સોનાની ચમક ફીકી પડી: વધેલા ટેક્સથી ગ્રાહકોએ ફેરવ્યું મોં
આયાત ડ્યૂટી 6%થી વધીને 15% થતાં સોના પરનો કુલ વેરો 18.45% પહોંચ્યો; જવેલર્સના વેપારમાં ભારે મંદી
અધિક માસ, મોંઘવારી અને ચોમાસાની અનિશ્ચિતતાથી ગ્રાહકો ખરીદીથી દૂર; એક વર્ષમાં માંગ 25 ટનથી ઘટીને 7.5 ટન
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
કેન્દ્ર સરકાર દ્વારા સોનાની આયાત પરની ડ્યૂટીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યા બાદ દેશભરમાં સોનાની માંગમાં ભારે ઘટાડો નોંધાયો છે. જવેલર્સ અને બુલિયન વેપારીઓના અહેવાલ મુજબ છેલ્લા કેટલાક અઠવાડિયામાં સોનાની ખરીદીમાં અંદાજે 70 ટકા સુધીનો ઘટાડો થયો છે. વધેલા વેરા, મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, અધિક માસ તેમજ ચોમાસાને લઈને સર્જાયેલી અનિશ્ચિતતાએ ગ્રાહકોના ખરીદીના મૂડ પર સીધી અસર કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આયાતનું ભારણ ઘટાડવા માટે સોનાની ખરીદી એક વર્ષ માટે મુલત્વી રાખવાની અપીલ કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે સોનાની આયાત ડ્યૂટી 6 ટકાથી વધારી 15 ટકા કરી દીધી હતી. પરિણામે તમામ પ્રકારના ટેક્સ અને શુલ્ક ગણતા સોના પરનો કુલ વેરાબોજ 9.18 ટકાથી વધીને 18.45 ટકા સુધી પહોંચી ગયો છે.
તા. 27 મેના રોજ પૂર્ણ થયેલા પખવાડિયામાં એક વર્ષ અગાઉની સરખામણીએ સોનાની માંગ 25 ટનથી ઘટીને માત્ર 7.5 ટન રહી હોવાનું વેપાર ક્ષેત્રના સૂત્રો જણાવે છે. ખાસ કરીને સોનાના સિક્કા અને બિસ્કિટની ખરીદીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે.
ઈન્ડિયન બુલિયન્સ એન્ડ જવેલર્સ એસોસિયેશનના રાષ્ટ્રીય સેક્રેટરી સુરેન્દ્ર મહેતાના જણાવ્યા મુજબ અસંગઠિત ક્ષેત્રના વેપારને સૌથી વધુ અસર પહોંચી છે. બીજી તરફ જાણીતી જવેલરી ચેઈન જોય અલ્લુકાસના ચેરમેન જોય અલ્લુકાસે જણાવ્યું કે વડાપ્રધાનની અપીલ, વધેલા ભાવ અને આર્થિક અનિશ્ચિતતાના કારણે ગ્રાહકો ખરીદી ટાળી રહ્યા છે.
વેપારીઓનું માનવું છે કે હવે બજારની નજર દિવાળી સીઝન અને ચોમાસા પર છે. જો વરસાદ સામાન્ય રહેશે તો ગ્રામીણ અર્થતંત્રમાં સુધારો આવી શકે છે, પરંતુ વરસાદી અછત સર્જાશે તો સોનાના વેપારમાં મંદીનો સમયગાળો વધુ લાંબો બની શકે છે.
સોનાની માંગમાં મોટો ઘટાડો
* એક વર્ષ પહેલાં પખવાડિયાની માંગ : 25 ટન
* હાલની માંગ : 7.5 ટન
* કુલ ઘટાડો : અંદાજે 70%
* સિક્કા અને બિસ્કિટની ખરીદી સૌથી વધુ ઘટી
વેરાનો બોજો ક્યાંથી ક્યાં પહોંચ્યો?
* અગાઉ કુલ વેરો : 9.18%
* હાલ કુલ વેરો : 18.45%
* આયાત ડ્યૂટી : 6%થી વધીને 15%
* વધેલા વેરાથી સોનાની કિંમતમાં નોંધપાત્ર વધારો
ખરીદી ઘટવા પાછળના મુખ્ય કારણો
* આયાત ડ્યૂટીમાં વધારો
* પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ
* મોંઘવારીનો ભાર
* અધિક માસને કારણે શુભ ખરીદીમાં ઘટાડો
* ચોમાસા અંગેની અનિશ્ચિતતા
અસંગઠિત વેપારને સૌથી વધુ ફટકો
* અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં 65% સુધી અસર
* નાના જવેલર્સના વેપારમાં ભારે ઘટાડો
* ગ્રાહકો રોકાણ અને ખરીદી બંને ટાળી રહ્યા છે
હવે બજારની નજર દિવાળી અને ચોમાસા પર
* સોનાના વેપારીઓને દિવાળી સીઝનથી આશા
* સારો વરસાદ આવશે તો માંગમાં સુધારો શક્ય
* ગ્રામીણ અર્થતંત્રની સ્થિતિ નિર્ણાયક બનશે
* ગ્રાહકો હાલમાં સાવધ ખરીદીની નીતિ અપનાવી રહ્યા છે


