ભાવનગરમાં ઓપન ગુજરાત ચિત્ર અને ફોટોગ્રાફી સ્પર્ધા કમ પ્રદર્શનનું આયોજન
કલાનગરીમાં યોજાનારી સ્પર્ધામાં વિજેતાઓ માટે રૂ. 1,00,000ના ઇનામોની જાહેરાત
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગરના કલાકારોએ પોતાની અદ્ભુત કલા થકી ભારત કક્ષાએ સુવાસ પાથરીને ભાવનગરને ‘કલાનગરી’નું જે ગૌરવવંતું બિરુદ અપાવ્યું છે, તેને જાળવી રાખવા માટે અવિરત પ્રયાસો થઈ રહ્યા છે. ભારતીય ચિત્રકલાની ખૂટતી કડી જોડવામાં ગુજરાતનું વિશેષ યોગદાન રહ્યું છે. આ સમૃદ્ધ કલાવારસો આવતી પેઢીમાં વરસો વર્ષ જળવાઈ રહે અને દ્રઢ થાય તેવા ઉમદા હેતુ સાથે ભાવનગર ખાતે ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા ‘ઓપન ગુજરાત ખોડીદાસ પરમાર ચિત્ર સ્પર્ધા’ તેમજ ‘રસિકભાઈ હેમાણી ફોટોગ્રાફી સ્પર્ધા કમ પ્રદર્શન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન તદ્દન વિનામૂલ્યે (કોઈપણ પ્રકારની ફી વિના) રાખવામાં આવ્યું છે.
આ બંને વિભાગોમાં થઈને કુલ રૂપિયા એક લાખના ઇનામો એનાયત કરવામાં આવશે. આ સાથે જ ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે બે દિવસીય કલા પ્રદર્શન પણ યોજાશે.
ચિત્રકલા સ્પર્ધા માટે કોઈપણ વિષય પર ભારતની કોઈપણ લોકશૈલીમાં ચિત્ર દોરવાનું રહેશે.’અ’ વિભાગ 10 થી 18 વર્ષ રૂ. 2,000ના દસ ઇનામો, ‘બ’ વિભાગ 19 વર્ષથી ઉપર – ઓપન ગુજરાત કક્ષાએ રૂ. 7,000ના ત્રણ ઇનામો અને ભાવનગર લોકલ લેવલે રૂ. 3,000ના પાંચ ઇનામો ઉપરાંત ત્રણ સ્પેશિયલ ઇનામો શારીરિક અને માનસિક દિવ્યાંગ કલાકારો માટે રાખવામાં આવ્યા છે.
ફોટોગ્રાફી સ્પર્ધા માટે વર્ષાઋતુ વિષયક કોઈપણ બે ફોટોગ્રાફ સ્પર્ધક મોકલી શકશે. આ સ્પર્ધામાં ખુલ્લો વિભાગ રાખવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના કોઈપણ ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. જેમાં ગુજરાત કક્ષાએ રૂ. 7,000ના ત્રણ ઇનામો અને લોકલ લેવલે રૂ. 3,000 ના પાંચ ઇનામો આપવામાં આવશે.
ઉત્સાહી કલાકારો બંને વિભાગ (ચિત્ર અને ફોટોગ્રાફી)માં એકસાથે ભાગ લઈ શકશે. ઑનલાઈન એન્ટ્રી સબમિશન તા. 1 થી 7 સપ્ટેમ્બર, 2026 (ચિત્ર/ફોટોગ્રાફ ઓનલાઈન મોકલવાના રહેશે). પસંદગી પામેલી કૃતિઓ રૂબરૂ તા. 12 અને 13 સપ્ટેમ્બર, 2026ના રોજ મૂળ કૃતિ જમા કરાવવાની રહેશે. પ્રદર્શન અને ઇનામ વિતરણ તા. 19 અને 20 સપ્ટેમ્બર, 2026 ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર, ભાવનગર ખાતે યોજાશે.
ગુજરાતના કલાપ્રેમી ભાઈઓ-બહેનો અને ઉભરતા કલાકારોને આ સુવર્ણ તકનો લાભ લેવા અને પોતાની કલાને મંચ આપવા ફાઉન્ડેશન દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે અમુલ ખોડીદાસભાઈ પરમાર મો. 9824390595, ડો. અશોકભાઈ પટેલ મો. 9428811003 અને ધવલ પરમાર મો. 8758774470 નો સંપર્ક કરી શકાશે.


