કિંગ ઓફ સાળંગપુરના કોપી રાઇટની ટ્રસ્ટની જાહેરાતથી વિવાદ : વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગે. મેદાને
ચેરીટી કમિશનરથી છેક સુપ્રિમ કોર્ટ સુધી લડી લેવાની ચીમકી
ભગવાન હનુમાન પર કોઈ ટ્રસ્ટનો એકાધિકાર નહીં ચાલે: હેમાંગ રાવલ
અગ્ર ગુજરાત, રાજકોટ
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન ચેરમેન હેમાંગ રાવલે જણાવ્યું હતું કે તાજેતરમાં સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા “કિંગ ઓફ સાળંગપુર” પ્રતિમા, વિવિધ ધાર્મિક પ્રતિકો, નામો, ઓળખ અને સંબંધિત બાબતો માટે કૉપિરાઇટ તથા ટ્રેડમાર્ક મેળવ્યાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સમગ્ર સનાતન હિંદુ સમાજમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનનું માનવું છે કે ભગવાન હનુમાન, તેમના પ્રાચીન વિશેષણો, ધાર્મિક પ્રતિકો, મૂર્તિઓ, પ્રસાદ અને સનાતન પરંપરાઓને ખાનગી બૌદ્ધિક સંપત્તિ તરીકે રજૂ કરવાનો કોઈપણ પ્રયાસ સમગ્ર સનાતન હિંદુ સમાજ માટે ચિંતાજનક છે.
ભગવાન હનુમાનનું વર્ણન માત્ર રામાયણમાં જ નહીં પરંતુ મહાભારત, ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, નારદ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, અગ્નિ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, અધ્યાત્મ રામાયણ, આનંદ રામાયણ, અદ્ભુત રામાયણ, રામચરિતમાનસ, હનુમાન ચાલીસા, હનુમાન ઉપનિષદ અને અસંખ્ય ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. ભગવાન હનુમાન કોઈ એક ટ્રસ્ટ, સંસ્થા કે વ્યક્તિની રચના નથી, પરંતુ હજારો વર્ષોથી કરોડો હિંદુઓની શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે.
“કષ્ટભંજન”, “સંકટમોચન”, “બજરંગબલી”, “મહાવીર”, “રામદૂત”, “પવનપુત્ર”, “અંજનેય”, “મારુતિ” અને અન્ય અનેક વિશેષણો સદીઓથી ભગવાન હનુમાન માટે વપરાતા આવ્યા છે. તે જ રીતે ભગવાન ગણેશ માટે “વિઘ્નહર્તા”, ભગવાન શિવ માટે “ભોળેનાથ” અને ભગવાન કૃષ્ણ માટે “ગોપાલ” જેવા શબ્દો સમગ્ર હિંદુ સમાજની સામૂહિક ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર છે. આવા શબ્દો કોઈ સંસ્થાએ સર્જેલા બ્રાન્ડ નથી, પરંતુ સનાતન ધર્મની જીવંત પરંપરાનો અભિન્ન ભાગ છે.
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન સ્પષ્ટપણે જાહેર કરે છે કે તેનો વિરોધ કોઈ વ્યક્તિ, સંત કે મંદિર સામે નથી, પરંતુ સનાતન ધર્મની સામૂહિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસા પર કોઈપણ પ્રકારના એકાધિકારવાદી દાવા સામે છે. જો સંબંધિત દસ્તાવેજોની સમીક્ષા બાદ એવું જણાશે કે સદીઓથી પ્રચલિત ધાર્મિક શબ્દો, પ્રતિકો, પ્રસાદ, મૂર્તિઓ અથવા પરંપરાઓ પર અતિશય અને જાહેર હિતને અસર કરતો અધિકાર સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તો વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન સર્વે સનાતની સંસ્થાઓને સાથે રાખીને ટ્રેડમાર્ક રજિસ્ટ્રી સમક્ષ વાંધા, ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત, સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ ફરિયાદો તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી સહિતના તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરશે.
વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનની માંગણીઓ
* તમામ ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ નોંધણીઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે.
* ટ્રેડમાર્ક નંબર, કૉપિરાઇટ નંબર અને અરજીની નકલો જાહેર કરવામાં આવે.
* “કષ્ટભંજન”, “કિંગ ઓફ સાળંગપુર”, ધાર્મિક પ્રસાદ, પ્રતિમા અને અન્ય પ્રતિકો અંગે ચોક્કસપણે શું નોંધાયું છે તે સ્પષ્ટ કરવામાં આવે.
* સામાન્ય ભક્તો, અન્ય મંદિરો, ધાર્મિક સંસ્થાઓ, પ્રકાશકો, મૂર્તિકારો અને ભજન મંડળોના ધાર્મિક ઉપયોગ પર કોઈ અસર નહીં થાય તેવી જાહેર ખાતરી આપવામાં આવે.
* આ સમગ્ર પ્રક્રિયામાં ટ્રસ્ટના કેટલા નાણાં ખર્ચાયા તેની વિગતો જાહેર કરવામાં આવે.
* ટ્રસ્ટી મંડળના સંબંધિત ઠરાવોની નકલો જાહેર કરવામાં આવે.


