જેતપુરમાં શ્રી લુહાર સમસ્ત ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
પ્રમાણપત્રો અને શિલ્ડ આપી છાત્રોને સન્માનિત કરાયા
અગ્ર ગુજરાત, જેતપુર
પવિત્ર પુરુષોત્તમ માસના માંગલિક અવસરે શ્રી લુહાર સમસ્ત ટ્રસ્ટ – જેતપુર દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાઓ તથા સમાજના શ્રેષ્ઠીઓના સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણની સાથે સામાજિક એકતાનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, “આજની યુવા પેઢી જ સમાજનું ભવિષ્ય છે. શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન જ સમાજને પ્રગતિના પથ પર આગળ લઈ જઈ શકે છે.” ઉપરાંત, જેતપુર નગરપાલિકાના પ્રમુખ મીનાબેન ઉસદડીયા, ઉપપ્રમુખ સ્વાતિબેન જોટંગિયા, બિંદિયાબેન મકવાણા તથા દિનેશભાઈ ભુવા ચંદ્રેશભાઈ વીંછી સહિતના અગ્રણી મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની ગરિમા વધારી હતી.અને પોતાના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે બગસરા નગરપાલિકાના કારોબારી ચેરમેન અને લુહાર સમાજના ગૌરવ સમાન ચિરાગભાઈ પરમાર ખાસ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા માર્ગદર્શન આપ્યું હતું કે વિદ્યાર્થીઓએ માત્ર ડિગ્રી મેળવવા પૂરતું સીમિત ન રહેતા, રમતગમત અને અન્ય ક્ષેત્રોમાં પણ પોતાનું કૌશલ્ય ખીલવવું જોઈએ.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન હતું. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લુહાર સમસ્ત ટ્રસ્ટ – જેતપુરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ટ્રસ્ટ દ્વારા તમામ દાતાઓ, આમંત્રિત મહેમાનો અને હાજર રહેલા તમામ સમાજજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં પણ સમાજમાં નવી ચેતના અને એકતા સ્થાપિત કરવામાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.


