RTOમાં સોમવાર સુધી કામગીરી ઠપ્પ, અરજદારોને હાલાકી
સારથી પોર્ટલના ધાંધીયા ફરી શરૂ થતા કામગીરી અટકી પડી, લાયસન્સ, કંડકટરના બેઝ માટે આવતા અરજદારોમાં રોષ : છેલ્લા પાંચ દિવસથી હેરાન થતાં લોકોને હજુ ચાર દિવસ હેરાન થવુ પડશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત રાજ્યભરની RTOમાં છેલ્લા પાંચ દિવસથી સારથી પોર્ટલની ટેકનિકલ ખામીને કારણે અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારથી અરજદારો અલગ અલગ કામગીરીને લઈને કચેરીએ લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં સર્વર ડાઉન હોવાના કારણે કામગીરી ન થતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે.
GSRTCમાં કંડક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે, કંડક્ટર લાઇસન્સ માટે આવતા ઉમેદવારોના પણ કામ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સારથી પોર્ટલની ટેકનિકલ ખામી દૂર કરવાના બદલે અધિકારીઓ દ્વારા સોમવાર સુધી કચેરીએ ન આવવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
RTO કચેરીમાં સારથી પોર્ટલની ટેકનિકલ ખામી હવે અરજદારો માટે માથાનો દુખાવો બની ગઈ છે. સતત પાંચમા દિવસે પણ પોર્ટલ યોગ્ય રીતે કાર્યરત ન થતાં લાયસન્સ, કંડકટર બેજ, રિન્યુઅલ સહિતની વિવિધ સેવાઓ માટે આવતા અરજદારોને નિરાશ થઈને પરત ફરવું પડી રહ્યું છે. દરરોજ સવારના 7 વાગ્યાથી લોકો લાંબી લાઈનોમાં ઉભા રહે છે, પરંતુ કલાકો સુધી રાહ જોયા બાદ પણ તેમની કામગીરી પૂર્ણ થતી નથી. ડિજિટલ ઈન્ડિયાના દાવાઓ વચ્ચે એક સામાન્ય ટેકનિકલ ખામીના કારણે લોકોનો સમય અને પૈસા બગડી રહ્યા છે.
અત્યારે રાજ્યમાં કંડકટર ભરતીની પ્રક્રિયા ચાલી રહી હોવાથી મોટી સંખ્યામાં ઉમેદવારો કંડકટર લાયસન્સ અને બેજ મેળવવા RTO કચેરીએ પહોંચી રહ્યા છે. પરંતુ સારથી પોર્ટલ વારંવાર બંધ થઈ જતાં ભરતી માટે જરૂરી પ્રક્રિયા સમયસર પૂર્ણ થઈ શકતી નથી. ઘણા ઉમેદવારો દૂર-દૂરના વિસ્તારોમાંથી આવી રહ્યા છે, છતાં તેમને માત્ર “સર્વર બંધ છે” અથવા “પોર્ટલ કામ કરતું નથી” જેવા જવાબો મળી રહ્યા છે. ભરતી જેવી મહત્વની પ્રક્રિયા દરમિયાન પણ સિસ્ટમને સારી રીતે ચાલુ રાખવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે. જો અરજદારો સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો મેળવી નહીં શકે તો તેના માટે જવાબદાર કોણ રહેશે તે સૌથી મોટો સવાલ છે.
છેલ્લા પાંચ દિવસથી ટેકનિકલ ખામી સર્જાઈ રહી છે, છતાં પણ તંત્ર દ્વારા તેનું નિરાકરણ લાવવા માટે યોગ્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો નથી. જેના કારણે ઉમેદવારો અને અરસદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે સારથી પોર્ટલમાં હજુ પણ ટેકનિકલ ખામી સર્જાવવાની હોવાથી ઉમેદવારોને અને અરજદારોને સોમવાર સુધી કચેરીએ ન આવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ટેકનિકલ ખામી દૂર કરવાના બદલે કચેરીએ જ ન આવવાની અપીલ કરતાં ઉમેદવારો પણ નિરાશ થઈને પરત જઈ રહ્યા છે. હવે અરજદારો રાહ જોઈ રહ્યા છે કે, તંત્ર માત્ર અપીલ કરીને જવાબદારીમાંથી છટકી જશે કે પછી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી અરજદારોને રાહત આપશે.
‘જ્યારે આવીએ ત્યારે સર્વર ડાઉન છે એવો જવાબ મળે‘
અરજદારોએ જણાવ્યું હતું કે, આજે ચોથી વખત કામગીરી કરાવવા માટે કચેરીએ આવ્યો છું. જ્યારે પણ આવીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે અત્યારે સર્વર ડાઉન છે જેથી કોઈપણ પ્રકારની કામગીરી થઈ શકશે નહીં. કાલે પણ આવ્યા હતા તો સર્વર ડાઉન હોવાથી આજે કામગીરી થશે નહીં તેવું કહીને પરત મોકલવામાં આવ્યા હતા. ભરતી માટે ફોર્મ ભરવા લાયસન્સ લેવું ખૂબ જ જરૂરી બન્યું છે.
વડી કચેરીએ રજૂઆત કરી : અધિકારી
અમદાવાદ આરટીઓના નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, અત્યારે લાઇસન્સ માટે જે સારથી પોર્ટલ કામ કરી રહ્યું છે તેમાં ટેકનિકલ ખામી આવી રહી છે. આખા ગુજરાતમાં આ પ્રોબ્લેમ પોર્ટલમાં થઈ રહ્યો છે. જે માટે વડી કચેરીને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમજ સારથી પોર્ટલમાં સુધારા માટેની કામગીરી પણ અત્યારે ચાલી રહી છે. હેડ ઓફિસ ખાતે પણ ચર્ચા કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી છે.


