પાર્શ્વગાયક ઓસમાણભાઈ મીરે દોઢ કલાક શ્રોતાઓને ડોલાવ્યા
જૈન સાધુના સાનિઘ્યમાં કલાકારના જન્મદિવસની ઉજવણી
અગ્ર ગુજરાત, રાજકોટ
તાજેતરમાં હિન્દુસ્તાનમાં પ્રખ્યાત પાર્શ્વગાયક ભજનકાર અને સંગીતકાર ઓસમાણભાઈ મીરે પોતાનો જન્મદિવસ બંધુ બેલડી આચાર્યશ્રી જિનહેમચંદ્ર સાગર સૂરીજી મહારાજ સાહેબની નિશ્રામાં ઉજવ્યો. ઉપરોક્ત સમયે આચાર્ય ભગવંત પૂજ્ય જિન હેમચંદ્રસાગર સૂરીજી મહારાજ, આચાર્ય પ્રસન્નચંદ્ર સાગર સુરીજી મહારાજ, આચાર્ય વિરાગચંદ્ર સાગર સૂરીજી મહારાજ, આચાર્ય પદમચંદ્ર સાગર સૂરીજી મહારાજ, પૂજ્ય આચાર્ય સમ્યકચંદ્રસાગર સૂરીજી મહારાજ તથા આચાર્ય તારકચંદ્રસાગર સુરીજી મહારાજ તથા અર્હમ મહારાજ તથા અન્ય સાધુ ભગવંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઓસમાણ મીરે આ પ્રસંગે પોતાની અનેક લોકપ્રિય ગીતો રજૂ કર્યા હતા અને ઊંઝાના કાર્યક્રમના સંસ્મરણો યાદ કર્યા હતા. ઓસમાણભાઈના જન્મદિવસ નિમિત્તે નિલેશભાઈ શાહ તેમજ મીઠાણી પરિવારના સભ્યો દ્વારા માળા પહેરાવીને તેમનું અભિવાદન કરી સ્વાગત કર્યું હતું.
સતત દોઢ કલાકથી વધારે સમય સુધી ઓસમાણભાઈએ ગુરુ ભગવંતોની નિશ્રામાં ઉપસ્થિત સમુદાયના લોકોને પોતાની અનેક જાણીતી કૃતિઓ રજૂ કરી ભાવવિભોર કર્યા હતા. બંધુ બેલડી પરમ પૂજ્ય આચાર્ય જીન હેમચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા અન્ય ગુરુ ભગવંતોએ ઓસમાણભાઈ મીરને આશીર્વાદ આપ્યા હતા અને હજુ તેમની દેશ અને વિદેશમાં પ્રગતિ થાય એવા પણ આશીર્વાદ આપ્યા હતા. ઉપરોક્ત પ્રસંગે મીઠાણી પરિવારના સદસ્યો તેમજ જાણીતા જૈન શ્રેષ્ઠી તેમજ ઉદઘોષક નિલેશભાઈ શાહ અને મલયભાઈ કોઠારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


