સુરતના માંડવીના જંગલમાં વસવાટ કરતા ૧૦૪ દિપડા માથે ગીરમાંથી ૬૫ હરણ મોકલાયા
ખોરાકની શોધમાં માનવ વસ્તી અને શહેરની હદ સુધી આવી ચઢવાના બનાવમાં ચિંતાજનક વધારો થતાં વનવિભાગે રસ્તો કાઢ્યો
અગ્ર ગુજરાત, સુરત
સુરત જિલ્લાના માંડવી અને આસપાસના જંગલ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓ ખોરાકની શોધમાં માનવ વસ્તી અને શહેરની હદ સુધી આવી ચઢવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે સુરત વન વિભાગ દ્વારા ગુજરાત વન વિભાગના સહયોગથી એક વિશેષ અને નવતર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દીપડાઓને જંગલની અંદર જ કુદરતી ખોરાક મળી રહે એવા મુખ્ય હેતુ સાથે ગીરના જંગલોમાંથી ખાસ ટપકાવાળા હરણો સુરત લાવવામાં આવ્યા છે.
વન વિભાગે પ્રાયોગિક ધોરણે 50થી વધુ હરણોને સુરતની માંડવી ફોરેસ્ટ રેન્જમાં મુક્ત કર્યા છે, જેથી દીપડાઓ વન વિસ્તાર છોડીને રહેણાંક વિસ્તારો તરફ ન દોડે અને ભવિષ્યમાં માનવ તેમજ વન્યજીવો વચ્ચે થતી ઇજા કે સંઘર્ષની ઘટનાઓ પર પૂર્ણવિરામ મૂકી શકાય.
સુરત વન વિભાગના સત્તાવાર અહેવાલો મુજબ માંડવીના જંગલોમાં હાલમાં 104 કરતાં પણ વધુ દીપડાઓ વસવાટ કરી રહ્યા છે. છેલ્લા ચાર-પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો આ વન્યજીવોની સંખ્યામાં સતત નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જોકે, દીપડાઓની વધતી વસ્તીની સરખામણીમાં જંગલ વિસ્તારમાં તેમના માટેનો પૂરતો ખોરાક એટલે કે નાના તૃણાહારી પ્રાણીઓની સંખ્યા મર્યાદિત બની ગઈ છે. આ વન્યજીવનની અસમતુલાને કારણે દીપડાઓ પોતાના કુદરતી રહેઠાણમાંથી બહાર નીકળીને ખોરાક મેળવવા માટે મજબૂર બન્યા છે, જેના લીધે ગ્રામ્ય અને સેમી-અર્બન વિસ્તારોમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ અવારનવાર બને છે.
આ સમગ્ર ઓપરેશન અંગે સુરત વન વિભાગના નાયબ વન સંરક્ષક (DCF) ધીરજ કુમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, દીપડાઓને રહેણાંક વિસ્તારો તરફ આવતા રોકવા વન વિભાગે જંગલમાં જ ખોરાકની સાંકળ મજબૂત કરવાનું નક્કી કર્યું હતું. ગીરના વનમાંથી ખૂબ જ તકેદારીપૂર્વક ત્રણ અલગ-અલગ બેચમાં આ હરણોને સુરત લાવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ બેચમાં 30 હરણ, બીજી બેચમાં 15 હરણ અને ત્રીજી બેચમાં 20 હરણોનો સમાવેશ થાય છે. આ રીતે કુલ મળીને 50થી વધુ ટપકાવાળા હરણોને માંડવીની વન્યજીવ રેન્જમાં સફળતાપૂર્વક રિલીઝ કરી દેવામાં આવ્યા છે.
‘ડિસ્ટન્સ સેમ્પલિંગ’ અને તૃણાહારી પ્રાણીઓની વસ્તી વધારવાનો લક્ષ્યાંક
ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આ વિશેષ પહેલનો મુખ્ય હેતુ જંગલમાં હર્બીવોર્સ (તૃણાહારી પ્રાણીઓ) ની પોપ્યુલેશનને ઓગમેંટ એટલે કે ઝડપથી વધારવાનો છે. વન વિભાગ હાલમાં હર્બીવોર્સ સેન્સસ (વસ્તી ગણતરી) નું કામ પણ કરી રહ્યું છે, જેમાં ‘ડિસ્ટન્સ સેમ્પલિંગ મેથડ’ અને ‘ટ્રાન્ઝેક્ટ મેથડ’ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ આધુનિક પદ્ધતિઓથી જંગલમાં ચોક્કસ કેટલા તૃણાહારી પ્રાણીઓ ઉપલબ્ધ છે તેની સચોટ માહિતી મળશે, જેના આધારે આગામી દિવસોમાં દીપડાના શિકાર માટે જરૂરી અન્ય પ્રાણીઓની સંખ્યા વનમાં વધારવી કે કંટ્રોલ કરવી તેનો ચોક્કસ પ્લાન તૈયાર થશે.


