આપણી પ્રાથમિકતા કઈ ! ચિત્તા નો વસવાટ કે ગૌ અભ્યારણ્ય ? : ડો. વલ્લભભાઈ કથીરિયા
વર્લ્ડ લાઇફના નામે માનવતાના મૂળ પ્રશ્નો પાછળ ધકેલાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
તાજેતરમાં કચ્છના બન્નીના રણ વિસ્તારોમાં ચિત્તા ને વસાવવાના અને વન્યજીવ વિસ્તરણ સંબંધિત ચર્ચાઓએ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો કર્યો છે. શું આપણે વિકાસ અને વાઇલ્ડ લાઇફના નામે એવી દિશામાં તો આગળ નથી વધી રહ્યા કે જ્યાં માનવતા, કરુણા, ગૌવંશ અને ગ્રામ્ય પર્યાવરણના મૂળ પ્રશ્નો પાછળ ધકેલાઈ રહ્યા છે?
વન્યજીવ સંરક્ષણ નિશ્ચિત રીતે જરૂરી છે. પ્રકૃતિમાં દરેક જીવનું પોતાનું મહત્વ છે. પરંતુ પ્રશ્ન ત્યારે ઉભો થાય છે જ્યારે પ્રાથમિકતાઓનું સંતુલન બગડવા લાગે. આજે દેશભરમાં ચિત્તા, સિંહ અને વાઘ જેવા માંસાહારી પ્રાણીઓના સંરક્ષણ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ તૈયાર થાય છે, વિશાળ અભયારણ્યો ઉભા થાય છે, સતત મોનિટરિંગ થાય છે; ત્યારે બીજી તરફ રસ્તાઓ પર રખડતો ગૌવંશ, પ્લાસ્ટિક ખાઈ રહેલી ગાયો, અકસ્માતોમાં મોતને ભેટતા ઢોર અને માનવ જીંદગીઓ તેમજ ગૌશાળાઓની મુશ્કેલીઓ પર એટલી જ ગંભીરતા કેમ દેખાતી નથી?
ચિત્તો એક માંસાહારી પ્રાણી છે. તેના સંરક્ષણનો અર્થ કુદરતી રીતે અન્ય અનેક પ્રાણીઓના શિકારને પણ સ્વીકારવો જ રહ્યો ! પ્રશ્ન એ છે કે શું આપણું પર્યાવરણ સંતુલન માત્ર શિકારી પ્રાણીઓ વધારવાથી જ જળવાશે? કે પછી ગૌવંશ આધારિત પર્યાવરણ મોડલ વધુ ઉપયોગી ન બની શકે?
બન્ની ઘાસમેદાન જેવા વિશાળ ઘાસના પ્રદેશો ગૌવંશ માટે કુદરતી આશ્રયસ્થાન બની શકે છે. ત્યાં ગૌવંશ અને નંદી અભયારણ્ય, દેશી ગાયોના સંવર્ધન કેન્દ્રો, પ્રાકૃતિક ગૌચર વિકાસ, ગોબર આધારિત ઊર્જા, ઓર્ગેનિક ખેતી અને પંચગવ્ય આધારિત ગ્રામ્ય અર્થતંત્ર ઉભું થઈ શકે. આથી માત્ર રખડતા ગૌવંશને સુરક્ષા મળશે એટલું જ નહીં, પરંતુ હજારો ગ્રામિણ પરિવારોને રોજગાર મળશે, જમીનની ઉર્વરતા વધશે અને પર્યાવરણનું જતન પણ થશે.
આજે એક મહત્વપૂર્ણ હકીકત એ પણ છે કે એશિયાટિક સિંહ હવે માત્ર ગીર પૂરતા જ મર્યાદિત રહ્યા નથી. સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં સિંહોની અવરજવર વધી રહી છે. અનેક જગ્યાએ જાનમાલના નુકસાન, પશુહાનિ અને માનવભક્ષણની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. આવી સ્થિતિમાં સિંહ, ચિત્તા અને વાઘ જેવા મોટા શિકારી પ્રાણીઓની વધતી સંખ્યા અને તેના સામાજિક પ્રભાવ અંગે ગંભીર વૈજ્ઞાનિક અને સામાજિક ચર્ચા જરૂરી બની જાય છે.


