સરકારી શાળામાં ૧૮૦૮ મુખ્ય શિક્ષક વર્ગ-3ની જગ્યા ભરવાની જાહેરાત
કાયમી હેડ ટીચરની ભરતી કરવાથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ માળખુ મજબૂત થવાનો દાવો
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી મુખ્ય શિક્ષક (હેડ ટીચર)ની જગ્યાઓને લઈને રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. HTAT (Head Teacher Aptitude Test) પાસ ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. શિક્ષણ વિભાગે આ અંગે પરિપત્ર જાહેર કરીને જિલ્લા કક્ષાએ તાત્કાલિક અસરે ભરતી પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપી છે.
આ નિર્ણયના પરિણામે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી કુલ 1808 મુખ્ય શિક્ષક વર્ગ-3ની જગ્યાઓ ભરવાનો માર્ગ મોકળો બન્યો છે.
લાંબા સમયથી અનેક સરકારી પ્રાથમિક શાળાઓ ઇન્ચાર્જ મુખ્ય શિક્ષકોના આધારે સંચાલિત થઈ રહી હતી. જેના કારણે વહીવટી કામગીરી, શૈક્ષણિક આયોજન અને શાળા વ્યવસ્થાપનમાં પડકારો ઉભા થતા હતા. હવે કાયમી મુખ્ય શિક્ષકોની નિમણૂકથી શાળાઓનું નેતૃત્વ વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પરિપત્રમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. વિભાગે પરીક્ષાનું માળખું, સમયપત્રક અને ભરતી પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવા જણાવ્યું છે. આ ઉપરાંત, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકોની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જો ભવિષ્યમાં નવી જગ્યાઓ ઊભી કરવાની જરૂર જણાય તો તેની દરખાસ્ત આગામી અંદાજપત્ર તૈયાર થાય તે પહેલાં સરકાર સમક્ષ રજૂ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર વર્ષ 2025-26ના અંદાજપત્રમાં મુખ્ય શિક્ષક વર્ગ-3ની ખાલી જગ્યાઓ ભરવા માટે જરૂરી નાણાકીય જોગવાઈ અગાઉથી જ કરવામાં આવી હતી. હવે આ 1808 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શૈક્ષણિક જરૂરિયાતના આધારે વધારાની જગ્યાઓ અંગે પણ વિચારણા કરવામાં આવશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી માત્ર ભરતી પ્રક્રિયાને ગતિ મળશે એટલું જ નહીં, પરંતુ પ્રાથમિક શિક્ષણના વહીવટી માળખાને પણ લાંબા ગાળે લાભ થશે. શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોના મતે શાળામાં મુખ્ય શિક્ષકનું મજબૂત નેતૃત્વ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામો, શિક્ષકોના સંકલન અને શાળાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાય છે.
આ નિર્ણયથી HTAT પરીક્ષા પાસ કરીને વર્ષોથી ભરતીની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા ઉમેદવારો લાંબા સમયથી ભરતી પ્રક્રિયા શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. હવે ભરતીને સત્તાવાર મંજૂરી મળતાં તેમની કારકિર્દીમાં આગળ વધવાની નવી તક ઊભી થઈ છે.
1:1:2ના ગુણોત્તર મુજબ થશે ભરતી
શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ મુખ્ય શિક્ષક વર્ગ-3ની ભરતી નિર્ધારિત 1:1:2ના ગુણોત્તર મુજબ હાથ ધરવામાં આવશે. ભરતી પ્રક્રિયામાં ત્રણ અલગ-અલગ માધ્યમોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી લાયક ઉમેદવારોને યોગ્ય તક મળી શકે. પ્રથમ તબક્કામાં પ્રવર્તમાન નિયમો અનુસાર સીધી ભરતી કરવામાં આવશે. બીજી તરફ શાળાઓમાં ફરજ બજાવતા અનુભવી શિક્ષકોને બઢતી દ્વારા મુખ્ય શિક્ષક તરીકે નિયુક્ત કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે. ઉપરાંત વિભાગીય સ્તરે યોજાનારી ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે સેમી-ડાયરેક્ટ પદ્ધતિ દ્વારા પણ ભરતી કરવામાં આવશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભરતી પ્રક્રિયા દરમિયાન મંજૂર થયેલી જગ્યાઓની સંખ્યા અને અંદાજપત્રની નાણાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવશે અને મંજૂર મર્યાદાથી વધુ ભરતી કરવામાં આવશે નહીં.


