- 26માં દિવસે ઇઝરાયેલ-હમાસ વચ્ચે લોહિયાળ યુદ્ધ યથાવત
- વિદેશી નાગરિકો ગાઝાથી ઇજિપ્તના રફાહ ક્રોસિંગમાં પ્રવેશ્યા
- ઇઝરાયેલના PMએ આતંકીને ઠાર કરવા ઘડી રણનીતિ
છેલ્લા 26 દિવસથી ચાલી રહેલું યુદ્ધે વિનાશ વેર્યો છે. ગાઝામાં હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં પેલેસ્ટિનિયન મૃત્યુઆંક 8,525 પર પહોંચી ગયો છે.
ઇઝરાયેલ-હમાસ વચ્ચે લોહિયાળ યુદ્ધ યથાવત
7 ઓક્ટોબરે હમાસ દ્વારા શરૂ કરાયેલી હિંસામાં ઇઝરાયેલમાં 1,400 થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના નાગરિકો છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ 7 ઓક્ટોબરથી ચાલુ છે. લોહિયાળ યુદ્ધનો આજે 26મો દિવસ છે અને બંને તરફથી અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ બુધવારે સ્પષ્ટ કર્યું કે ગાઝામાં ઈઝરાયેલનું યુદ્ધ લાંબુ ચાલશે, પરંતુ તેમાં અમે જીતીશું.
આ સાથે એક નિવેદનમાં ઇઝરાયેલના PMએ વધતા સૈન્ય નુકસાન પર પણ દુઃખ વ્યક્ત કર્યું. તેણે કહ્યું, ‘અમે ખતરનાક યુદ્ધ કરી રહ્યા છીએ. આ એક લાંબુ યુદ્ધ હશે. હું ઇઝરાયેલના તમામ નાગરિકોને વચન આપું છું. અમે કામ પૂર્ણ કરીશું. અમે જીત સુધી આગળ વધીશું.
રફા ક્રોસિંગ તરફ વિદેશીઓ પ્રવેશ્યા
લડાઈ વચ્ચે બુધવારે ડઝનબંધ વિદેશી પાસપોર્ટ ધારકો ગાઝાથી ઇજિપ્તના રફાહ ક્રોસિંગમાં પ્રવેશ્યા હતા. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ત્રણ અઠવાડિયાથી વધુ સમય પહેલા શરૂ થયા બાદથી આ પ્રથમ વખત છે કે વિદેશી પાસપોર્ટ ધારકોને ઘેરાયેલા વિસ્તારને છોડવાની મંજૂરી આપવામાં આવી છે.
પેલેસ્ટિનિયન મૃત્યુઆંક 8,525ને પાર
ગાઝામાં હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં પેલેસ્ટિનિયન મૃત્યુઆંક 8,525 પર પહોંચી ગયો છે. અધિકૃત પશ્ચિમ કાંઠે હિંસા અને ઇઝરાયેલના દરોડામાં 122 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.
7 ઓક્ટોબરે હમાસ દ્વારા શરૂ કરાયેલી હિંસામાં ઇઝરાયેલમાં 1,400 થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના નાગરિકો છે. વધુમાં, આતંકવાદી જૂથ દ્વારા લગભગ 240 બંધકોને ઈઝરાયેલથી ગાઝા લઈ જવામાં આવ્યા હતા. બંધકમાંથી એક, એક મહિલા ઇઝરાયેલી સૈનિકને વિશેષ દળોના ઓપરેશનમાં બચાવી લેવામાં આવી હતી.


