. તેમની ચીસાચીસ સાંભળી ને ઘરના સભ્યો તાત્કાલિક બહાર દોડી આવતાં દીપડો દીવાલ કૂદીને નાસી છૂટ્યો હતો.
અલ્પેશભાઈને તાત્કાલિક સરકારી હોસ્પિટલ, ઉના ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત ખૂબ જ ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલમાં વધુ સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતા
આ ઘટનાએ સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે આ જ હુમલાખોર દીપડાએ બે દિવસ પહેલા પણ અલ્પેશભાઈના ઘરની અગાશી પર હુમલો કર્યો હતો, જેમાં તેમને સામાન્ય ઈજા થઈ હતી. સતત બીજી વખતના હુમલાથીખેડૂતો ને વાડીએ જતાં પણ ભયનો અનુભવ થઈ રહ્યો છે. ગામડાઓમાં દીપડાના હુમલાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમતાત્કાલિક સરકારી હોસ્પિટલ દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.બીજી તરફ રોષેભરાયેલાગ્રામજનો એ હુમલાખોર દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની ઉગ્ર માંગ કરી છે. લોકોની એક જ માંગ છે કે વન વિભાગ દ્વારા તાકીદે કાર્યવાહી કરીને માનવભક્ષી દીપડાને પકડી પાડવામાં આવે, જેથી નિર્દોષ લોકોના જીવ બચી શકે.
ગીરના કાંઠાળ વિસ્તારના ગામડાઓમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની ચહલપહલ અને હુમલાના બનાવો માં નોંધપાત્ર વધારો થયો છે. ખેતીકામ કરતા ખેડૂતો અને રાત્રિના સમયે બહાર નીકળતા ગ્રામજનો માટે આ જીવનું જોખમ બની રહ્યું છે. તંત્ર દ્વારાતાત્કાલિકપગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે.


