ખાનગી કંપનીઓ દ્વારા ખેતરમાં વિજલાઇન નાખવાનો વિરોધ
રાજયભરના હજારો ખેડૂતો ૧૧૧૧ ટ્રેકટર સાથે ગાંધીનગરમાં
કિસાન સંઘ અને કોંગ્રેસ દ્વારા અમદાવાદથી પાટનગર સુધી વિશાળ રેલી યોજાઇ
કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરી હોવાના કોંગ્રેસનો દાવો
ખેડૂતો ઉમટી પડતા પોલીસે રસ્સાઓ રસ્તા પર બાંધી રોકવાનો પ્રયાસ કરતા વાતાવરણ ઉગ્ર બન્યું
પોલીસે ફરજની સાથે માનવતા પણ રાખી, ખેડૂતો માટે પાણી અને છાશની વ્યવસ્થા કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
ખેડૂતોના અધિકારો માટે આજે (15 જૂન) કોંગ્રેસ 1111 ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી રહ્યું છે. આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે. કોંગ્રેસે કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો દાવો કર્યો છે. આ પ્રકારની કુલ 5 માગણી સરકાર સમક્ષ કરવામાં આવશે.
સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટીયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી યાત્રાનું સંકલન સંભાળી રહ્યા છે. તેમજ આ અધિકાર રેલીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા ડો.તુષાર ચૌધરી તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંબોધન કરશે.
શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચશે, જ્યાં ખેડૂત સભાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી અપાઈ નથી.
હાલમાં અમદાવાદની શાંતિપુરા ચોકડીથી કોંગ્રેસની ટ્રેક્ટર રેલી નીકળી છે, જેમાં નેતાઓએ સ્ટિયરિંગ સંભાળ્યું છે, અમિત ચાવડા ટ્રેક્ટર લઈ નીકળ્યા તો પ્રગતિ આહિરે ગેનીબેન અને કરસન ભાદરકાને બેસાડી નીકળ્યા હતા.
કોંગ્રેસના આ ખેડૂત આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટી પણ જોડાશે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત આપના પ્રદેશ નેતાઓ પણ ટ્રેક્ટર રેલીમાં હાજર રહી ખેડૂતોને સમર્થન આપશે. ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે ખભેખભો મિલાવીને લડત ચાલુ રાખશે તેવું જણાવ્યું છે.
તમામ જિલ્લામાંથી 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો અમદાવાદના શાંતિપુરા પહોંચ્યા હતાં. જ્યાંથી તમામ લોકો એકઠા થઈને ખેડૂતોની પાંચ માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માગ સાથે ગાંધીનગર કૂચ કરી હતી. દેવા માફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ સહિતના મુદ્દે ગાંધીનગર સુધી રેલી લઈને જશે અને સરકારને અલ્ટીમેટમ આપશે. જો સરકાર દ્વારા માગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
તુષાર ચૌધરીએ જણાવ્યું કે અમારી ત્રણ માંગણીઓ છે કે સરકારે ખેડૂતોનું સંપૂર્ણ દેવું નાબૂદ કરવું જોઈએ. બીજી માંગ છે ખેડૂતોની જે પણ ઉપજ છે એ સરકારે પૂરેપૂરી ટેકાના ભાવે ખરીદવી જોઈએ અને જે ખાનગી વીજ કંપનીઓ દ્વારા આડેધડ વીજપોલ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવે છે, ખેડૂતને વિશ્વાસમાં લેવામાં આવતો નથી અને એને કોઈ વળતર આપવામાં આવતું નથી અને પોલીસ બંદોબસ્ત સાથે દાદાગીરીથી ખેડૂતને ધમકાવી ડરાવીને વીજપોલ નાખવામાં આવે છે. એના કારણે ખેડૂતોની જમીનનાં અડધા ભાવ થઈ જાય છે. જમીન વેચવા લાયક પણ રહેતી નથી અને એના કારણે પરિવારોમાં પણ ઝઘડા ઉભા થાય છે. આવું વ્યાપક નુકસાન ખેડૂતોને થતું હોય અને સરકાર દ્વારા કોઈ પણ એની સુનાવણી ન થતી હોય એટલે ખેડૂતો થાકી અને હારીને આજે ગાંધીનગર સુધી રેલી કાઢીને નીકળ્યા છે. અમારી સરકાર સાથે વાટાઘાટો ચાલે છે કે 50-100 પ્રતિનિધિમંડળ ખેડૂતોનું ત્યાં આવે, એટલા લોકોને પરવાનગી સરકાર આપે અને સરકાર ખેડૂતો આગેવાનોની રજૂઆત સાંભળે એવી વિનંતી અમે સરકારને કરી છે. હવે સરકાર તરફથી શું પ્રતિભાવ આવે એની અમે રાહ જોઈ રહ્યા છીએ.


