સાધુનો સ્વાંગ રચી ખેડૂતને ઠગનાર વાદી ગેંગ લોધિકા પોલીસના હાથે ઝડપાઈ
બરકત વધારવાની લાલચ આપી રૂ.90 હજાર પડાવ્યા બાદ ફરાર થયેલા ચાર આરોપીઓ વાંકાનેરથી દબોચાયા; રોકડ સહિત રૂ.6.90 લાખનો મુદ્દામાલ જપ્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
લોધિકા તાલુકાના ચાંદલી ગામમાં એક ખેડૂતને ધાર્મિક વિશ્વાસ અને અંધશ્રદ્ધાનો લાભ લઈ છેતરનાર ચાર સભ્યોની ગેંગને લોધિકા પોલીસે ઝડપી પાડી છે. સાધુનો વેશ ધારણ કરીને ખેડૂતના ઘરે પહોંચેલા આરોપીઓએ ઘરમાં સુખ-સમૃદ્ધિ અને બરકત વધારવાની વાતો કરીને રૂ.90 હજારની રોકડ રકમ મેળવી લીધી હતી અને બાદમાં કારમાં ફરાર થઈ ગયા હતા. ફરિયાદ બાદ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને વાહન નંબરના આધારે તપાસ ચલાવી ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.
મળતી વિગતો મુજબ ચાંદલી ગામે રહેતા 60 વર્ષીય ખેડૂત વિનોદભાઈ વસોયા પોતાના ખેતરે હાજર હતા ત્યારે એક કારમાં ચાર અજાણ્યા શખ્સો ત્યાં પહોંચ્યા હતા. તેમાંથી ત્રણ વ્યક્તિઓએ સાધુનો વેશ ધારણ કર્યો હતો. તેમણે ખેડૂત સાથે ધાર્મિક વાતચીત શરૂ કરી અને પોતાને ભોજનની જરૂર હોવાનું જણાવી તેમના ઘરે જમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ખેડૂતે શ્રદ્ધાભાવથી તેમને ઘરે લઈ જઈ ભોજન કરાવ્યું હતું. ભોજન બાદ આરોપીઓએ ઘરમાં બરકત વધારવા અને ધનવૃદ્ધિ માટે ખાસ વિધિ કરવાની વાત કરી હતી. આ બહાને ખેડૂતને ઘરમાં રાખેલી રોકડ રકમ લાવવા કહ્યું હતું. શરૂઆતમાં એક નોટ મંગાવ્યા બાદ વધુ નાણાં લાવવાનું કહી તેઓએ ખેડૂતનો વિશ્વાસ જીતી લીધો હતો. દરમિયાન ખેડૂતને વાતોમાં રોકી રાખી આરોપીઓએ રૂ.90 હજારની રોકડ પોતાના કબ્જામાં લઈ લીધી હતી અને થોડા સમય બાદ કારમાં બેસી ત્યાંથી નાસી છૂટ્યા હતા.
ઘટનાની જાણ થતાં ખેડૂતે લોધિકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે લોધિકા પોલીસ સ્ટાફે તપાસ શરૂ કરી હતી. ઇન્ચાર્જ પીઆઈ ઇન્દ્રજીતસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. તેમજ આરોપીઓ જે કારમાં આવ્યા હતા તેનો નંબર મેળવી તેની હિલચાલ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન કારના આધારે આરોપીઓનો પત્તો મળતાં પોલીસ ટીમે વાંકાનેર વિસ્તારમાં દરોડો પાડી ચારેય શખ્સોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં બહાદુરનાથ સૂરમનાથ પરમાર, ધર્મનાથ પોપટનાથ પરમાર, સાયરનાથ કનવરનાથ પરમાર અને તૌફાનનાથ પોપટનાથ પરમારનો સમાવેશ થાય છે. ચારેય આરોપીઓ મોરબી જિલ્લાના વાંકાનેર નજીકની વાદી વસાહતના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી છેતરપિંડીમાં પડાવાયેલી રૂ.90 હજારની રોકડ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કિયા સેલ્ટોસ કાર સહિત કુલ અંદાજે રૂ.6.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તપાસ દરમિયાન મુખ્ય આરોપી બહાદુરનાથ સામે અગાઉ પણ છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. અન્ય આરોપીઓ સામે પણ અગાઉ ગુનાહિત નોંધો હોવાનું જાણવા મળ્યું છે. હાલ લોધિકા પોલીસ એ દિશામાં વધુ તપાસ કરી રહી છે કે આરોપીઓએ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની રીત અપનાવી કોઈને શિકાર બનાવ્યા છે કે નહીં. પોલીસનું માનવું છે કે વધુ પૂછપરછમાં અન્ય છેતરપિંડીના બનાવો પણ બહાર આવી શકે છે.


