ગટરના પાળા પાસે બેભાન હાલતમાં મળેલા દિનેશભાઈનું શંકાસ્પદ મોત
બાઈક ઘટનાસ્થળથી થોડે દૂર મળ્યું; ઇજાના નિશાનને પગલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
લોધીકા તાલુકાના પાળ ગામ નજીક ગટરના પાળા પાસેથી બેભાન હાલતમાં મળી આવેલા 45 વર્ષીય દિનેશભાઈ દેવજીભાઈ ચાંડપાનું મૃત્યુ નિપજતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતદેહને વધુ તપાસ માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, દિનેશભાઈ સોમવારની સાંજે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા નહોતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરાઈ હતી. દરમિયાન જખરાપીરથી સોલ્વન્ટ તરફ જતા માર્ગ પર ગટરના પાળા નજીક તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તાત્કાલિક તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ થતાં લોધીકા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતદેહ પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા તેમજ લોહી નીકળ્યાના સંકેતો મળતાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. તપાસ દરમિયાન દિનેશભાઈનું બાઈક પણ ઘટનાસ્થળથી અંદાજે 100 ફૂટના અંતરે મળી આવ્યું હતું. દિનેશભાઈ છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ બે ભાઈઓમાં મોટા હતા. લગ્નજીવન બાદ છૂટાછેડા થઈ જતાં તેઓ હાલ માતા સાથે રહેતા હતા. પરિવારજનોએ હાલ કોઈ શંકા વ્યક્ત કરી નથી. પ્રાથમિક અનુમાન મુજબ દિનેશભાઈને દારૂ પીવાની ટેવ હોવાથી નશાની હાલતમાં પડી જતાં ગંભીર ઈજા પહોંચી હોઈ શકે છે. જોકે મૃત્યુનું સાચું કારણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસ સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે.


