- 2019 માં કર્નલનો જીવ બચાવવા જતાં શહીદ થયા હતાં અમન ઠાકુર
- 2011 બેચના જમ્મુ અને કાશ્મીર પોલીસ સેવાના અધિકારી હતા અમન
- જમ્મુ કાશ્મીર પોલીસે તુરીગામ યારીપોરા ગામમાં જપ્ત કરી મિલકત
જમ્મુ-કાશ્મીર પોલીસે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના તુરીગામ ગામમાં તે સંપત્તિ જપ્ત કરી છે જ્યાં ડીવાયએસપી અમન ઠાકુરની 2019 માં હત્યા કરવામાં આવી હતી. આ મિલકત સાનુલ્લા મીર નામની વ્યક્તિની હતી. પોલીસ અને આતંકીઓ વચ્ચેનાં એન્કાઉન્ટરમાં જૈશના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યાં અમન ઠાકુર ઘાયલ આર્મી કર્નલનો જીવ બચાવતા શહીદ થયા હતા.
મિલકત કરાઈ જપ્ત
એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે તુરીગામ યારીપોરા ગામમાં મિલકત જપ્ત કરી છે અને તે સાનુલ્લા મીર નામના વ્યક્તિની માલિકીની હતી અને તેને યુએલએપી એક્ટ હેઠળ સક્ષમ અધિકારી દ્વારા જોડવામાં આવી હતી. કાશ્મીરના ડિવિઝનલ કમિશનરના આદેશ અનુસાર જિલ્લા પોલીસ કુલગામે નાણા વિભાગના અધિકારીઓની હાજરીમાં ઘરને અટેચ કર્યું છે. એન્કાઉન્ટર દરમિયાન જૈશ-એ-મોહમ્મદના 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે સેનાના 3 જવાન પણ ઘાયલ થયા હતા.
પોલીસ યુનિફોર્મ પહેરવાના શોખને કારણે છોડી બે સરકારી નોકરી
શહીદ નાયબ પોલીસ અધિક્ષક ઠાકુર જમ્મુ ક્ષેત્રના ડોડા જિલ્લાના રહેવાસી હતા અને 2011 બેચના જમ્મુ અને કાશ્મીર પોલીસ સેવાના અધિકારી હતા. શહીદ અમન ઠાકુર પોલીસ યુનિફોર્મ પહેરવાનો એટલો શોખ હતો કે તેણે બે સરકારી નોકરી છોડી દીધી હતી. 30 વર્ષીય ઠાકુરને પહેલા સમાજ કલ્યાણ વિભાગમાં નોકરી મળી અને બાદમાં સરકારી કોલેજમાં લેક્ચરર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. તેમણે પ્રાણીશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
યારીપોરાના મુખ્ય ચોકમાં પોલીસ પાર્ટી પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો
24 મે 2022ના રોજ પણ આતંકવાદીઓએ યારીપોરાના મુખ્ય ચોકમાં પોલીસ પાર્ટીને નિશાન બનાવી હતી અને તેમના પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. જો કે ગ્રેનેડ ટાર્ગેટ ચૂકી જતાં નજીકમાં રહેલી ભીડમાં વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન 13 લોકો ઘાયલ પણ થયા હતા. આ અંગે યારીપોરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.