BAPS સંસ્થાને હિંદુત્વના વિશ્વવ્યાપી આંદોલન સુધી પહોંચાડનાર પ્રમુખસ્વામી મહારાજનો આજે પ્રમુખવરણી દિન
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, રાજકોટ ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવણી
અગ્ર ગુજરાત, રાજકોટ
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આજે જેઠ સુદ ચોથના પવિત્ર દિવસે પ્રમુખવરણી દિનની શ્રદ્ધા, ભક્તિ અને મહિમાભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજનો દિવસ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા માટે અત્યંત ઐતિહાસિક અને પ્રેરણાદાયી છે, કારણ કે આ જ પવિત્ર દિવસે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સંસ્થાના ઉજ્જવળ ભવિષ્ય માટે માત્ર ૨૮ વર્ષના યુવાન સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખપદે વરણી કર્યા હતા.
ભગવાન સ્વામિનારાયણના અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના શુદ્ધ સિદ્ધાંતના પ્રવર્તન માટે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સને ૧૯૦૭માં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી હતી. તેમની દિવ્ય દીર્ઘદ્રષ્ટિથી તા. ૨૧-૦૫-૧૯૫૦ના રોજ અમદાવાદની આંબલીવાળી પોળમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને ભગવી શાલ ઓઢાડી સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક વરણી દ્વારા બી.એ.પી.એસ. સંસ્થાને એવા ગુરુહરિ પ્રાપ્ત થયા, જેમણે “બીજાના ભલામાં આપણું ભલું છે” અને “બીજાના સુખમાં જ આપણું સુખ છે” જેવા જીવનસૂત્રો દ્વારા વિશ્વભરમાં આધ્યાત્મિકતા, સેવા, સંસ્કાર અને માનવતાનો સંદેશ પ્રસરાવ્યો.
પ્રમુખસ્વામી મહારાજનો જન્મ તા. ૦૭-૧૨-૧૯૨૧ના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. માત્ર ૧૭ વર્ષની ઉંમરે ગુરુ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી તેઓએ ગૃહત્યાગ કર્યો હતો. તા. ૨૨-૧૧-૧૯૩૯ના રોજ અમદાવાદમાં પાર્ષદ દીક્ષા અને તા. ૧૦-૦૧-૧૯૪૦ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા પ્રાપ્ત કર્યા બાદ તેમણે તપ, ત્યાગ, તિતિક્ષા, સહિષ્ણુતા, સાધુતા, શુદ્ધ પંચવર્તમાન અને અનન્ય ગુરુભક્તિના આદર્શો દ્વારા અનંત લોકોના જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ પાથર્યો.
આ પવિત્ર પ્રસંગે રાજકોટ મંદિરે પ્રમુખવરણીના ઐતિહાસિક પ્રસંગનું વિશેષ નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. સવારે શણગાર આરતી બાદ પ્રમુખવરણી સંબંધિત કીર્તન ગવાયું હતું. ત્યારબાદ પ્રમુખવરણી દિનનો મહિમા રજૂ કરવામાં આવ્યો હતો. સંતો અને ભક્તોએ ઘુમ્મટમાં બિરાજમાન બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ સ્તુતિગાન, પૂજન, હારતોરા અને ચાદર અર્પણ કરીને ગુરુહરિ પ્રત્યે પોતાની ભાવાંજલિ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે, ‘પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવન દ્વારા સેવાભાવ, નિર્માનપણું, આધ્યાત્મિકતા અને માનવકલ્યાણનો જે આદર્શ પ્રસ્થાપિત કર્યો છે, તે આજના સમયમાં પણ સમાજ માટે પ્રેરણારૂપ છે. પ્રમુખવરણી દિન માત્ર ઐતિહાસિક સ્મૃતિનો દિવસ નથી, પરંતુ ગુરુભક્તિ, સેવા અને સંસ્કારના માર્ગે આગળ વધવાનો સંકલ્પદિન છે.’
સવારથી જ મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું. સવારે મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રમુખસ્વામી મહારાજને ચાદર ઓઢાડવાની સેવાનો લાભ લીધો હતો. આ લાભ બપોર બાદ ૪.૦૦ થી ૭.૦૦ વાગ્યા સુધી પણ મળી શકશે. સંતો અને હરિભક્તોએ પ્રમુખસ્વામી મહારાજના જીવન, સેવા, વિનમ્રતા અને સર્વહિતભાવને યાદ કરી તેમના દર્શાવેલા માર્ગે ચાલવાનો સંકલ્પ કર્યો હતો.


