ગુજરાતમાં વર્ગ-3ની જગ્યામાં પૂર્વ અગ્નિવીરોને મળશે ૨૦ ટકા આરક્ષણ
મુખ્યમંત્રી દ્વારા જાહેરાત : શારીરિક કસોટી અને ઉપલી વયમર્યાદામાં પણ છુટછાટ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
રાજ્યના પૂર્વ અગ્નિવીરો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં હવે પૂર્વ અગ્નિવીરોને 20 ટકા અનામતનો લાભ મળશે. આ ઉપરાંત ભરતી પ્રક્રિયામાં શારીરિક ક્ષમતા કસોટીમાંથી મુક્તિ તેમજ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવશે.
મુખ્યમંત્રીના નિર્ણય મુજબ રાજ્ય પોલીસ દળના હથિયારી વિભાગ, SRP, જેલ વિભાગ તેમજ વન અને પર્યાવરણ વિભાગ હેઠળની વિવિધ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને વિશેષ લાભ મળશે. ભરતી માટેની નિર્ધારિત ઉપલી વયમર્યાદામાં ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે, જ્યારે અગ્નિવીર યોજનાની પ્રથમ બેચના ઉમેદવારોને પાંચ વર્ષ સુધીની વયમર્યાદાની રાહત મળશે.
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના હેઠળ દેશસેવા પૂર્ણ કરનારા યુવાનોને રાજ્યમાં રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે લીધેલો આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સરકારના આ પગલાથી પૂર્વ અગ્નિવીરોના અનુભવ અને તાલીમનો લાભ રાજ્યની સુરક્ષા તથા વહીવટી વ્યવસ્થાને પણ મળશે.
કઇ કઇ ભરતીમાં મળશે લાભ
આ નિર્ણયના કારણે હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPના પ્લાટૂન કમાન્ડર અને પોલીસ કોન્સ્ટેબલ જેવી જગ્યાઓની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને સીધો લાભ મળશે. ઉપરાંત જેલ વિભાગના જેલર ગ્રુપ-2 અને જેલ સિપાઈ તેમજ વન વિભાગના વનરક્ષક વર્ગ-3 અને વનપાલ વર્ગ-3ની ભરતીમાં પણ આ જોગવાઈ લાગુ પડશે.


